મુખ્ય સામગ્રી પર જાઓ

કેવો જમાનો આવ્યો છે?

લેખક: ગુલાબદાસ બ્રોકર

મારું મિત્રમંડળ સારું એવું મોટું છે. ઘણું જ મોટું હતું, પણ હું એટલું બધું જીવ્યો કે એમાંથી ઘણાબધા, એક પછી એક આ જગત છોડીને ચાલ્યા ગયા. ને છતાંય હજી રહ્યા છે તે ઓછા નથી રહ્યા. તે મિત્રોમાં ભાઈઓ છે, લગભગ તેટલી જ બહેનો પણ છે. એ બધાં જ મિત્રો, ભાઈઓ અને બહેનો બધાં જ મારી જેમ સાહિત્ય વાંચવાનાં અને વાતો કરવાનાં શોખીન છે. તેમની સોબતમાં કલાકો ક્યાં ચાલ્યા જાય એની ખબર જ ન પડે. અને કેટલીક વાર તેમાં એવી વાતો નીકળે કે જીવનભર તે મારી સ્મૃતિની છીપમાં સચવાઈ રહે. એ બધી વાતો આનંદપ્રદ જ હોય એવું નહીં. વિષાદપ્રેરક પણ હોય, પણ જીવન ઉપર પ્રકાશ પાથરનારી તો હોય જ.

એવી એક વાત મને બહુ યાદ રહી ગઈ છે. હજી થોડા સમય પહેલાં જ એ વાત મને મારાં એક બહુ જ નજીકનાં મૈત્રિણીએ કરેલી. એ બહેન મારે ઘરે આવે ત્યારે મારા અને મારી પત્નીનાં મોં પર આનંદ પથરાઈ જાય. એમના મોં પર પથરાયેલો આનંદ પણ એ વાતની સાક્ષી પૂરે. પણ આ વખતે એ બહેને જે વાત કરી તે આનંદપ્રેરક નહોતી, પણ આપણા અત્યારના સમાજજીવનમાં કેવી આછકલાઈ, કેવી ક્ષુલ્લકતા જામી પડી છે તેની દ્યોતક હતી.

એ વાત આ પ્રમાણેની હતી :

એ બહેન પણ મારા જેવા વાતોનાં શોખીન. બહુશ્રુત અને વિદ્વાન પણ ખરાં. એટલે એમની પાસે અનેક બહેનો પોતાનાં સુખદુઃખની વાતો કરવા આવે. હમણાં થોડા સમય પહેલાં જ, એવી એક બહેન તેમને મળવા આવી. દુઃખી દુઃખી જેવી લાગતી હતી. હંમેશાં આનંદમાં રહેતી, અને આનંદ ફેલાવતી આ બહેનપણીને આવી વિષાદમય અને દુઃખી જેવી જોતાં એ બહેનને પણ દુઃખ થયું. તેમણે એને પૂછ્યું.

‘કેમ ? આજે તું આવી સોગિયણ ને દુખિયણ જેવી કેમ લાગે છે ? કંઈ થયું છે ?’

એ બાઈ રડવા જેવી થઈ ગઈ. માંડ માંડ બોલી : ‘મેં એક નિર્ણય કર્યો છે બહેન, તેથી એવી લાગું છું.’

‘એવો તે શો નિર્ણય કર્યો છે તે ?’ પેલાં બહેને આતુરતાથી પૂછ્યું.

‘એ નિર્ણય છે મારા પતિથી છૂટાછેડા લેવાનો.’ બોલતાં બોલતાં તેનો અવાજ જરા મક્કમ બની ગયો.

‘હેં ? હેં ? છૂટાછેડા ? પણ શા માટે ? તમે બંને કેવાં પ્રેમીપંખીડાં છો !’

‘એ જ દુઃખ છે ને ? પ્રેમી પંખીડાં હોય એ પ્રેમમાં જરા પણ વિધ્ન સહી શકે નહીં.’

‘પણ એવું તો શું થયું બહેન ? તું માંડીને વાત કર.’ કહેતાં તે તેની નજીક સર્યાં.

‘ગઈ કાલે રજા હતી, અને મેં નક્કી કર્યું હતું કે આજે સાંજે રસોઈબસોઈની માથાકૂટ નથી કરવી. સાંજે બહાર જઈ કોઈક સરસ હોટેલમાં જમીશું.’

‘સરસ.’ પહેલાં બહેન બોલ્યાં.

‘શું ધૂળ સરસ ? સામો માણસ સમજદાર હોય તો એ વાત સરસ બને ને ?’ તેનો અવાજ જરા મરડાયો.

‘કેમ ? એણે એવી નાસમજ કઈ બતાવી ?’

