મુખ્ય સામગ્રી પર જાઓ

૨૦ પરસ્ત્રી અને કામીજન વિષે કવિ શામળ ભટ્ટના છપ્પા

 પરસ્ત્રીવિષયક કવિ શામળ ભટના છપ્પા


પરનારીશું પ્રીત, દેહમાં દુ:ખ ઘણેરૂં;

પરનારીશું પ્રીત, થાય અઘ અતિ અનેરૂં:

પરનારીશું પ્રીત, ખરે તનમાં ક્ષય રોગ;

પરનારીશું પ્રીત, ભાગ્યહીણાના ભોગ;


પરનારી સાથે પ્રીત છે, પડિયો પા૫પ્રસંગમાં;

કવિ શામળ ભટ સાચું કહે, ઉચાટ ઉપજે અંગમાં. ૧


પરનારીશું પ્રીત, તેને ભેાજન નવ ભાવે;

પરનારીશું પ્રીત, સુખ નિદ્રા નવ આવે;

પરનારીશું પ્રીત, હરી સેવા નવ સૂજે;

પરનારીશું પ્રીત, બુદ્ધિ સારી નવ બૂઝે;


એ પાપરુપ પરનાર છે, અપજશ ઉપજે આપના;

શામળ પ્રીત પરનારશું, બોળે બોંતેર બાપના. ૨


પરનારીશું પ્રીત, નવે ગ્રહ તેને રૂઠ્યા;

પરનારીશું પ્રીત, અગ્નિ વરસાદ જ વૂઠ્યા;

પરનારીશું પ્રીત, પનોતિ લોહને પાયે;

પરનારીશું પ્રીત, જરૂર ન સ્વર્ગે જાયે;


પરનારીકેરી પ્રીતથી, અગ્નિ અાંચ નિત્ય નિત્ય ખમે;

શામળ કહે સાચું માનજે, ગુણવંતાને નવ ગમે. ૩


અગ્નિ આગળ ધૃત, તરત ઉકળે તે તાપે;

માનનિ આગળ મરદ, રહે ક્યમ આપે આપે;

તસ્કર આગળ દ્રવ્ય, કહે દીઠું કયમં મૂકે;

તેતર બાજનિ પાસ, ચેટ કરતાં નવ ચૂકે;


લોભી આગળ લક્ષ્મી અને, જુવતિ પાસ નર જે હશે;

કવિ શામળ કહે સોબત મળે, જરર લાજ તેની જશે;


અગ્ની ઉપર ઉદક, ઉકળતાં વાર ન લાગે;

દારૂને દેવતા, મળે ભડકો થઈ ભાગે;

તરણી ઊગ્યે તિમિર, તુરત નિરખંતાં નાસે;

તડકો પડતાં ટાઢ, પડેલી ન રહે પાસે;


પ્રમદાની આગળ ત્યમ પુરુષ, એકાંતે જો એ મળે;

શામળ કહે જે સત્યવાદિયો, તેય લૂણ જળમાં ગળે. ૫


સો કાયર એક શૂર, નાસતાં તે પણ નાસે;

જેને સંગતિ જૂઠ, જૂઠનો બેસે પાસે;

કાજળ કેાટડિમાંહિ, પ્રવિણ પૂરો થઈ પેસે;

રાખે શુભ સંભાળ, ડાઘ તેને પણ બેસે;


પ્રમદાસંગે પણ પુરુષ તે, કામવિવશ થાયે સહી;

શામળ કહે સજ્જન પુરુષ તો, પરિસ્ત્રિ પાસ વસે નહી. ૬


શિવ સરખાય સમર્થ, ભોળવ્યા ભિલડી રાણી;

ઇંદ્ર અહલ્યા નાર, ગયો જ્યાં છે ગોરાણી;

તરુણી તારાસાથ, વિવેકી વાળિ વળુંધ્યો;

બૃહસ્પતીની નારિ, તેહશું શશી શશી સલુંધ્યો;


કામાને સંગે કોટિધા, પવિત્ર થયા કુપાત્ર છે:

શામળ કહે શામા આગળે, માનવિ તે કુણ માત્ર છે. ૭


પરસ્ત્રિથી સુખ હાણ, પરસ્ત્રી સંગે પાપ;

પરસ્ત્રિ નરકનિ ખાણ, ત્રિવિધના ઉપજે તાપ;

પરસ્ત્રિગત પ્રભુ દૂર, પરસ્ત્રી ગૂણ ઘટાવે:

તે તાતી તરવાર, કોઈ દિન શીશ કટાવે;


પરનારીને જે પરહરે, તે ડહાવા કહેવાય છે;

શામળ પરનારી સંગથી, જિવનું જોખમ થાય છે. ૮


પરસ્ત્રિ પાપનું વૃક્ષ, બીજ છે ઝેરજ કેરૂં;

પરસ્ત્રિ શોકનું સદન, પરસ્ત્રી દુ:ખ અનેરૂં ;



પરસ્ત્રિ રગરગ રોગ, પરસ્ત્રી જ્વરવત જાણો;

પરસ્ત્રિ શૂળી સાત, અધિક એથી ઉર આણો;


પરનારિ પિંડ હરનાર છે, પરસ્ત્રિ છે પરતક્ષ છરી;

શામળ પરનારી સંગથી, નથિ બેઠો નર કો ઠરી. ૯


પરનારીશું સ્નેહ, પુરે નર તે તો પાપી;

પરનારીશું સ્નેહ, સદા તે શિવનો શાપી;

પરનારીશું સ્નેહ, રામ તેને તો રૂઠ્યો;

પરનારીશું સ્નેહ, તેહનો દહાડો ઊઠ્યો;


