મુખ્ય સામગ્રી પર જાઓ

સમયની કિંમત

એક હતા સાધુ મહાત્મા. દૂર જંગલમાં મઢૂલી બાંધીને રહે. આજુબાજુના ગામમાં એમની ભારે મોટી નામના. શરીરે વાઘનું ચામડું વીંટાળે. લોકો એમના આશીર્વાદ લેવા પડાપડી કરે. કોઈ કહેતું એમની ઉંમર દોઢસો વર્ષની છે. અમારા દાદાના દાદાએ એમને આવા જ જોયેલા. મહાત્માજી ભારે પવિત્ર. લોકોને ઉપદેશ આપે. લોકો તેમની વાત ધ્યાનથી સાંભળે. સુખદુ:ખમાં કેમ રહેવું તે જાણી આનંદ પામતા ઘેર જાય. આ મહાત્માજીનાં દર્શને એક પંદર વર્ષનો બ્રાહ્મણનો છોકરો આવે. તેનું નામ વેણીશંકર. વેણીશંકરના મા-બાપ મરી ખૂટેલાં. ઘેર એકલો. તેને મહાત્માજીની સેવા કરવાનું મન થયું.

એક દિવસ તેણે બાબાજીને કહ્યું : બાબાજી, મને તમારો ચેલો બનાવશો?’ મહાત્માજીએ ભોળા યુવાન સામે જોયું. ‘બેટા, તું હજી કુમળી વયનો છે. તારે હજુ સંસાર જોવો જોઈએ. લગ્ન કરવાં જોઈએ, પાછલી ઉંમરમાં સાધુ બનજે !’ પણ વેણીશંકરે તો સેવા કરવાની હઠ લીધી. મહાત્માજીએ છોકરા વિશે લોકોને પૂછપરછ કરી. વેણીશંકર એકલો જ હતો. મહાત્માજીએ એને ચેલા તરીકે સ્વીકાર્યો. વેણીશંકર ઘેર તાળું મારી મહાત્માજીની સેવામાં લાગી ગયો. રોજ મઢૂલીને વાળીઝૂડી સાફ કરે, પાણી ભરી લાવે, જંગલમાંથી ફળ-ફૂલ વીણી લાવે. ગુરુજી રોજ એક કલાક તેને ઉપદેશ આપે.

આમ દિવસો વીતી ગયા, વર્ષો પણ વીત્યાં. એક દિવસ ગુરુજીને થયું કે, હવે વેણીશંકરને પાછો મોકલવો જોઈએ. તેમણે વેણીશંકરને પાસે બોલાવી કહ્યું : ‘બેટા, હવે તારે તારા ગામ જવું જોઈએ.’ ગુરુજીની વાત સાંભળી તેને પોતાનું ગામ…તેનું ઘર સાંભર્યું. ઘેર જઈને ખાવું શું? તેને યાદ આવી ગયું કે ખરચી માટે ગુરુજીને વાત કરું. લોકો કહે છે કે ગુરુજી પાસે પારસમણિ છે. જે લોઢાને અડતાં જ સોનું બનાવી દે છે. જો પારસમણિ મળી જાય તો જિંદગીની નિંરાત થઈ જાય!

તેણે ધીરે રહીને વાત ઉપાડી : ‘ગુરુજી, મારી એક વિનંતી છે!’ ગુરુજી કહે, ‘બોલ…’

‘મને પારસમણિ આપો તો મારા સંસારનું ગાડું ચાલ્યું જાય.’ ગુરુજી થોડીવાર વિચારમાં પડી ગયા. પછી ધીરેથી કહે, ‘વેણી, જો તને બે દિવસ માટે પારસમણિ આપું છું. આજ માટે અને કાલ માટે. કાલ સાંજે હું પાછો લેવા તારા ઘેર આવીશ.’

વેણીશંકરને થયું કે, બે દિવસ તો ઘણા છે. અરે એક કલાક પણ મળે તોય બહુ કહેવાય! કેટલું લોઢું સોનામાં ફેરવી શકાય!’ તેણે હાથ જોડી ગુરુજીને કહ્યું : ‘ભલે, આપ કાલે સાંજે મારે ત્યાં પધારજો.’ ગુરુજીએ ઝોળીમાંથી પારસમણિ કાઢયો. તેની સામે ઘીનો દીવો પેટાવ્યો. ધૂપ-દીપ કરી થોડા મંત્રો ભણ્યા. સદગુરુને આ વિધિ કરતા જોઈ વેણીશંકર હાથ જોડી બેસી રહ્યો. થોડી વારમાં પારસમણિમાં દીવા જેવું તેજ પ્રગટ્યું. ગુરુજીએ તેને એક ડબીમાં રૂ સાથે મૂકી ડબી બંધ કરી આપી. ‘જો…આ ત્રણ દિવસે નકામો બની જશે. જે કરવું હોય તે કાલ સાંજ સુધીમાં કરજે. હું કાલ સાંજે આવી પાછો લઈ જઈશ.

