મુખ્ય સામગ્રી પર જાઓ

સેવક હોવામાં શરમ શાની ?

અમદાવાદના એરપોર્ટ પર એક વૃદ્ધ મહિલા ટેક્સીવાળા સાથે ઝઘડી રહ્યા હતા. એ વિનંતી કરી રહ્યા હતા કે, ટેક્સીવાળો ગાડીના બૂટમાંથી એમને એમની વજનદાર બેગ ઉતારી આપે, ટેક્સીવાળાએ જવાબ આપ્યો, ‘એ મારું કામ નથી.’ લગભગ 65-70 વર્ષના મહિલા અને 35 વર્ષનો પુરુષ, ટેક્સીવાળો હોય કે નહીં, એક વયસ્ક વ્યક્તિને મદદ કરવાની એક યુવાનની ફરજ ખરી કે નહીં? એની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો એણે વળી આગળ સંભળાવ્યું, ‘હું તો ગ્રેજ્યુએટ છું. નોકરી નથી માટે જ આ ટેક્સી ચલાવું છું. સામાન ન ઉપાડું...’ 

કેવી નવાઈની વાત! શિક્ષિત અને સમજદાર પરિવારમાંથી આવતો આ છોકરો પોતાના અહંકારને કારણે એક વૃધ્ધ મહિલાની મદદ કરવાની ના પાડે! એને સામાન ઉપાડવાનું કામ નાનું લાગે છે, કારણ કે એને કોઈએ એવું શીખવ્યું જ નથી, કે સેવા કરવામાં પણ સન્માન અને આદર મળે છે. કામ મોટું કે નાનું નથી હોતું, એની સાથે જોડાયેલો સેવાનો ભાવ સન્માનને પાત્ર છે. 

આ વાત આપણને સૌથી પહેલાં ‘રામાયણ’માં શીખવા મળે છે. રામાયણના ત્રીજા સર્ગમાં જ્યારે રામ અને લક્ષ્મણ હનુમાનને પ્રથમ વખત મળે છે ત્યારે રામ કહે છે, ‘આ હનુમાનના ઉત્તમ સંભાષણ પરથી જણાય છે કે એમણે વેદોનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે કારણ કે, વેદને નહીં જાણનારો કોઈ પુરુષ આવું ઉત્તમ અને સ્પષ્ટ સંભાષણ કરી શકે નહીં... હૃદય કંઠ તથા મુખમાં સમાનભાવે રહેલી હનુમાનની વાણીથી ચિત્ત પ્રસન્ન થાય છે, જે રાજાને હનુમાન જેવો દૂત ન હોય એના કાર્યો સિધ્ધ ન થઈ શકે...’ આ હનુમાનની પહેલી ઓળખાણ છે. 

અહીંથી વાલી અને સુગ્રીવની કથા શરૂ થાય છે... પરંતુ, મહત્વની વાત એ છે કે, જે જ્ઞાની છે, બળવાન છે અને ચતુર છે એવા હનુમાન રામના શરણમાં જઈને એના સેવક, એના દૂત બનવાનો સ્વીકાર કરે છે, એનાથી પ્રસ્થાપિત થાય છે કે, કોઈનું કામ કરવાથી આપણું જ્ઞાન કે બળ ઘટી જતાં નથી! જે હનુમાન સૂર્યને ફળ માનીને ગળી જઈ શકે, એની શક્તિનો અંદાજ કેમ કરીને મળે? જે રામ અને લક્ષ્મણને એક સાથે પોતાના ખભે બેસાડીને લઈ જઈ શકે, સૂક્ષ્મરૂપ કે વિશાળરૂપ ધરી શકે, સમુદ્ર પાર કરી શકે, સમગ્ર લંકાનગર સળગાવી શકે... અને સૌથી મહત્વનું, આખો પહાડ ઉઠાવી શકે એ શું ન કરી શકે? લક્ષ્મણ મૂર્છિત થાય છે ત્યારે હનુમાન જે પહાડ ઉઠાવી લાવ્યા તે ઉત્તરાખંડના દ્રોણાગિરી પર્વતમાળામાંથી હોવાનું માનવામાં આવે છે અને તેનું નામ ઓષાધિપર્વત હોવાનું માનવામાં આવે છે પરંતુ તેને સામાન્ય રીતે ગંધમાદન પર્વત તરીકે ઓળખવામાં આવે છે. રામકથામાં હનુમાન ઔષધિ ઓળખી નથી શકતા એમ કહેવાય છે, પરંતુ આવો વિચારશીલ વ્યક્તિ કદાચ એમ વિચારે કે, ‘ફક્ત લક્ષ્મણ જ શું કામ? સૈન્યમાં જેને જરૂર હોય તેને આ સંજીવની અને અન્ય ઔષધિઓથી મદદ મળી શકે, તો આખો પર્વત જ લઈ જઈએ!’ આવા, સૌનો વિચાર કરનાર, બળવાન અને બુધ્ધિવાન વ્યક્તિ જ્યારે કોઈના સેવક બનવાનું સ્વીકારે, ત્યારે એમાં કોઈ શરમ કે એમના વ્યક્તિત્વને હાનિ પહોંચાડતી વાત ન જ હોય! હા, સ્વામિ પણ એ પ્રકારના હોવા જોઈએ કે જે પોતાના દૂત કે સેવકના ગુણ જાણે, એનું સન્માન કરે અને એની સેવાને અત્યંત આદરથી સ્વીકારે! 

