મુખ્ય સામગ્રી પર જાઓ

આ બ્લોગની રચનાનો મુખ્ય ઉદ્દેશ

ગુજરાતી ભાષા અને તેનું સાહિત્ય ખૂબ જ વિશાળ પટ પર ફેલાયેલું છે. અને હજુ નવું સર્જન થયા જ કરે છે. ગુજરાતી સાહિત્યના ઊંડાણનો તાગ પામવો એ સામાન્ય મનુષ્યના વશની વાત નથી. મેં આજ સુધી એવો કોઈ સાહિત્યકાર નથી જોયો કે જેણે ગુજરાતી ભાષાનું સમગ્ર સાહિત્ય વાચી નાખ્યું હોય. આટલું વિશાળ વ્યાપવીશ્વ ધરાવતું સાહિત્ય માત્ર જૂજ પુસ્તકો અને સામાયિકોમાં કેદ છે. યુવા વર્ગ અને પુસ્તકાલય વચ્ચેનું અંતર દિવસે દિવસે વધતું જાય છે. આજના યુવાનો નવરાશના સમયમાં ફિલ્મ જોવાનું પસંદ કરશે. પણ પુસ્તકાલયની મુલાકાત લેવાનું ટાળશે.

આટલું જ્ઞાનથી ભરપૂર સાહિત્ય હોવા છતાં લોકોને તેનો અભ્યાસ કરવામાં નાનમ લાગે છે. આજના માં બાપ પોતે ગુજરાતી હોવા છતાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળામાં મુકે છે. અંગ્રેજી ભાષાનો વધતો જતો વ્યાપ એ ગુજરાતી ભાષાના પતનનું કારણ બની રહ્યો છે. અને આજના સમયે ગુજરાતી ભાષાનું અસ્તિત્વ લુપ્ત થવાને આરે આવીને ઉભું છે. આવા સમયે ગુજરાતી ભાષા અને તેના સાહિત્યનું રક્ષણ કરવું એ આપણું પ્રમુખ કર્તવ્ય બને છે.

આજનો યુગ કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ નો યુગ છે. નાના બાળકોથી લઈને યુવાનોને પણ ઈન્ટરનેટ મળી જાય તો તેમને આખો દિવસ પણ ઓછો પડે એમ છે. આવા સમયે ઈન્ટરનેટ ને ગુજરાતી સાહિત્યના પ્રચારનું માધ્યમ બનાવવામાં આવે તો ગુજરાતી ભાષા સાહિત્યને લુપ્ત થતું અટકાવી શકાય એમ છે. ગુજરાતી ભાષા માટે આનાથી મોટી બીજી કઈ સેવા થઇ શકે? એમ વિચારી આ બ્લોગ મારફતે મેં મારાથી બની શકે એટલી સાહિત્યસેવા કરવાનો યાથાતત પ્રયત્ન મેં કર્યો છે. 

આમતો આ વેબસાઈટ બનાવવાનો મારો કોઈ મુખ્ય ઈરાદો નહોતો. મેતો માત્ર મારા કોલેજકાળ દરમિયાન મેં ગુજરાતીમાં કેટલીક ટૂકીવાર્તાઓ લખી હતી. હવે તો હું સ્કૂલમાં સર્વિસ કરું છું એટલે એવી વાર્તાઓ લખવાનો સમય મળતો નથી. પરંતુ મારી પહેલાની લખેલી વાર્તાઓ પ્રકાશિત કરવાની મારી ઈચ્છા હતી. એવામાં મને ઈન્ટરનેટ પર કોઈક વેબસાઈટ પર ગુજરાતીમાં લખેલું દેખાયું. એના પરથી મને ગુજરાતી વેબસાઈટ બનાવવાની ઈચ્છા થઇ. એના માટે મેં ગૂગલે પર ગુજરાતી વેબસાઈટ લખીને ઘણું સર્ચ કર્યું. ત્યારે મને ઘણા બ્લોગ દેખાયા. એ મેં ઓપન કરીને જોયા તો સંપૂર્ણ ગુજરાતીમાં હતા. ત્યારે મને ખબર પડી કે ગુજરાતી વેબસાઈટને વેબસાઈટ નહિ પણ બ્લોગ કહેવાય.

