મુખ્ય સામગ્રી પર જાઓ

કોઈની પણ આંખની શરમ ન રાખો

લેખક:- આશુ પટેલ
છ દાયકા અગાઉ એ સમયના વિખ્યાત અભિનેતા દેવ આનંદ ‘ગાઈડ’ ફિલ્મ બનાવી રહ્યા હતા. એ ફિલ્મના સંગીત માટે તેમણે એસ.ડી. બર્મનને સાઇન કર્યા હતા. એ સમયમાં એક દિવસ અચાનક એસ. ડી, બર્મનને હાર્ટ એટેક આવી ગયો. એમને તાત્કાલિક સારવાર મળી ગઈ એટલે એ બચી તો ગયા, પણ ડોક્ટરે એમને થોડા મહિના ફરજિયાત આરામ કરવા કહ્યું.

આવાં મુશ્કેલ સમયમાં બીજો કોઈ પ્રોડ્યુસર હોત તો એણે બીજા સંગીતકારને લઈને ફિલ્મનું કામ ચાલુ રાખ્યું હોત, પણ દેવ આનંદે એવું ન કર્યું. એમણે ફિલ્મનું શૂટિંગ મોડું શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો.એમણે શૂટિંગ છ મહિના માટે મુલતવી રાખી દીધું.

દેવ આનંદને ઘણા દોઢ ડાહ્યાઓએ સલાહ આપી કે બીજા સંગીતકારને સાઇન કરી લો, પણ દેવ આનંદે કહ્યું કે ‘આ ફિલ્મનું સંગીત તો બર્મનદાદા જ બનાવશે, ભલે મારે એમના માટે છ મહિના રાહ જોવી પડે…’ આ દરમિયાન કેટલાક અન્ય મોટા નિર્માતાઓએ એસ.ડી. બર્મન પાસેથી કામ પાછું લઈ કોઈ બીજા સંગીતકારને સોંપી દીધું, પણ દેવ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા. એ પછી એસ.ડી.બર્મન સાજા થઈ ગયા અને એમણે ‘ગાઈડ’ ફિલ્મના સંગીત પર ફરીથી કામ શરૂ કર્યું. પોતાને હાર્ટ અટેક આવ્યો એને કારણે દેવ આનંદની ફિલ્મ અટકી પડી એ માટે એમને અફસોસ થતો હતો. એટલે એમણે માત્ર પાંચ દિવસમાં ‘ગાઈડ’ ફિલ્મનાં બધાં જ ગીતો તૈયાર કરી દીધાં. દેવ આનંદને તો એમના પર પૂરો વિશ્વાસ હતો એટલે એમણે એક ગીત છોડીને બધાં ગીતોને તરત મંજૂરી આપી દીધી.

બર્મનદાદાએ બનાવેલું એક ગીત દેવ આનંદને પસંદ ન પડ્યું. જોકે બર્મનદાદાને પોતાની ધૂન અને સંગીત પર પૂરો વિશ્વાસ હતો. દેવ આનંદ મુંબઈમાં એ ગીતના રેકોર્ડીંગ પછી ફિલ્મના શૂટિંગ માટે ઉદયપુર પહોંચ્યા, પણ એમને એ એક ગીત પસંદ નહોતું પડ્યું. એમણે સાથીઓ સાથે આ વાતની ચર્ચા પણ કરી અને એમણે યુનિટના સભ્યોને પેલું ગીત સંભળાવ્યું. જ્યારે યુનિટના સભ્યોએ એ ગીત સાંભળ્યું ને બધાએ એના ખૂબ વખાણ કર્યાં, પણ દેવ હજુ પણ માનવા તૈયાર નહોતા.

આ ગીતનું શૂટિંગ ઉદયપુરમાં કરવાનું હતું.
ફિલ્મના દિગ્દર્શક દેવ આનંદના ભાઈ વિજય આનંદે વચલો રસ્તો કાઢતા કહ્યું કે ‘અત્યારે તો આ ગીતનું શૂટિંગ કરી લઈએ, પછી આ ગીત ફિલ્મમાં સારું ન લાગે તો બીજું ગીત રેકોર્ડ કરી લઈશું.’

