મુખ્ય સામગ્રી પર જાઓ

સમયની કિંમત

એક હતા સાધુ મહાત્મા. દૂર જંગલમાં મઢૂલી બાંધીને રહે. આજુબાજુના ગામમાં એમની ભારે મોટી નામના. શરીરે વાઘનું ચામડું વીંટાળે. લોકો એમના આશીર્વાદ લેવા પડાપડી કરે. કોઈ કહેતું એમની ઉંમર દોઢસો વર્ષની છે. અમારા દાદાના દાદાએ એમને આવા જ જોયેલા. મહાત્માજી ભારે પવિત્ર. લોકોને ઉપદેશ આપે. લોકો તેમની વાત ધ્યાનથી સાંભળે. સુખદુ:ખમાં કેમ રહેવું તે જાણી આનંદ પામતા ઘેર જાય. આ મહાત્માજીનાં દર્શને એક પંદર વર્ષનો બ્રાહ્મણનો છોકરો આવે. તેનું નામ વેણીશંકર. વેણીશંકરના મા-બાપ મરી ખૂટેલાં. ઘેર એકલો. તેને મહાત્માજીની સેવા કરવાનું મન થયું.

એક દિવસ તેણે બાબાજીને કહ્યું : બાબાજી, મને તમારો ચેલો બનાવશો?’ મહાત્માજીએ ભોળા યુવાન સામે જોયું. ‘બેટા, તું હજી કુમળી વયનો છે. તારે હજુ સંસાર જોવો જોઈએ. લગ્ન કરવાં જોઈએ, પાછલી ઉંમરમાં સાધુ બનજે !’ પણ વેણીશંકરે તો સેવા કરવાની હઠ લીધી. મહાત્માજીએ છોકરા વિશે લોકોને પૂછપરછ કરી. વેણીશંકર એકલો જ હતો. મહાત્માજીએ એને ચેલા તરીકે સ્વીકાર્યો. વેણીશંકર ઘેર તાળું મારી મહાત્માજીની સેવામાં લાગી ગયો. રોજ મઢૂલીને વાળીઝૂડી સાફ કરે, પાણી ભરી લાવે, જંગલમાંથી ફળ-ફૂલ વીણી લાવે. ગુરુજી રોજ એક કલાક તેને ઉપદેશ આપે.

આમ દિવસો વીતી ગયા, વર્ષો પણ વીત્યાં. એક દિવસ ગુરુજીને થયું કે, હવે વેણીશંકરને પાછો મોકલવો જોઈએ. તેમણે વેણીશંકરને પાસે બોલાવી કહ્યું : ‘બેટા, હવે તારે તારા ગામ જવું જોઈએ.’ ગુરુજીની વાત સાંભળી તેને પોતાનું ગામ…તેનું ઘર સાંભર્યું. ઘેર જઈને ખાવું શું? તેને યાદ આવી ગયું કે ખરચી માટે ગુરુજીને વાત કરું. લોકો કહે છે કે ગુરુજી પાસે પારસમણિ છે. જે લોઢાને અડતાં જ સોનું બનાવી દે છે. જો પારસમણિ મળી જાય તો જિંદગીની નિંરાત થઈ જાય!

તેણે ધીરે રહીને વાત ઉપાડી : ‘ગુરુજી, મારી એક વિનંતી છે!’ ગુરુજી કહે, ‘બોલ…’

‘મને પારસમણિ આપો તો મારા સંસારનું ગાડું ચાલ્યું જાય.’ ગુરુજી થોડીવાર વિચારમાં પડી ગયા. પછી ધીરેથી કહે, ‘વેણી, જો તને બે દિવસ માટે પારસમણિ આપું છું. આજ માટે અને કાલ માટે. કાલ સાંજે હું પાછો લેવા તારા ઘેર આવીશ.’

વેણીશંકરને થયું કે, બે દિવસ તો ઘણા છે. અરે એક કલાક પણ મળે તોય બહુ કહેવાય! કેટલું લોઢું સોનામાં ફેરવી શકાય!’ તેણે હાથ જોડી ગુરુજીને કહ્યું : ‘ભલે, આપ કાલે સાંજે મારે ત્યાં પધારજો.’ ગુરુજીએ ઝોળીમાંથી પારસમણિ કાઢયો. તેની સામે ઘીનો દીવો પેટાવ્યો. ધૂપ-દીપ કરી થોડા મંત્રો ભણ્યા. સદગુરુને આ વિધિ કરતા જોઈ વેણીશંકર હાથ જોડી બેસી રહ્યો. થોડી વારમાં પારસમણિમાં દીવા જેવું તેજ પ્રગટ્યું. ગુરુજીએ તેને એક ડબીમાં રૂ સાથે મૂકી ડબી બંધ કરી આપી. ‘જો…આ ત્રણ દિવસે નકામો બની જશે. જે કરવું હોય તે કાલ સાંજ સુધીમાં કરજે. હું કાલ સાંજે આવી પાછો લઈ જઈશ.