આટલું ખબર પડતા મેં ગુજરાતી બ્લોગ જગત વિષે ઈન્ટરનેટ પર ઘણું સમુદ્રમંથન કર્યું. એમાંથી ઘણા કીમતી રત્નો મને પ્રાપ્ત થયા તેને ભેગા કરતો રહ્યો. આ રીતે સર્ચ કરતા કરતા મને ત્રણ વર્ષ બાદ પોતાની વેબસાઈટ કઈ રીતે બનાવવી એની માહિતી પ્રાપ્ત થઇ. ઘણા બધા વેબ હોસ્ટ મને મળ્યા એની સહાયથી અને પ્રાપ્ત માહિતી મૂજબ મેં પોતાનો  બ્લોગ બનાવવાના ઘણા પ્રયત્નો કર્યા. અને અંતે મને એમાં સફળતા મળી. અને મેં એપ્રિલ 2013 માં "શબ્દસરિતા બ્લોગ" નામથી વર્ડપ્રેસમાં મારો એક પ્રથમ બ્લોગ બનાવ્યો. અને આ બ્લોગને આજ દિન સુધી આપનો ખુબજ પ્રેમ અમને મળતો રહ્યો છે. આજે પણ હું આપની જૂની કોમેન્ટ વાંચું છુ તો મને આગળ હજુ વધુ લખવાની પ્રેરણા મળતી રહે છે.

બ્લોગ તો બની ગયો પણ હવે પ્રશ્ન એ થયો કે એ બ્લોગ પર મુકવું શું? ફક્ત મારી દસ વાર્તાઓ જ મુકવામાં આવે તો વેબસાઈટ કે બ્લોગનો કોઈ મતલબ રહેતો નથી. અને બીજી વાત એ કે આ વ્યસ્ત જિંદગીમાં મારી દસ વાર્તાઓનું ગુજરાતી ટાઈપીંગ કરવાનો સમય ક્યાથી કાઢવો? તેમ છતાં જેટલી થાય એટલી વાર્તાઓ ટાઈપ કરીને મે મૂકી. અને પછી આટલા વખતના સમુદ્રમંથન માંથી મને જે ખજાનો પ્રાપ્ત થયો હતો તેને વર્ગીકૃત કરીને મેં મારા આ બ્લોગ પર મુક્યો છે. એટલે આમ જુઓ તો મારા આ બ્લોગનો મુખ્ય ઉદ્દેશ મારી વાર્તાઓ પ્રકાશિત કરવાનો હતો. પણ એ કામ બાજુ પર રહ્યું. અને હવે મારા બ્લોગનો મુખ્ય ઉદ્દેશ માતૃભાષા અને તેના સાહિત્યની સેવા કરવાનો બની ગયો છે. ગુજરાતી ભાષાનું ઓનલાઈન સાહિત્ય અને તેની લીન્કો લોકોને હાથવગી કરી આપવી એ જ હવે મારા આ બ્લોગ નો મુખ્ય ઉદ્દેશ બની ગયો છે.

પરંતુ અમને જણાવતા દુખ થાય છે કે શબ્દસારિતા એક અવ્યાવસાયિક બ્લોગ હોવાથી કોઈ આવક નથી. તેથી તેને મેનેજ કરવા માટે કોઈજ ખર્ચ કરવામાં આવ્યો નથી. ફ્રી ડોમેઈન અને વર્ડપ્રેસની ફ્રી હોસ્ટિંગ પર જ આ બ્લોગ ચાલતો હતો. હવે વર્ડપ્રેસ દ્વારા ફ્રી પ્લાનમાં હોસ્ટિંગની સ્પેસ પણ ઘટાડી દીધી છે. ફ્રી પ્લગીનનો ઉપયોગ કરવા માટે પણ એનો પેઇડ પ્લાન લેવો ફરજિયાત થઈ ગયો છે. એના થીમ પણ થોડા થોડા સમયે એક્સપાયર થઈ જાય છે. અને દરેક વખતે નવા થીમમાં સ્વિચ થવું પડે છે. જેમાં સમયની બરબાદી થાય છે. અને દરેક વખતે બ્લોગનો લૂક પણ બદલાઇ જાય છે. જે મારા તેમજ વાચકો બંને માટે બાધારૂપ બને છે. તેથી મજબૂરીમાં શબ્દસરિતા બ્લોગ અમારે બંધ કરવો પડે છે. 