આમ આ ગીતનું શૂટિંગ શરૂ થયું. એ ગીત માટે જેટલા દિવસો શૂટિંગ ચાલ્યું એ દરમિયાન દેવ આનંદે એક વાત નોંધી કે યુનિટના બધા જ સભ્યો સેટ પરથી હોટેલ સુધી જાય ત્યારે આ જ ગીત ગાઈ રહ્યા હતા.

એ ગીતનું શૂટિંગ તો થઈ ગયું, પણ પછી ફિલ્મના આગળના શૂટિંગ દરમિયાન પણ દેવ આનંદે કેટલાય અઠવાડિયાઓ સુધી યુનિટના સૌને એ જ ગીત ગાતાં સાંભળ્યા. અંતે એમણે પણ સ્વીકારી લીધું કે આ ગીત ફિલ્મમાં રહેશે અને એ પણ સ્વીકાર્યું કે આ ગીત જેમ છે એમ જ ફિલ્મમાં મુકાશે.

જ્યારે ‘ગાઈડ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારબાદ રાગ મિશ્ર ભૈરવીમાં તૈયાર કરાયેલું પેલું જ ગીત એ ફિલ્મનું સૌથી હિટ ગીત સાબિત થયું. આજેય એ હિન્દી ફિલ્મ સંગીતનું અમર ગીત માનવામાં આવે છે. એ ગીત એટલે ‘આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફીર મરને કા ઈરાદા હૈ..!.’

શૈલેન્દ્રએ લખેલાં આ ગીતની એક વિશેષતા એ હતી કે એસ.ડી. બર્મને આ ગીતને એક જ ધૂન પર તૈયાર કર્યું હતું. સામાન્ય રીતે ફિલ્મી ગીતોમાં સૌથી વધુ મહેનત મુખડા પર થાય છે. એકવાર મુખડું બની જાય, પછી અંતરા તૈયાર થાય.

અંતરા અલગ રીતે કમ્પોઝ થાય છે અને છેલ્લી લાઇન ફરી મુખડાની ધૂન સાથે મળી જાય છે, પણ આ ગીતમાં જે મુખડું છે એટલે કે ‘કાંટોં સે ખીંચ કે યે આંચલ…’એ જ ધૂન અંતરાઓમાં પણ ગવાય છે પછી તે ‘અપને હી બસ મેં નહીં મેં…’ હોય કે ‘મૈં હૂં ગુબાર યા તૂફાં હૂં…’ હોય.

આ એક અનોખો પ્રયોગ હતો, જે એસ.ડી. બર્મને આ ગીતમાં કર્યો હતો જ્યાં આખું ગીત, એટલે કે મુખડું અને અંતરા બધું એક જ ધૂનમાં બનાવાયું હતું.

દોસ્તો, આ કિસ્સા પરથી બે વાતની પ્રેરણા લેવા જેવી છે. એક તો તમને જે માણસમાં વિશ્વાસ હોય એનો ખરાબ સમય આવે તો પણ એને પડતો ન મૂકવો. અને બીજી વાત એ કે પોતાના કામ પર ભરોસો હોય તો કોઈની પણ આંખની શરમ ન રાખવી જોઈએ.

બર્મનદાદા પાસે સંગીત તૈયાર કરાવવા માટે છ મહિના રાહ જોઈ અને પછી દેવ આનંદને ગીત ન ગમ્યું તો બર્મનદાદાએ એવું ન કહ્યું કે ‘તેમને આ ગીત નથી ગમ્યું તો હું બીજી ધૂન તૈયાર કરી દઉં…’.

જો દેવ આંનદે બીજા સંગીતકારને લઈને કામ આગળ ધપાવ્યું હોત અથવા તો એસ.ડી. બર્મને બીજી ધૂન બનાવી આપી હોત તો આપણે આવા એક અદભુત ગીતથી વંચિત રહી ગયા હોત!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...