મુખ્ય સામગ્રી પર જાઓ

કોઈની પણ આંખની શરમ ન રાખો

લેખક:- આશુ પટેલ
છ દાયકા અગાઉ એ સમયના વિખ્યાત અભિનેતા દેવ આનંદ ‘ગાઈડ’ ફિલ્મ બનાવી રહ્યા હતા. એ ફિલ્મના સંગીત માટે તેમણે એસ.ડી. બર્મનને સાઇન કર્યા હતા. એ સમયમાં એક દિવસ અચાનક એસ. ડી, બર્મનને હાર્ટ એટેક આવી ગયો. એમને તાત્કાલિક સારવાર મળી ગઈ એટલે એ બચી તો ગયા, પણ ડોક્ટરે એમને થોડા મહિના ફરજિયાત આરામ કરવા કહ્યું.

આવાં મુશ્કેલ સમયમાં બીજો કોઈ પ્રોડ્યુસર હોત તો એણે બીજા સંગીતકારને લઈને ફિલ્મનું કામ ચાલુ રાખ્યું હોત, પણ દેવ આનંદે એવું ન કર્યું. એમણે ફિલ્મનું શૂટિંગ મોડું શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો.એમણે શૂટિંગ છ મહિના માટે મુલતવી રાખી દીધું.

દેવ આનંદને ઘણા દોઢ ડાહ્યાઓએ સલાહ આપી કે બીજા સંગીતકારને સાઇન કરી લો, પણ દેવ આનંદે કહ્યું કે ‘આ ફિલ્મનું સંગીત તો બર્મનદાદા જ બનાવશે, ભલે મારે એમના માટે છ મહિના રાહ જોવી પડે…’ આ દરમિયાન કેટલાક અન્ય મોટા નિર્માતાઓએ એસ.ડી. બર્મન પાસેથી કામ પાછું લઈ કોઈ બીજા સંગીતકારને સોંપી દીધું, પણ દેવ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા. એ પછી એસ.ડી.બર્મન સાજા થઈ ગયા અને એમણે ‘ગાઈડ’ ફિલ્મના સંગીત પર ફરીથી કામ શરૂ કર્યું. પોતાને હાર્ટ અટેક આવ્યો એને કારણે દેવ આનંદની ફિલ્મ અટકી પડી એ માટે એમને અફસોસ થતો હતો. એટલે એમણે માત્ર પાંચ દિવસમાં ‘ગાઈડ’ ફિલ્મનાં બધાં જ ગીતો તૈયાર કરી દીધાં. દેવ આનંદને તો એમના પર પૂરો વિશ્વાસ હતો એટલે એમણે એક ગીત છોડીને બધાં ગીતોને તરત મંજૂરી આપી દીધી.

બર્મનદાદાએ બનાવેલું એક ગીત દેવ આનંદને પસંદ ન પડ્યું. જોકે બર્મનદાદાને પોતાની ધૂન અને સંગીત પર પૂરો વિશ્વાસ હતો. દેવ આનંદ મુંબઈમાં એ ગીતના રેકોર્ડીંગ પછી ફિલ્મના શૂટિંગ માટે ઉદયપુર પહોંચ્યા, પણ એમને એ એક ગીત પસંદ નહોતું પડ્યું. એમણે સાથીઓ સાથે આ વાતની ચર્ચા પણ કરી અને એમણે યુનિટના સભ્યોને પેલું ગીત સંભળાવ્યું. જ્યારે યુનિટના સભ્યોએ એ ગીત સાંભળ્યું ને બધાએ એના ખૂબ વખાણ કર્યાં, પણ દેવ હજુ પણ માનવા તૈયાર નહોતા.

આ ગીતનું શૂટિંગ ઉદયપુરમાં કરવાનું હતું.
ફિલ્મના દિગ્દર્શક દેવ આનંદના ભાઈ વિજય આનંદે વચલો રસ્તો કાઢતા કહ્યું કે ‘અત્યારે તો આ ગીતનું શૂટિંગ કરી લઈએ, પછી આ ગીત ફિલ્મમાં સારું ન લાગે તો બીજું ગીત રેકોર્ડ કરી લઈશું.’

