મુખ્ય સામગ્રી પર જાઓ

૨૦ પરસ્ત્રી અને કામીજન વિષે કવિ શામળ ભટ્ટના છપ્પા

 પરસ્ત્રીવિષયક કવિ શામળ ભટના છપ્પા


પરનારીશું પ્રીત, દેહમાં દુ:ખ ઘણેરૂં;

પરનારીશું પ્રીત, થાય અઘ અતિ અનેરૂં:

પરનારીશું પ્રીત, ખરે તનમાં ક્ષય રોગ;

પરનારીશું પ્રીત, ભાગ્યહીણાના ભોગ;


પરનારી સાથે પ્રીત છે, પડિયો પા૫પ્રસંગમાં;

કવિ શામળ ભટ સાચું કહે, ઉચાટ ઉપજે અંગમાં. ૧


પરનારીશું પ્રીત, તેને ભેાજન નવ ભાવે;

પરનારીશું પ્રીત, સુખ નિદ્રા નવ આવે;

પરનારીશું પ્રીત, હરી સેવા નવ સૂજે;

પરનારીશું પ્રીત, બુદ્ધિ સારી નવ બૂઝે;


એ પાપરુપ પરનાર છે, અપજશ ઉપજે આપના;

શામળ પ્રીત પરનારશું, બોળે બોંતેર બાપના. ૨


પરનારીશું પ્રીત, નવે ગ્રહ તેને રૂઠ્યા;

પરનારીશું પ્રીત, અગ્નિ વરસાદ જ વૂઠ્યા;

પરનારીશું પ્રીત, પનોતિ લોહને પાયે;

પરનારીશું પ્રીત, જરૂર ન સ્વર્ગે જાયે;


પરનારીકેરી પ્રીતથી, અગ્નિ અાંચ નિત્ય નિત્ય ખમે;

શામળ કહે સાચું માનજે, ગુણવંતાને નવ ગમે. ૩


અગ્નિ આગળ ધૃત, તરત ઉકળે તે તાપે;

માનનિ આગળ મરદ, રહે ક્યમ આપે આપે;

તસ્કર આગળ દ્રવ્ય, કહે દીઠું કયમં મૂકે;

તેતર બાજનિ પાસ, ચેટ કરતાં નવ ચૂકે;


લોભી આગળ લક્ષ્મી અને, જુવતિ પાસ નર જે હશે;

કવિ શામળ કહે સોબત મળે, જરર લાજ તેની જશે;


અગ્ની ઉપર ઉદક, ઉકળતાં વાર ન લાગે;

દારૂને દેવતા, મળે ભડકો થઈ ભાગે;

તરણી ઊગ્યે તિમિર, તુરત નિરખંતાં નાસે;

તડકો પડતાં ટાઢ, પડેલી ન રહે પાસે;


પ્રમદાની આગળ ત્યમ પુરુષ, એકાંતે જો એ મળે;

શામળ કહે જે સત્યવાદિયો, તેય લૂણ જળમાં ગળે. ૫


સો કાયર એક શૂર, નાસતાં તે પણ નાસે;

જેને સંગતિ જૂઠ, જૂઠનો બેસે પાસે;

કાજળ કેાટડિમાંહિ, પ્રવિણ પૂરો થઈ પેસે;

રાખે શુભ સંભાળ, ડાઘ તેને પણ બેસે;


પ્રમદાસંગે પણ પુરુષ તે, કામવિવશ થાયે સહી;

શામળ કહે સજ્જન પુરુષ તો, પરિસ્ત્રિ પાસ વસે નહી. ૬


શિવ સરખાય સમર્થ, ભોળવ્યા ભિલડી રાણી;

ઇંદ્ર અહલ્યા નાર, ગયો જ્યાં છે ગોરાણી;

તરુણી તારાસાથ, વિવેકી વાળિ વળુંધ્યો;

બૃહસ્પતીની નારિ, તેહશું શશી શશી સલુંધ્યો;


કામાને સંગે કોટિધા, પવિત્ર થયા કુપાત્ર છે:

શામળ કહે શામા આગળે, માનવિ તે કુણ માત્ર છે. ૭


પરસ્ત્રિથી સુખ હાણ, પરસ્ત્રી સંગે પાપ;

પરસ્ત્રિ નરકનિ ખાણ, ત્રિવિધના ઉપજે તાપ;

પરસ્ત્રિગત પ્રભુ દૂર, પરસ્ત્રી ગૂણ ઘટાવે:

તે તાતી તરવાર, કોઈ દિન શીશ કટાવે;


પરનારીને જે પરહરે, તે ડહાવા કહેવાય છે;

શામળ પરનારી સંગથી, જિવનું જોખમ થાય છે. ૮


પરસ્ત્રિ પાપનું વૃક્ષ, બીજ છે ઝેરજ કેરૂં;

પરસ્ત્રિ શોકનું સદન, પરસ્ત્રી દુ:ખ અનેરૂં ;



પરસ્ત્રિ રગરગ રોગ, પરસ્ત્રી જ્વરવત જાણો;

પરસ્ત્રિ શૂળી સાત, અધિક એથી ઉર આણો;


પરનારિ પિંડ હરનાર છે, પરસ્ત્રિ છે પરતક્ષ છરી;

શામળ પરનારી સંગથી, નથિ બેઠો નર કો ઠરી. ૯


પરનારીશું સ્નેહ, પુરે નર તે તો પાપી;

પરનારીશું સ્નેહ, સદા તે શિવનો શાપી;

પરનારીશું સ્નેહ, રામ તેને તો રૂઠ્યો;

પરનારીશું સ્નેહ, તેહનો દહાડો ઊઠ્યો;


