મુખ્ય સામગ્રી પર જાઓ

કેવો જમાનો આવ્યો છે?

લેખક: ગુલાબદાસ બ્રોકર

મારું મિત્રમંડળ સારું એવું મોટું છે. ઘણું જ મોટું હતું, પણ હું એટલું બધું જીવ્યો કે એમાંથી ઘણાબધા, એક પછી એક આ જગત છોડીને ચાલ્યા ગયા. ને છતાંય હજી રહ્યા છે તે ઓછા નથી રહ્યા. તે મિત્રોમાં ભાઈઓ છે, લગભગ તેટલી જ બહેનો પણ છે. એ બધાં જ મિત્રો, ભાઈઓ અને બહેનો બધાં જ મારી જેમ સાહિત્ય વાંચવાનાં અને વાતો કરવાનાં શોખીન છે. તેમની સોબતમાં કલાકો ક્યાં ચાલ્યા જાય એની ખબર જ ન પડે. અને કેટલીક વાર તેમાં એવી વાતો નીકળે કે જીવનભર તે મારી સ્મૃતિની છીપમાં સચવાઈ રહે. એ બધી વાતો આનંદપ્રદ જ હોય એવું નહીં. વિષાદપ્રેરક પણ હોય, પણ જીવન ઉપર પ્રકાશ પાથરનારી તો હોય જ.

એવી એક વાત મને બહુ યાદ રહી ગઈ છે. હજી થોડા સમય પહેલાં જ એ વાત મને મારાં એક બહુ જ નજીકનાં મૈત્રિણીએ કરેલી. એ બહેન મારે ઘરે આવે ત્યારે મારા અને મારી પત્નીનાં મોં પર આનંદ પથરાઈ જાય. એમના મોં પર પથરાયેલો આનંદ પણ એ વાતની સાક્ષી પૂરે. પણ આ વખતે એ બહેને જે વાત કરી તે આનંદપ્રેરક નહોતી, પણ આપણા અત્યારના સમાજજીવનમાં કેવી આછકલાઈ, કેવી ક્ષુલ્લકતા જામી પડી છે તેની દ્યોતક હતી.

એ વાત આ પ્રમાણેની હતી :

એ બહેન પણ મારા જેવા વાતોનાં શોખીન. બહુશ્રુત અને વિદ્વાન પણ ખરાં. એટલે એમની પાસે અનેક બહેનો પોતાનાં સુખદુઃખની વાતો કરવા આવે. હમણાં થોડા સમય પહેલાં જ, એવી એક બહેન તેમને મળવા આવી. દુઃખી દુઃખી જેવી લાગતી હતી. હંમેશાં આનંદમાં રહેતી, અને આનંદ ફેલાવતી આ બહેનપણીને આવી વિષાદમય અને દુઃખી જેવી જોતાં એ બહેનને પણ દુઃખ થયું. તેમણે એને પૂછ્યું.

‘કેમ ? આજે તું આવી સોગિયણ ને દુખિયણ જેવી કેમ લાગે છે ? કંઈ થયું છે ?’

એ બાઈ રડવા જેવી થઈ ગઈ. માંડ માંડ બોલી : ‘મેં એક નિર્ણય કર્યો છે બહેન, તેથી એવી લાગું છું.’

‘એવો તે શો નિર્ણય કર્યો છે તે ?’ પેલાં બહેને આતુરતાથી પૂછ્યું.

‘એ નિર્ણય છે મારા પતિથી છૂટાછેડા લેવાનો.’ બોલતાં બોલતાં તેનો અવાજ જરા મક્કમ બની ગયો.

‘હેં ? હેં ? છૂટાછેડા ? પણ શા માટે ? તમે બંને કેવાં પ્રેમીપંખીડાં છો !’

‘એ જ દુઃખ છે ને ? પ્રેમી પંખીડાં હોય એ પ્રેમમાં જરા પણ વિધ્ન સહી શકે નહીં.’

‘પણ એવું તો શું થયું બહેન ? તું માંડીને વાત કર.’ કહેતાં તે તેની નજીક સર્યાં.

‘ગઈ કાલે રજા હતી, અને મેં નક્કી કર્યું હતું કે આજે સાંજે રસોઈબસોઈની માથાકૂટ નથી કરવી. સાંજે બહાર જઈ કોઈક સરસ હોટેલમાં જમીશું.’

‘સરસ.’ પહેલાં બહેન બોલ્યાં.

‘શું ધૂળ સરસ ? સામો માણસ સમજદાર હોય તો એ વાત સરસ બને ને ?’ તેનો અવાજ જરા મરડાયો.

‘કેમ ? એણે એવી નાસમજ કઈ બતાવી ?’

