મુખ્ય સામગ્રી પર જાઓ

કોના પુણ્ય પ્રતાપે?

લેખક: હરિકૃષ્ણ પાઠક

ગાંધીનગરમાં મકાન બંધાવવાનું શરૂ કર્યું ત્યારની મનઃસ્થિતિ કંઈક વિપરીત હતી. એ અરસામાં જ એક કાવ્ય લખેલું :

પાયા પૂર્યા ને કાઢ્યાં ભીંતડાં,

મેલી છત ને કાંઈ કોર્યાં રે કમાડ;

હવાને પાણીને તરતાં તેજના,

પાડ્યા ખાંચા-ખચકા ને વાળી વાડ;

કળીએ કપાણો જીવણ જીવડો !

પર્યાવરણ મારે માટે એક પ્રાથમિકતા ધરાવતી નિસબત છે, તેથી મકાનનાં ચણતરમાં વૃક્ષોના ઉચ્છેદનનું નિમિત્ત ન બનવાનો ખ્યાલ હતો. પણ રુચિ એવી કે લાકડાનાં બારીબારણાં વધુ ગમે ! એવામાં મિત્ર સનતભાઈ પાસેથી જાણ્યું કે ધ્રાંગધ્રામાં રેલવેના જૂના સલેપાટ (સ્લીપર્સ)ની સાઈઝો મળે છે, અને તેમણે તેવું લાકડું ઉપયોગમાં લીધું છે. સાથોસાથ એ પણ જાણ્યું કે તેમને આ કામ માટે એક સારા મિસ્ત્રી પણ મળ્યા છે. આથી ધ્રાંગધ્રાનું સ્લીપર્સનું લાકડું; ને ત્યાંના નજીકના ગામ શિયાણીના મિસ્ત્રી બળદેવભાઈની કારીગરી યોજવાનું ઠરાવ્યું. સ્લીપરની સાઈઝોનું માપ મિસ્ત્રીએ કાઢી આપ્યું. તેમાંથી જ તેમની ચોકસાઈનો અણસાર મળ્યો. એકાદ વાર તો હું ને સનતભાઈ ધ્રાંગધ્રા જઈ આવ્યા. ત્યાંના લાટીના શેઠ પ્રકાશભાઈ શાહનો આ તો સાઈડ બિઝનેસ હતો. પણ સનતભાઈ સાથે મૈત્રી થઈ ગયેલી તેનો લાભ મને પણ મળ્યો.

બીજી વાર અમે મિસ્ત્રીને સાથે લઈને ગયા. ત્યારેય જમવાનું તો પ્રકાશભાઈને ત્યાં જ હતું. અમે માત્ર લેવા જતા, પણ મહેમાન થઈને રહેતા. મિસ્ત્રીને વધુ રસ લાકડાના એ ગંજમાંથી સારામાં સારી સાઈઝો કાઢવાનો રહેતો. તેમનું કામ ખૂબ ખંત, ચીવટ, ચોકસાઈથી કરે. કેટલું લાકડું જોઈશે તેનો હિસાબ મનોમન કરી લે ને પ્રકાશભાઈ કૉમ્પ્યુટરનાં બટન દબાવીને અંદાજ આપે તો બળદેવભાઈનો હિસાબ સરખો જ ઊતરતો હોય ! લાટીમાં કામ કરતા બાબુલાલ, હિસાબકિતાબ રાખનાર રિટાયર્ડ રેલવે ગાર્ડ જોષી સાહેબ કે પરચુરણ સાંધા-સુંધીને ફાચર-રંધા મારનાર સતવારા કારીગર સાથે મિસ્ત્રીએ સહજમાં આત્મીયતા કેળવી લીધી. પછી અર્ધો માલ આવી ગયો ને મિસ્ત્રીએ તેમનું કામ શરૂ કર્યું. શરૂમાં દરવાજાની ફ્રેમો બનાવી. મારા ક્વાર્ટરના આંગણામાં જ ચીકુડીના છાંયડે મિસ્ત્રી કામ કરે. ક્યારેક મદદમાં કોઈ છોકરડાને લાવે. ક્યારેક પહોંચતી ઉપરના ડુંગરભાને લાવે, ને ક્યારેક તેમના મોટાબાપાના જમાઈ રમેશલાલને.

પોતાના જેવી જ ચોકસાઈથી બધાં કામ કરે તેવો તેમનો આગ્રહ. આથી સાથી કારીગરો સાથેનો મિસ્ત્રીનો વ્યવહાર રસ પડે તેવો રહેતો. પછી બાકી રહેલું બારીની સાઈઝોનું લાકડું આવવામાં મોડું થતું ગયું, તે પ્રકાશભાઈનો આગ્રહ એવો કે મિસ્ત્રી જાતે માલ પસંદ કરી જાય તો પછીથી સારું-મોળું ન થાય. એટલે એક વખત મિસ્ત્રીને એકલા જવાનું થયું. જાડી ગણતરી કરીને મેં તેમને ભાડાના, વાટ ખરચીના ને જમવાના પૈસા આપ્યા. મિસ્ત્રી ધ્રાંગધ્રા ગયા ને તેમનું કામ પાર પાડી આવ્યા. તેમના કહેવા પ્રમાણે ‘માલ કાઢ્યો નો’તો, એટલે બધાંયને ઉસકાવ્યા !’ ને પાછા આવીને મને વધેલા પૈસા પરત કર્યા.