પરનારી સાથે સ્નેહ તો, દુખ કુંગર ડોલ્યા સદા:

શામળ કહે સુખ સ્વપને નહી, કષ્ટ વિકટ ન ટળે કદા. ૧૦


પરનારીશું પ્રીત, કાળ ચંદ્રમા કહાવ્યો;

પરનારીશું પ્રીત, એ જ ઘર અપજશ આવ્યો:

પરનારીશું પ્રીત, દેહ તેની તો દહિયે;

પરનારીશું પ્રીત, પનોતી લોહનિ હઇયેઃ


દુખ દરીદ્રદાવાનળ બળે, ઘણા કષ્ટના ગરકમાં;

શામળ પ્રીતી પરનારની, નિશ્ચે નાંખે નરકમાં: ૧૧


પરનારીશું પ્રીત, કામ સારૂં નવ સૂજે;

પરનારીશું પ્રીત, પ્રભૂને તે નવ પૂજે;

પરનારીશું પ્રીત, ધર્મ પણ તે નવ ધારે;

પરનારીશું પ્રીત, હોડમાં તે તો હારે;


અપજશ અણલેખે એહનો, અહંકાર અન્યા ઘણો;

શામળ કહે સુખ પરવરિયું, પ્યાર થયો પરસ્ત્રી તણો. ૧૨


પરનારીશું પ્રીત, પંડ પરવશ છે તેનો;

પરનારીશું પ્રીત, જીવ જોખમમાં જેનો;

પરનારીશું પ્રીત, રીત તેની નહિ રૂડી;

પરનારીશું પ્રીત, બુદ્ધિ તેની તો બૂડી;


છે પરનારી પાળી સમી, કાયરોગ એ કારમો;

શામળ પરસ્ત્રી વશ જે પડ્યો, તેને ચંદ્રમા બારમો. ૧૩


પરનારીશું પ્રીત, અલછ તેને તો પેઠી;

પરનારીશું પ્રીત, દશા રાહુની બેઠી;

પરનારીશું પ્રીત, પિશાચનિ પીડા સહિયે;

પરનારીશું પ્રીત, વિઘન ત્યાં કોટિક કહિયે;


પરનારી કેરી પ્રીતથી, ગદ્ધાઈના ગરકમાં;

કવિ શામળ ભટ સાચું કહે, નિશ્ચે જાશે નરકમાં. ૧૪


પરનારીશું પ્રીત, લોકમાં લજ્જા જાય!

પરનારીશું પ્રીત, લછ લૂટી લે રાય;

પરનારીશું પ્રીત, બાપની લાજ ન બૂઝે;

પરનારીશું પ્રીત, સત્યની વાત ન સૂઝે;


નહિ રામનામ હૃદયે રહે, પીછે નહિ તે પુન્યમાં;

શામળ પરસ્ત્રીની પ્રીતથી, શબવત હીંડે શૂન્યમાં. ૧૫


પ્રીત વિના પરનાર, સ્નેહ ન કરે તે સાથે;

પ્રીત વિના પરનાર, હોડથી નાવે હાથે;

પ્રીત વિના પરનાર, જોરથી કોઈ નવ જીતે;

પ્રીત વિના પરનાર, છત્રપતિ છે પણ છી તે;


વળિ પ્રીત વિના પરનારિ તે, વશ વરતી થાયે નહી;

શામળ સંપૂર્ણ સ્નેહથી, શામા વશ થાયે સહી. ૧૬


પરસ્ત્રિ સંગે પાપ, બહુસ્ત્રિ હત્યા બેસે;

પરસ્ત્રિ સંગે પાપ, નરક કુંડે નર પેસે;

એક પત્નિ શ્રીરામ, દિલે પોતાને દાખી;

સત્યવતિ સીતાય, રીત ઘણિ રૂડી રાખી;


બુદ્ધી નિધિ બીજાં બાપડાં, કામજીત કો નવ થયાં;

તે જન્મ મરણ જોખમ જરા, કોટિ વિધન કવિયે કહ્યાં. ૧૭


છાનો ન રહે ચોર, રહે નહિ છાની ચાડી;

છાનું ન રહે પાપ, અકલ ફેલાવે આડી;

છાનો ન રહે મેહ, રહે નહિ છાની રહેણી,

ન રહે છાનું પ્રભાત, તથા કીરતી કે કહેણી;


છાની ન રહે વિદ્યા ભણી, સુગંધિ છાની નવ રહે;

ત્યમ પ્રીત છાનિ પરનારશું, છાનિ ન રહે શામળ કહે. ૧૮


કામીજનવિષયક કવિ શામળભટના છપ્પા


કામી ન જુએ કર્મ, કામિ જન ધર્મ ન ધારે;

કામીને શી શરમ, કામિજન મરે કે મારેઃ

કામી ન સૂજે કામ, શાસ્ત્રની વાત ન સૂજે;

કામી ન ભજે રામ, બુદ્ધિ એકે નવ બૂઝે;


કોટી અવગુણ કામીતણા, ધર્મ મારગે નવ ધસે;

અપજશ જે અવની ઉપરે, કામાતુરને તન વસે. ૧૯


કાં રાજા કાં રંક, કોણ નર કે કો નારી;

કામાતુરે કલંક, હોડ હિંમત જાય હારી;

પૃથ્વીમાં જે પાપ, રોગ ક્ષય આદિક દેહે;

ત્રિલોકમાં પરિતાપ, નકી પરનારી નેહે;


લાખો વીંછીની વેદના, દુખ દિવાનના દંડમાં;

શામળ કહે કોઈ રખે કરો, પ્રીત પરસ્ત્રી પંડમાં. ૨૦

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...