મેં કહ્યું : ‘આજે બહાર ખાઈશું.’ તો એ કહે : ‘આજે નહીં, બીજે કોઈ દહાડે જઈશું.’

‘કેમ ? આજે વળી શું છે તે આજે નહીં ?’ મેં પૂછ્યું.

તો કહે : ‘આજે મને તારા હાથનાં ભજિયાં ખાવાનું બહુ મન થયું છે. કેવાં સરસ ભજિયાં તું બનાવે છે !’

‘એવાં સરસ તો એ કાલે પણ બનશે.’ મેં કહ્યું : ‘પણ મારે તો આજે બહાર જ ખાવું છે.’

‘ના કાલે બહાર ખાઈશું. પણ આજે તો તું સરસ ભજિયાં બનાવ તારે હાથે.’

‘એમાંથી ચણભણ થઈ ગઈ. હું કહું કે મારે બહાર ખાવું છે, એ કહે મારે તારાં ભજિયાં ખાવાં છે. ગમેતેટલું મેં કહ્યું પણ એ પણ એ માન્યા જ નહીં. મને પરાણે ઘરમાં ગોંધી રાખી, ને મારા હાથનાં જેવાં બન્યાં એવાં ભજિયાં ખાઈને જ રહ્યો !’ બહેનપણી હસી પડી. ‘વાહ વાહ’ કરતી. પછી કહે : ‘પણ એમાં છૂટાછેડા લેવાની વાત જ ક્યાં આવી ?’

‘ત્યારે શું નહીં તો ?’ પેલી મોઢું ચડાવીને બોલી, ‘પોતાની પત્નીનું આટલું પણ મન ન રાખે, ને આવી બધી જબરજસ્તી કરે એવા માણસ સાથે કોણ રહે ? હું તો જેટલું બને તેટલું જલદી તેનાથી છૂટી થઈ જવા માગું છું. પછી ભલે એ બેઠો બેઠો એનાં ભજિયાં ખાધાં કરે.’

બહેનપણીને હસવું આવતું હતું. પછી તેણે જોયું કે હસીશ તો આ બાઈ વધારે બગડશે. એટલે તે હસી નહીં.

બોલી : ‘બસ આટલી વાતમાં છૂટાં થઈ જવાનું ?’

‘આજે આટલી થઈ તો કાલે વધારે મોટી ન થાય. એના કરતાં આપણે એકલાં સારાં. કોઈથી દબાવાનું તો નહીં !’ બહેનપણી સમજદાર હતી. તેણે તે સ્ત્રીને તેનો બળાપો કાઢવા દીધો. પછી તેની સાથે વાતો કરીને તેને સમજાવી કે આવી અમથી વાતમાં કંઈ આવા સારા લગ્નજીવનને ખતમ કરી દેવાય ?

પેલી રોઈ પડી : ‘પત્નીનું આટલું પણ માન ન રાખે એ ધણી શા કામનો ?’

બહેનપણીએ કહ્યું : ‘એને પણ એવું જ નહીં થતું હોય કે આજને બદલે કાલે બહાર ખવાય જ, તો પછી પતિનું આટલું એવું મન પણ ન રખાય ?’

‘તું તો એવી જ છે. બધાંને શિખામણ આપનારી.’ એ જુસ્સાથી બોલી ઊઠી.

‘શિખામણ નથી દેતી, બહેન, સાચી વાત કરું છું.’ અને કલાકોની ગંભીર વાતો પછી તે માંડ માંડ સમજી. બોલી : ‘આજે તારી વાત માનું છું. પણ મને એવું માઠું લાગેલું !’

‘આ જિંદગી જ એવી છે, બહેન. એમાં અનેક ઘૂંટડા પીવાના હોય. એમ કંઈ વાતવાતમાં આપણો સંસાર ભાંગી ન નખાય.’ અંતે પેલી બહેનપણી સ્વસ્થ થઈને ઘરે ગઈ, પણ આ બહેનને એ વાત એટલી અસર કરી ગઈ કે મારી પાસે એ વાત કરતાં એ ગળગળાં થઈ ગયાં. બોલ્યાં :

‘કેવો જમાનો આવ્યો છે, ભાઈ ?’

મેં કહ્યું : ‘સાચી વાત છે. કેવો જમાનો આવ્યો છે ?’

પછી એ બહેન તો ગયાં. પણ આવી આવી નાનકડી વાતોમાં પોતાનાં અને પારકાંનાં જીવનને છિન્નભિન્ન કરી નાખનારી મનોદશા મારી સ્મૃતિની છીપમાં એવી જડાઈ ગઈ છે કે એ ત્યાંથી કદાચ, કદીયે ઊખડશે નહીં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...