સીતાજીની શોધ માટે જ્યારે જુદા જુદા વીર, જુદી જુદી દિશામાં જાય છે ત્યારે સુગ્રીવ હનુમાનને કહે છે, ‘હે કપિશ્રેષ્ઠ હનુમાન! સમગ્ર પૃથ્વી, અંતરિક્ષ દેવોના સ્વર્ગાદિ લોકો તથા જળ એ વગેરે કોઈપણ સ્થળે તમારી ગતિનો અટકાવ થાય એમ હું જોતો નથી. તમે તમારા મહાતેજસ્વી પિતા વાયુ સરખા જ છો. આખી પૃથ્વીમાં તમારા સરખું તેજસ્વી કોઈપણ પ્રાણી નથી. બળ, બુધ્ધિ, પરાક્રમ, દેશકાળને અનુસરવું તથા ન્યાય, એ સઘળા ગુણોએ તમારામાં જ વાસ કર્યો છે.’ 
જેમ રામ સહિત અન્ય લોકો હનુમાનના ગુણો જાણે છે, એવી જ રીતે હનુમાન પોતે પણ પોતાના ગુણો વિશે સભાન છે, અહંકારી નથી. વાલ્મીકિ રામાયણમાં 65મા સર્ગમાં લંકા તરફ પ્રયાણ કરતા પહેલાં હનુમાન સ્વયં કહે છે, ‘પર્વતોનાં શિખરોને તોડી પાડનાર, અપ્રમેય બળવાન, આકાશમાં ગતિ કરનાર, અગ્નિમિત્ર વાયુદેવ છે, એ શીઘ્ર ગતિ કરનાર મહાત્મા મરુતનો હું ઔરસ પુત્ર છું. મારા બાહુબળ વડે ખળભળાવેલા સાગરમાં પર્વત, નદી અને પાણીના કુંડો સહિત સર્વ લોકોને બોળી દેવા હું સમર્થ છું. 

પક્ષીરાજ ગરૂડ જેટલી ગતિથી ઊડી શકે છે તેના કરતાં હજારગણી વધારે ગતિથી હું ઊડી શકું તેમ છું. હું દસ હજાર યોજન સુધી કૂદી શકું તેમ છું. હું આખી લંકાને મૂળમાંથી ઉખેડી લાવવા સમર્થ છું.’ આ બધું હોવા છતાં એમનામાં એક એવી નમ્રતા છે જેને કારણે રામ એમને પોતાના ભાઈ ભરત જેટલા જ પ્રિય અને હૃદયની નિકટ ગણે છે. 

હનુમાન ભલે પોતાને ‘રામના સેવક’ કહે, પરંતુ રામ એમને પોતાના ‘ભાઈ’ કહે છે, એમને પોતાના મિત્ર ગણે છે.

સ્વામી અને સેવક વચ્ચેનો આ અતૂટ, નિરઅહંકારી અને સ્નેહપૂર્ણ સંબંધ ત્યારે જ શક્ય છે જ્યારે બંને પક્ષે એકમેક પરત્વે અત્યંત આદરની લાગણી હોય. હનુમાન આપણને શીખવે છે કે, સેવક હોવામાં શરમ નથી... બલ્કે જો પૂર્ણ પ્રામાણિકતાથી અને સાચી ભક્તિથી, સાચા હૃદયથી આપણે સેવક બની શકીએ તો સ્વામિએ પણ અંતે આપણને હૃદયસરસા ચાંપીને સ્વીકારવા પડે! હનુમાન એક એવા સેવકનું ઉદાહરણ છે જેણે પોતાના સમર્પણથી શ્રેષ્ઠ સન્માન મેળવ્યું છે! એમની પાસે સ્વામિ કરતાં પણ વધારે બળ છે, કદાચ! પરંતુ, એ પોતાના બળ કે બુધ્ધિનું પ્રદર્શન અથવા અહંકાર કરવાને બદલે નારાયણના પરમતત્વ સામે નમન કરે છે. એમને પોતાના હૃદયમાં પ્રસ્થાપિત કરે છે અને માટે નારાયણ પણ એમને હૃદયથી સ્નેહ કરે છે.
અર્જુન અને હનુમાનની સરખામણીમાં એક સૌથી મહત્વનો મુદ્દો એ છે કે, અર્જુન માટે કૃષ્ણ ‘મિત્ર’ છે, સ્વામિ નથી બની શકતા... કદાચ એટલે જ, અર્જુનને ‘વિષાદયોગ’ થાય છે જ્યારે હનુમાન સંપૂર્ણ સમર્પણથી રામના સ્વામિત્વનો સ્વીકાર કરે છે તેથી તેમને એ આદર અને સન્માન મળે છે જે માટે એ યોગ્ય પૂરવાર થાય છે.

‘કામ મારું છે કે નહીં’ એવું વિચારવાને બદલે હનુમાન જયંતીના દિવસે ‘કામ સારું છે કે નહીં’ અથવા ‘કામ સાચું છે કે નહીં’ એમ વિચારતા થઈએ તો કદાચ સેવક બનીને પણ સ્વામિના હૃદયમાં સ્થાન મેળવી શકીએ…

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...