મેં કહ્યું : ‘આજે બહાર ખાઈશું.’ તો એ કહે : ‘આજે નહીં, બીજે કોઈ દહાડે જઈશું.’

‘કેમ ? આજે વળી શું છે તે આજે નહીં ?’ મેં પૂછ્યું.

તો કહે : ‘આજે મને તારા હાથનાં ભજિયાં ખાવાનું બહુ મન થયું છે. કેવાં સરસ ભજિયાં તું બનાવે છે !’

‘એવાં સરસ તો એ કાલે પણ બનશે.’ મેં કહ્યું : ‘પણ મારે તો આજે બહાર જ ખાવું છે.’

‘ના કાલે બહાર ખાઈશું. પણ આજે તો તું સરસ ભજિયાં બનાવ તારે હાથે.’

‘એમાંથી ચણભણ થઈ ગઈ. હું કહું કે મારે બહાર ખાવું છે, એ કહે મારે તારાં ભજિયાં ખાવાં છે. ગમેતેટલું મેં કહ્યું પણ એ પણ એ માન્યા જ નહીં. મને પરાણે ઘરમાં ગોંધી રાખી, ને મારા હાથનાં જેવાં બન્યાં એવાં ભજિયાં ખાઈને જ રહ્યો !’ બહેનપણી હસી પડી. ‘વાહ વાહ’ કરતી. પછી કહે : ‘પણ એમાં છૂટાછેડા લેવાની વાત જ ક્યાં આવી ?’

‘ત્યારે શું નહીં તો ?’ પેલી મોઢું ચડાવીને બોલી, ‘પોતાની પત્નીનું આટલું પણ મન ન રાખે, ને આવી બધી જબરજસ્તી કરે એવા માણસ સાથે કોણ રહે ? હું તો જેટલું બને તેટલું જલદી તેનાથી છૂટી થઈ જવા માગું છું. પછી ભલે એ બેઠો બેઠો એનાં ભજિયાં ખાધાં કરે.’

બહેનપણીને હસવું આવતું હતું. પછી તેણે જોયું કે હસીશ તો આ બાઈ વધારે બગડશે. એટલે તે હસી નહીં.

બોલી : ‘બસ આટલી વાતમાં છૂટાં થઈ જવાનું ?’

‘આજે આટલી થઈ તો કાલે વધારે મોટી ન થાય. એના કરતાં આપણે એકલાં સારાં. કોઈથી દબાવાનું તો નહીં !’ બહેનપણી સમજદાર હતી. તેણે તે સ્ત્રીને તેનો બળાપો કાઢવા દીધો. પછી તેની સાથે વાતો કરીને તેને સમજાવી કે આવી અમથી વાતમાં કંઈ આવા સારા લગ્નજીવનને ખતમ કરી દેવાય ?

પેલી રોઈ પડી : ‘પત્નીનું આટલું પણ માન ન રાખે એ ધણી શા કામનો ?’

બહેનપણીએ કહ્યું : ‘એને પણ એવું જ નહીં થતું હોય કે આજને બદલે કાલે બહાર ખવાય જ, તો પછી પતિનું આટલું એવું મન પણ ન રખાય ?’

‘તું તો એવી જ છે. બધાંને શિખામણ આપનારી.’ એ જુસ્સાથી બોલી ઊઠી.

‘શિખામણ નથી દેતી, બહેન, સાચી વાત કરું છું.’ અને કલાકોની ગંભીર વાતો પછી તે માંડ માંડ સમજી. બોલી : ‘આજે તારી વાત માનું છું. પણ મને એવું માઠું લાગેલું !’

‘આ જિંદગી જ એવી છે, બહેન. એમાં અનેક ઘૂંટડા પીવાના હોય. એમ કંઈ વાતવાતમાં આપણો સંસાર ભાંગી ન નખાય.’ અંતે પેલી બહેનપણી સ્વસ્થ થઈને ઘરે ગઈ, પણ આ બહેનને એ વાત એટલી અસર કરી ગઈ કે મારી પાસે એ વાત કરતાં એ ગળગળાં થઈ ગયાં. બોલ્યાં :

‘કેવો જમાનો આવ્યો છે, ભાઈ ?’

મેં કહ્યું : ‘સાચી વાત છે. કેવો જમાનો આવ્યો છે ?’

પછી એ બહેન તો ગયાં. પણ આવી આવી નાનકડી વાતોમાં પોતાનાં અને પારકાંનાં જીવનને છિન્નભિન્ન કરી નાખનારી મનોદશા મારી સ્મૃતિની છીપમાં એવી જડાઈ ગઈ છે કે એ ત્યાંથી કદાચ, કદીયે ઊખડશે નહીં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...