અત્યારે તમે આ “વાઈબ્સ ગુજરાતી” નામથી જે બ્લોગ વાંચી રહ્યા છો એ શબ્દસરિતા બ્લોગનું જ એક નવું અને અધ્યતન  સંસ્કરણ  છે. બ્લોગના લેબલ, કેટેગરી, અને અન્ય ટાઈટલો આધુનિક પેઢી જેવી કે જેનઝી, જનરેશન આલ્ફા અને જનરેશન બીટાને પસંદ આવે એવા મોર્ડન રાખ્યા છે. વધારાની ઇમેજો દૂર કરવામાં આવી છે. ફક્ત ટેક્સ્ટના સ્વરૂપે એકદમ સિમ્પલ ઇન્ટરફેશ સાથે આંખ ના ખેંચાય અને રાત્રે પણ સરળતાથી સૂતાં સૂતાં વાંચી શકાય એવો ડાર્ક થીમ રાખવામાં આવ્યો છે. કેટલાક નવા આર્ટિકલો અને નવી કથા વાર્તાઓ પણ ઉમેરવામાં આવી છે. એક્સપાયર થઇ ગયેલી જૂની લીન્કો દૂર કરવામાં આવી છે. વર્ડપ્રેસની જગ્યાએ બ્લોગરનો હોસ્ટિંગ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. વાંચવામાં ડિસ્ટર્બ કરે એવા ફાલતુ વિજેટો હટાવી દેવાયા છે. ફક્ત વાંચનને ધ્યાનમાં લઈને બ્લોગનું આવું ક્લીન ઇન્ટરફેસ રાખવામા આવ્યું છે. આમ શબ્દસરિતા બ્લોગ જ હવે નવા નામ અને નવી ઓળખ સાથે “વાઈબ્સ ગુજરાતી” રૂપે આપની સમક્ષ પ્રસ્તુત થાય છે. આ નવા વાઈબ્સ ગુજરાતી બ્લોગ પર  જૂના શબ્દસરિતા બ્લોગ પરની મોટા ભાગની  કૃતિઓ ફરીથી પ્રકાશિત કરવામાં આવી છે. ફક્ત પધ્ય કૃતિઓ અને જૂના આઉટ ડેટેડ થઈ ગયેલા આર્ટિકલો હટાવી દેવાયા છે. આ બ્લોગ પર ફક્ત ગધ્ય કૃતો જ રાખવામા આવી છે. અને એ સિવાય પણ બીજી અનેક ઘણી કૃતિઓ હવે અહી રેગ્યુલર મુકાતી રહેશે. સાર્વજનિક પ્રકાશન અધિકાર હેઠળ આવતા પુસ્તકો પણ અહી પ્રકાશિત કરવામાં આવશે. કોઈ પણ લિન્ક એક્સપાયર ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવામા આવશે. અને સૌથી મહત્વનુ એ કે અહી વાચકો, લેખકો તેમજ દરેકના મેઈલના બને એટલા જડપી પ્રત્યુત્તર આપવાનો હું મારો શક્ય પ્રયાસ કરીશ. આમ આ ફ્રી અને અવ્યાવસાયિક બ્લોગ હોવા છતા એને વ્યવસ્થિત મેનેજ કરવા હું મારાથી થઈ શકે એટલો  પ્રયત્ન હું જરૂર કરીશ.