પરનારી સાથે સ્નેહ તો, દુખ કુંગર ડોલ્યા સદા:

શામળ કહે સુખ સ્વપને નહી, કષ્ટ વિકટ ન ટળે કદા. ૧૦


પરનારીશું પ્રીત, કાળ ચંદ્રમા કહાવ્યો;

પરનારીશું પ્રીત, એ જ ઘર અપજશ આવ્યો:

પરનારીશું પ્રીત, દેહ તેની તો દહિયે;

પરનારીશું પ્રીત, પનોતી લોહનિ હઇયેઃ


દુખ દરીદ્રદાવાનળ બળે, ઘણા કષ્ટના ગરકમાં;

શામળ પ્રીતી પરનારની, નિશ્ચે નાંખે નરકમાં: ૧૧


પરનારીશું પ્રીત, કામ સારૂં નવ સૂજે;

પરનારીશું પ્રીત, પ્રભૂને તે નવ પૂજે;

પરનારીશું પ્રીત, ધર્મ પણ તે નવ ધારે;

પરનારીશું પ્રીત, હોડમાં તે તો હારે;


અપજશ અણલેખે એહનો, અહંકાર અન્યા ઘણો;

શામળ કહે સુખ પરવરિયું, પ્યાર થયો પરસ્ત્રી તણો. ૧૨


પરનારીશું પ્રીત, પંડ પરવશ છે તેનો;

પરનારીશું પ્રીત, જીવ જોખમમાં જેનો;

પરનારીશું પ્રીત, રીત તેની નહિ રૂડી;

પરનારીશું પ્રીત, બુદ્ધિ તેની તો બૂડી;


છે પરનારી પાળી સમી, કાયરોગ એ કારમો;

શામળ પરસ્ત્રી વશ જે પડ્યો, તેને ચંદ્રમા બારમો. ૧૩


પરનારીશું પ્રીત, અલછ તેને તો પેઠી;

પરનારીશું પ્રીત, દશા રાહુની બેઠી;

પરનારીશું પ્રીત, પિશાચનિ પીડા સહિયે;

પરનારીશું પ્રીત, વિઘન ત્યાં કોટિક કહિયે;


પરનારી કેરી પ્રીતથી, ગદ્ધાઈના ગરકમાં;

કવિ શામળ ભટ સાચું કહે, નિશ્ચે જાશે નરકમાં. ૧૪


પરનારીશું પ્રીત, લોકમાં લજ્જા જાય!

પરનારીશું પ્રીત, લછ લૂટી લે રાય;

પરનારીશું પ્રીત, બાપની લાજ ન બૂઝે;

પરનારીશું પ્રીત, સત્યની વાત ન સૂઝે;


નહિ રામનામ હૃદયે રહે, પીછે નહિ તે પુન્યમાં;

શામળ પરસ્ત્રીની પ્રીતથી, શબવત હીંડે શૂન્યમાં. ૧૫


પ્રીત વિના પરનાર, સ્નેહ ન કરે તે સાથે;

પ્રીત વિના પરનાર, હોડથી નાવે હાથે;

પ્રીત વિના પરનાર, જોરથી કોઈ નવ જીતે;

પ્રીત વિના પરનાર, છત્રપતિ છે પણ છી તે;


વળિ પ્રીત વિના પરનારિ તે, વશ વરતી થાયે નહી;

શામળ સંપૂર્ણ સ્નેહથી, શામા વશ થાયે સહી. ૧૬


પરસ્ત્રિ સંગે પાપ, બહુસ્ત્રિ હત્યા બેસે;

પરસ્ત્રિ સંગે પાપ, નરક કુંડે નર પેસે;

એક પત્નિ શ્રીરામ, દિલે પોતાને દાખી;

સત્યવતિ સીતાય, રીત ઘણિ રૂડી રાખી;


બુદ્ધી નિધિ બીજાં બાપડાં, કામજીત કો નવ થયાં;

તે જન્મ મરણ જોખમ જરા, કોટિ વિધન કવિયે કહ્યાં. ૧૭


છાનો ન રહે ચોર, રહે નહિ છાની ચાડી;

છાનું ન રહે પાપ, અકલ ફેલાવે આડી;

છાનો ન રહે મેહ, રહે નહિ છાની રહેણી,

ન રહે છાનું પ્રભાત, તથા કીરતી કે કહેણી;


છાની ન રહે વિદ્યા ભણી, સુગંધિ છાની નવ રહે;

ત્યમ પ્રીત છાનિ પરનારશું, છાનિ ન રહે શામળ કહે. ૧૮


કામીજનવિષયક કવિ શામળભટના છપ્પા


કામી ન જુએ કર્મ, કામિ જન ધર્મ ન ધારે;

કામીને શી શરમ, કામિજન મરે કે મારેઃ

કામી ન સૂજે કામ, શાસ્ત્રની વાત ન સૂજે;

કામી ન ભજે રામ, બુદ્ધિ એકે નવ બૂઝે;


કોટી અવગુણ કામીતણા, ધર્મ મારગે નવ ધસે;

અપજશ જે અવની ઉપરે, કામાતુરને તન વસે. ૧૯


કાં રાજા કાં રંક, કોણ નર કે કો નારી;

કામાતુરે કલંક, હોડ હિંમત જાય હારી;

પૃથ્વીમાં જે પાપ, રોગ ક્ષય આદિક દેહે;

ત્રિલોકમાં પરિતાપ, નકી પરનારી નેહે;


લાખો વીંછીની વેદના, દુખ દિવાનના દંડમાં;

શામળ કહે કોઈ રખે કરો, પ્રીત પરસ્ત્રી પંડમાં. ૨૦

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...