વેણીશંકર પ્રણામ કરી વિદાય થયો. એનું ગામ જરા દૂર હતું. કંઈ વાહન હતું નહીં, તેથી ચાલતો ઘેર ગયો. પણ થાકી ગયો. બપોર પછી ઘેર પહોંચ્યો. ઘરને વાડીઝૂડી સાફ કર્યું. પછી તેણે વિચાર કર્યો કે, કયા લોખંડને પારસમણિ અડાડવો! ઘરમાં ઝાઝું લોખંડ નથી એટલે બજારમાં જઈ લોખંડનાં મણીકં લઈ આવું! દસેક મણીકાંને પારસમણિ અડાડીશું એટલે જિંદગીનું દળદર મટી જશે. એને થાકના લીધે ઊંઘ આવતી હતી, એટલે થયું કે લાવને જરા ઊંઘ ખેંચી લઉં, હજુ તો કાલનો આખો દિવસ બાકી છે.

જેવો સૂતો કે ઘસઘસાટ ઊંઘી ગયો. આંખ ખુલી તો સૂરજ આથમવા ગયો હતો. એણે ઝટપટ કપડાં પહેર્યાં. ઊપડ્યો બજારમાં. પણ નસીબ બે ડગલાં આગળ હતું. કોઈ તહેવારના લીધે ગામની બજારો બંધ હતી.

‘કંઈ વાંધો નહીં, કાલે બજારમાં આવીશ.’ આમ નક્કી કરી ઘેર ગયો. રસોઈ બનાવી જમ્યો, પછી ઊંઘી ગયો. બીજો દિવસ થયો. સવારમાં નાહી-ધોઈ પૂજામાં બેઠો. મોડેથી રસોઈ કરી. પછી બજારમાં નીકળ્યો. વેપારીને ત્યાં મણીકાંની તપાસ કરી. મણીક એટલે મણ. (વીસ કિલો જેટલું જૂનું કાટલું) એક જ દુકાને એને દસ મણનાં કાટલાં થોડાં મળે?’ બહુ બહુ તો બે કાટલાં હોય!

એક દુકાનદારે તેને પૂછ્યું : ‘કેમ મહારાજ, દસ મણીકાં તમારે શું કામ જોઈએ છે?’

‘મારે મણીકાં પૂજવાં છે !’ વેણીશંકરે મજાકમાં જવાબ આપ્યો.

‘તમને પૈસા ચૂકવીએ છીએ…..પછી શી પંચાત?’

દુકાનદાર કહે, ‘આ તો સહજ પૂછું છું! કહો તો બધી દુકાનેથી મણીકાં ભેળાં કરી પછી લારીમાં મૂકી મજૂર જોડે તમારે ઘેર મોકલું!’ ‘હા, તો પછી એમ કરો…ઘેર મોકલી આપો. હું ઘેર જ છું. તમારા ભરોસે કામ છોડું છું.’

‘તમતમારે બેફિકર રહો, જાવ.’ દુકાનદાર બોલ્યો. વેણીશંકર ગયો. એટલે દુકાનદાર પણ આડો પડ્યો. ગાદી પર બેસનાર પણ આળસુ હોય છે. સમય વહેવા લાગ્યો. સાંજ પડી ગઈ. વેણીશંકર હાંફળો-ફાંફળો દુકાનદાર પાસે આવ્યો. ‘અરે…મહારાજ હમણાં એકઠાં કરું. બીજી દુકાનેથી મંગાવતાં કેટલી વાર?’ સૂરજ આથમી જશે એ બીકે વેણીશકરે તાકીદ કરી. મજૂર બધી દુકાને ફરી વળ્યો. દસ મણીકાં એકઠાં થયાં. તેણે લારીમાં મૂકી ઘેર લાવ્યાં.

વેણીશંકર ઉતાવળો ઉતાવળો ઘેર પહોંચ્યો. પણ સમય વીતી ગયો હતો. સૂરજદાદા એમનું રતુંમડું મોં ધરતીની ગોદમાં છુપાવી ગયા. વેણીશંકરે ઝટપટ ઘીનો દીવો પેટાવ્યો. પારસમણિ કાઢી એક મણીકાંને અડાડી જોયો…પણ તે તો લોખંડનું લોખંડ રહ્યું. વેણીશંકરે કપાળ કૂટ્યું. એવામાં પેલા ગુરુજી આવી પહોંચ્યા. ‘વેણીશંકર સમય વીતી ગયો. પારસમણિ?’ વેણીશંકર ગુરુજીને પગે લાગ્યો. બધી હકીકત રડતાં રડતાં કહી સંભળાવી.

ગુરુજી કહે, ‘મૂરખ, તારા નસીબ આડેથી પાંદડું ન ખસ્યું. આજનું કામ કાલ પર ન કરાય! તને બે દિવસ મળ્યા હતા. ફટ ભૂંડા! પારસમણિને ઘરની ચીજો….લોખંડના કડાં, સાંકળ, ખીલા, ખીલીઓ, કોશ, પાવડો….જે મળે તેને અડાડ્યો હોત તો! પણ તું લોભમાં તણાયો. બધું જ ગુમાવ્યું. તારા લોભને થોભ નથી. વળી આજનું કામ અત્યારે જ કરવાની ત્રેવડ નથી. માટે તારાં કરમ ભોગવ. હવે પારસમણિ તો ફરીથી સિદ્ધ નહીં થાય. પણ આ લે સોનાની કંઠી…તેમાંથી આજીવિકા ચલાવજે!’ મહાત્માજી પારસમણિ લઈને વિદાય થયા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...