અત્યારના એ આઈના યુગમાં જન્મેલા આલ્ફા અને બીટા જનરેશનના લોકોને વાંચનમાં જ કોઈ રસ નથી. વિવેચન, પકિર્ણ, નિબંધ, સમાજદર્શન, પ્રવાસવર્ણન, નાટક, મધ્યકાલીન સાહિત્ય વગેરે જેવા સાહિત્યસ્વરૂપો તો જાણે એમની બુધ્ધિ ક્ષમતાથી બહારની વસ્તુઓ છે. દુખની વાત તો એ છે કે, અત્યારના કેટલાક લોકો તો આ પ્રકારના સાહિત્યને સાહિત્ય પણ નથી સમજતા. એમને જો વાર્તા પણ થોડી લાંબી હોય તો કંટાળો આવી જાય છે. યુટ્યુબ પર પણ તેઓ લાંબા જ્ઞાનપ્રદ વિડીયો જોવાને બદલે શોર્ટ વિડીયો વધુ પસંદ કરે છે.  માટે આ પ્રકારનું મૂલ્યવાન સાહિત્ય આ બ્લોગ પર પ્રકાશિત કરી હું એમને બોર કરવા ઇચ્છતો નથી. મારો ઉદ્દેશ્ય એજ છે કે કોઈપણ જનરેશનમાં જન્મેલો માણસ મારો આ બ્લોગ જોઈને વાંચવા પ્રેરાય.અને દરેક વ્યક્તિને આનંદ પ્રાપ્ત થાય  એ હેતુથી મે અહી મોટેભાગે નવલકથાઓ, ટૂકીવાર્તાઓ, અને લોકસાહિત્ય જેવા રસપ્રદ સાહિત્ય સ્વરૂપોને જ આ બ્લોગ પર સ્થાન આપ્યું છે. તેમજ વાંચનની સાથે સાથે સાંભળી શકાય તેવા ઓડિયો પુસ્તકો પણ મારા ક્લાઉડ સ્ટોરેજની લિન્ક મારફતે પૂરા પાડવાનો પણ મે શક્ય પ્રયત્ન કર્યો છે.

આમ આ બ્લોગની રચના એક આકસ્મિક રીતે થઇ છે ગુજરાતી સાહિત્યને પુસ્તકોના અને સામયિકોના સીમાડાઓમાંથી બહાર લાવી વિશ્વના વિશાળ ફલક પર વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો એક તદ્દન અવ્યવસાયિક અને અંગત પ્રયત્ન છે. મારા  આ બ્લોગનો આ જ એકમાત્ર ઉદ્દેશ છે જેના દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી ગુજરાતી ભાષાના અસ્તિત્વને સાચવવાનો આ પ્રયાસ છે અને આની પાછળ કોઈ પણ આર્થિક હીત સંકળાયેલું નથી. ભાષા પ્રત્યેનો સ્નેહ અને તેને વિશ્વના દરેક ખૂણે વધુ ને વધુ વંચાતી કરવાની અભિલાષા એ જ મારા  આ બ્લોગનો પાયાનો વિચાર છે. 

મારા બ્લોગના વાચકોને બ્લોગ પર આવતી એડ કે જાહેરાતોથી વાચવામાં ખલેલ ન પડે એ હેતુથી આ બ્લોગ પર કોઈ જ એડસેન્સ લગાવ્યું નથી કે પૈસા માટે બ્લોગને મોનિટાઈઝ પણ કરાવ્યો નથી. છતાં પણ જો કોઈ ને અહીં એડ દેખાય તો એ ગુગલ દ્વારા મારી મરજી વિરુદ્ધ આપવામાં આવતી એડ હોઈ શકે છે. હવે હું જો આપના માટે ફ્રીમાં આટલી મહેનત કરતો હોઉં તો આપની પણ ફરજ બને છે કે આ બ્લોગ વાંચો, વંચાવો, શેર કરી વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચાડો અને સૌથી મહત્વનું એ કે કોમેન્ટ કરવાનું કષ્ટ ઉઠાવી મને થોડું મોટીવેશન મળતું રહે એવા નાના નાના પ્રયત્નો કરો. “જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.”

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...