આમ આ ગીતનું શૂટિંગ શરૂ થયું. એ ગીત માટે જેટલા દિવસો શૂટિંગ ચાલ્યું એ દરમિયાન દેવ આનંદે એક વાત નોંધી કે યુનિટના બધા જ સભ્યો સેટ પરથી હોટેલ સુધી જાય ત્યારે આ જ ગીત ગાઈ રહ્યા હતા.

એ ગીતનું શૂટિંગ તો થઈ ગયું, પણ પછી ફિલ્મના આગળના શૂટિંગ દરમિયાન પણ દેવ આનંદે કેટલાય અઠવાડિયાઓ સુધી યુનિટના સૌને એ જ ગીત ગાતાં સાંભળ્યા. અંતે એમણે પણ સ્વીકારી લીધું કે આ ગીત ફિલ્મમાં રહેશે અને એ પણ સ્વીકાર્યું કે આ ગીત જેમ છે એમ જ ફિલ્મમાં મુકાશે.

જ્યારે ‘ગાઈડ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારબાદ રાગ મિશ્ર ભૈરવીમાં તૈયાર કરાયેલું પેલું જ ગીત એ ફિલ્મનું સૌથી હિટ ગીત સાબિત થયું. આજેય એ હિન્દી ફિલ્મ સંગીતનું અમર ગીત માનવામાં આવે છે. એ ગીત એટલે ‘આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફીર મરને કા ઈરાદા હૈ..!.’

શૈલેન્દ્રએ લખેલાં આ ગીતની એક વિશેષતા એ હતી કે એસ.ડી. બર્મને આ ગીતને એક જ ધૂન પર તૈયાર કર્યું હતું. સામાન્ય રીતે ફિલ્મી ગીતોમાં સૌથી વધુ મહેનત મુખડા પર થાય છે. એકવાર મુખડું બની જાય, પછી અંતરા તૈયાર થાય.

અંતરા અલગ રીતે કમ્પોઝ થાય છે અને છેલ્લી લાઇન ફરી મુખડાની ધૂન સાથે મળી જાય છે, પણ આ ગીતમાં જે મુખડું છે એટલે કે ‘કાંટોં સે ખીંચ કે યે આંચલ…’એ જ ધૂન અંતરાઓમાં પણ ગવાય છે પછી તે ‘અપને હી બસ મેં નહીં મેં…’ હોય કે ‘મૈં હૂં ગુબાર યા તૂફાં હૂં…’ હોય.

આ એક અનોખો પ્રયોગ હતો, જે એસ.ડી. બર્મને આ ગીતમાં કર્યો હતો જ્યાં આખું ગીત, એટલે કે મુખડું અને અંતરા બધું એક જ ધૂનમાં બનાવાયું હતું.

દોસ્તો, આ કિસ્સા પરથી બે વાતની પ્રેરણા લેવા જેવી છે. એક તો તમને જે માણસમાં વિશ્વાસ હોય એનો ખરાબ સમય આવે તો પણ એને પડતો ન મૂકવો. અને બીજી વાત એ કે પોતાના કામ પર ભરોસો હોય તો કોઈની પણ આંખની શરમ ન રાખવી જોઈએ.

બર્મનદાદા પાસે સંગીત તૈયાર કરાવવા માટે છ મહિના રાહ જોઈ અને પછી દેવ આનંદને ગીત ન ગમ્યું તો બર્મનદાદાએ એવું ન કહ્યું કે ‘તેમને આ ગીત નથી ગમ્યું તો હું બીજી ધૂન તૈયાર કરી દઉં…’.

જો દેવ આંનદે બીજા સંગીતકારને લઈને કામ આગળ ધપાવ્યું હોત અથવા તો એસ.ડી. બર્મને બીજી ધૂન બનાવી આપી હોત તો આપણે આવા એક અદભુત ગીતથી વંચિત રહી ગયા હોત!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...