મેં પૂછ્યું : ‘પૈસા વધે ક્યાંથી ? ભૂખ્યા રહ્યા’તા કે શું ?’

તો કહે : ‘આ વખતેય મને પ્રકાશભાઈએ લોજમાં જમાડ્યો’તો. એટલે ખાવાનું ખરચ થયું નથી.’

મેં કહ્યું : ‘ભલે રહ્યા, પછી વાત.’

પછી મિસ્ત્રીએ બિલ આપ્યું ત્યારે તેમના છેલ્લા ફેરાના દિવસનું રોજ ભર્યું ન હતું. અગાઉ ભરેલું, પણ આ વખતે નહોતું ભર્યું. મેં પૂછ્યું તો કહે : ‘હું ધ્રાંગધ્રા ગ્યો એ દિવસે અમાસ હતી; અમે અમાસને દિવસે કામ નો કરીએ, એટલે રોજ ભર્યું નથી !’ માત્ર પોતાના કામમાં જ નહીં, આર્થિક વ્યવહારોમાં એ નીતિનું એક ચોક્કસ ધોરણ જાળવીને, જાત તોડીને કામ કરતા એક આખા પ્રામાણિક નિમ્ન મધ્યમ વર્ગના પ્રતિનિધિરૂપે મેં મિસ્ત્રીને જાણ્યા. એક ઠેકાણે કામ ચાલતું હોય ત્યારે, તે પૂરું થાય ત્યાં સુધીમાં બીજું કામ મળી રહે, ને એમ ‘લાઈન’ ગોઠવાઈ જાય તેની ચિંતા આ ઊભડ કામ કરનારાઓને હંમેશ રહેતી હોય છે તેમ છતાં જે નીતિમત્તાનું ધોરણ આ વર્ગના લોકોમાં જોઉં છું, તેની સામે આપણા ઉચ્ચત્તમ પદો પર બિરાજનાર મહાનુભાવોના ભ્રષ્ટાચારોની ભરમાર વ્યથિત કરી મૂકે છે. આખા દેશની પ્રજામાં ભ્રષ્ટાચારીઓનું પ્રમાણ ટકાવારીની દષ્ટિએ કદાચ ઓછું હશે, પરંતુ તેમને હસ્તકની સત્તાઓ અને વગવસીલા એવા છે કે આખા દેશને પારાવારનું નુકશાન અને હાનિ પહોંચે છે. અને આમ છતાં આપણો આ સમાજ ટકી રહ્યો છે એ તો પેલા ઊભડિયાઓના પુણ્યપ્રતાપે જ ને !

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

મેટ્રો

લેખક: જોસેફ એસ્બર્ગર અનુવાદ: ચિંતન પટેલ  મેટ્રોમાં એક વહેલી સવારે એક શબ મળી આવવું એ કંઈ અસાધારણ બાબત નહોતી. પરંતુ તે શબ ડોક વગરનું હતું, તેણે છઠ્ઠા એરોન્ડિસમેન્ટમાં એક કંપારી મૂકી દીધી, પરંતુ આ ઘટના પેરિસની બહાર અજાણી રહી. તદ્દન સ્પષ્ટ હતું કે આ કેસમાં કંઈક વિચિત્રતા હતી. એવું લાગતું નહોતું કે ઓળખ છુપાવવા માટે શબનું ડોક કાપવામાં આવ્યું હતું, કારણ કે શબ પૂરેપૂરું કપડે ઢંકાયેલું હતું અને મૃતકની કોઈ અંગત વસ્તુ દૂર કરવામાં આવી નહોતી, સિવાય કે તેનું માથું. પેરિસ પોલીસે મૃતકના વૉલેટની સામગ્રીને શબ પરથી મળેલા ફોરેન્સિક પુરાવાઓ સાથે જોડી દીધી. તેમાં ઉમેરો એ કે, મૃતકની પત્ની, મેડમ શારાંતે, શબને સૌથી વધુ અંગત રીતે ઓળખી શકતી હતી (તેણે પહેલેથી જ પોતાના પતિને ગુમ થયાની જાણ કરી દીધી હતી). શબ જ્યાં મળી આવ્યું હતું તે ઓડિયોન સ્ટેશનની બંને બાજુના ગરમ, અંધારા ભોયરાઓમાં ખોદાખોદ કરવા માટે કેટલાક માણસોને મોકલવામાં આવ્યા. જમીન ઉપર પણ શોધખોળ કરવામાં આવી, જે એટલી જ નિર્થક રહી, અને ઇન્સ્પેક્ટર દુત્રુએલને એવું લાગતું હતું કે આ કેસ અણઉકેલ્યો રહેશે. બે અઠવાડિયા પછી, પશ્ચિમમાં ચાર કિલોમીટર દૂર, કોર્સેલ્સ સ્ટેશ...