વેણીશંકર પ્રણામ કરી વિદાય થયો. એનું ગામ જરા દૂર હતું. કંઈ વાહન હતું નહીં, તેથી ચાલતો ઘેર ગયો. પણ થાકી ગયો. બપોર પછી ઘેર પહોંચ્યો. ઘરને વાડીઝૂડી સાફ કર્યું. પછી તેણે વિચાર કર્યો કે, કયા લોખંડને પારસમણિ અડાડવો! ઘરમાં ઝાઝું લોખંડ નથી એટલે બજારમાં જઈ લોખંડનાં મણીકં લઈ આવું! દસેક મણીકાંને પારસમણિ અડાડીશું એટલે જિંદગીનું દળદર મટી જશે. એને થાકના લીધે ઊંઘ આવતી હતી, એટલે થયું કે લાવને જરા ઊંઘ ખેંચી લઉં, હજુ તો કાલનો આખો દિવસ બાકી છે.

જેવો સૂતો કે ઘસઘસાટ ઊંઘી ગયો. આંખ ખુલી તો સૂરજ આથમવા ગયો હતો. એણે ઝટપટ કપડાં પહેર્યાં. ઊપડ્યો બજારમાં. પણ નસીબ બે ડગલાં આગળ હતું. કોઈ તહેવારના લીધે ગામની બજારો બંધ હતી.

‘કંઈ વાંધો નહીં, કાલે બજારમાં આવીશ.’ આમ નક્કી કરી ઘેર ગયો. રસોઈ બનાવી જમ્યો, પછી ઊંઘી ગયો. બીજો દિવસ થયો. સવારમાં નાહી-ધોઈ પૂજામાં બેઠો. મોડેથી રસોઈ કરી. પછી બજારમાં નીકળ્યો. વેપારીને ત્યાં મણીકાંની તપાસ કરી. મણીક એટલે મણ. (વીસ કિલો જેટલું જૂનું કાટલું) એક જ દુકાને એને દસ મણનાં કાટલાં થોડાં મળે?’ બહુ બહુ તો બે કાટલાં હોય!

એક દુકાનદારે તેને પૂછ્યું : ‘કેમ મહારાજ, દસ મણીકાં તમારે શું કામ જોઈએ છે?’

‘મારે મણીકાં પૂજવાં છે !’ વેણીશંકરે મજાકમાં જવાબ આપ્યો.

‘તમને પૈસા ચૂકવીએ છીએ…..પછી શી પંચાત?’

દુકાનદાર કહે, ‘આ તો સહજ પૂછું છું! કહો તો બધી દુકાનેથી મણીકાં ભેળાં કરી પછી લારીમાં મૂકી મજૂર જોડે તમારે ઘેર મોકલું!’ ‘હા, તો પછી એમ કરો…ઘેર મોકલી આપો. હું ઘેર જ છું. તમારા ભરોસે કામ છોડું છું.’

‘તમતમારે બેફિકર રહો, જાવ.’ દુકાનદાર બોલ્યો. વેણીશંકર ગયો. એટલે દુકાનદાર પણ આડો પડ્યો. ગાદી પર બેસનાર પણ આળસુ હોય છે. સમય વહેવા લાગ્યો. સાંજ પડી ગઈ. વેણીશંકર હાંફળો-ફાંફળો દુકાનદાર પાસે આવ્યો. ‘અરે…મહારાજ હમણાં એકઠાં કરું. બીજી દુકાનેથી મંગાવતાં કેટલી વાર?’ સૂરજ આથમી જશે એ બીકે વેણીશકરે તાકીદ કરી. મજૂર બધી દુકાને ફરી વળ્યો. દસ મણીકાં એકઠાં થયાં. તેણે લારીમાં મૂકી ઘેર લાવ્યાં.

વેણીશંકર ઉતાવળો ઉતાવળો ઘેર પહોંચ્યો. પણ સમય વીતી ગયો હતો. સૂરજદાદા એમનું રતુંમડું મોં ધરતીની ગોદમાં છુપાવી ગયા. વેણીશંકરે ઝટપટ ઘીનો દીવો પેટાવ્યો. પારસમણિ કાઢી એક મણીકાંને અડાડી જોયો…પણ તે તો લોખંડનું લોખંડ રહ્યું. વેણીશંકરે કપાળ કૂટ્યું. એવામાં પેલા ગુરુજી આવી પહોંચ્યા. ‘વેણીશંકર સમય વીતી ગયો. પારસમણિ?’ વેણીશંકર ગુરુજીને પગે લાગ્યો. બધી હકીકત રડતાં રડતાં કહી સંભળાવી.

ગુરુજી કહે, ‘મૂરખ, તારા નસીબ આડેથી પાંદડું ન ખસ્યું. આજનું કામ કાલ પર ન કરાય! તને બે દિવસ મળ્યા હતા. ફટ ભૂંડા! પારસમણિને ઘરની ચીજો….લોખંડના કડાં, સાંકળ, ખીલા, ખીલીઓ, કોશ, પાવડો….જે મળે તેને અડાડ્યો હોત તો! પણ તું લોભમાં તણાયો. બધું જ ગુમાવ્યું. તારા લોભને થોભ નથી. વળી આજનું કામ અત્યારે જ કરવાની ત્રેવડ નથી. માટે તારાં કરમ ભોગવ. હવે પારસમણિ તો ફરીથી સિદ્ધ નહીં થાય. પણ આ લે સોનાની કંઠી…તેમાંથી આજીવિકા ચલાવજે!’ મહાત્માજી પારસમણિ લઈને વિદાય થયા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...