મુખ્ય સામગ્રી પર જાઓ

કોના પુણ્ય પ્રતાપે?

લેખક: હરિકૃષ્ણ પાઠક

ગાંધીનગરમાં મકાન બંધાવવાનું શરૂ કર્યું ત્યારની મનઃસ્થિતિ કંઈક વિપરીત હતી. એ અરસામાં જ એક કાવ્ય લખેલું :

પાયા પૂર્યા ને કાઢ્યાં ભીંતડાં,

મેલી છત ને કાંઈ કોર્યાં રે કમાડ;

હવાને પાણીને તરતાં તેજના,

પાડ્યા ખાંચા-ખચકા ને વાળી વાડ;

કળીએ કપાણો જીવણ જીવડો !

પર્યાવરણ મારે માટે એક પ્રાથમિકતા ધરાવતી નિસબત છે, તેથી મકાનનાં ચણતરમાં વૃક્ષોના ઉચ્છેદનનું નિમિત્ત ન બનવાનો ખ્યાલ હતો. પણ રુચિ એવી કે લાકડાનાં બારીબારણાં વધુ ગમે ! એવામાં મિત્ર સનતભાઈ પાસેથી જાણ્યું કે ધ્રાંગધ્રામાં રેલવેના જૂના સલેપાટ (સ્લીપર્સ)ની સાઈઝો મળે છે, અને તેમણે તેવું લાકડું ઉપયોગમાં લીધું છે. સાથોસાથ એ પણ જાણ્યું કે તેમને આ કામ માટે એક સારા મિસ્ત્રી પણ મળ્યા છે. આથી ધ્રાંગધ્રાનું સ્લીપર્સનું લાકડું; ને ત્યાંના નજીકના ગામ શિયાણીના મિસ્ત્રી બળદેવભાઈની કારીગરી યોજવાનું ઠરાવ્યું. સ્લીપરની સાઈઝોનું માપ મિસ્ત્રીએ કાઢી આપ્યું. તેમાંથી જ તેમની ચોકસાઈનો અણસાર મળ્યો. એકાદ વાર તો હું ને સનતભાઈ ધ્રાંગધ્રા જઈ આવ્યા. ત્યાંના લાટીના શેઠ પ્રકાશભાઈ શાહનો આ તો સાઈડ બિઝનેસ હતો. પણ સનતભાઈ સાથે મૈત્રી થઈ ગયેલી તેનો લાભ મને પણ મળ્યો.

બીજી વાર અમે મિસ્ત્રીને સાથે લઈને ગયા. ત્યારેય જમવાનું તો પ્રકાશભાઈને ત્યાં જ હતું. અમે માત્ર લેવા જતા, પણ મહેમાન થઈને રહેતા. મિસ્ત્રીને વધુ રસ લાકડાના એ ગંજમાંથી સારામાં સારી સાઈઝો કાઢવાનો રહેતો. તેમનું કામ ખૂબ ખંત, ચીવટ, ચોકસાઈથી કરે. કેટલું લાકડું જોઈશે તેનો હિસાબ મનોમન કરી લે ને પ્રકાશભાઈ કૉમ્પ્યુટરનાં બટન દબાવીને અંદાજ આપે તો બળદેવભાઈનો હિસાબ સરખો જ ઊતરતો હોય ! લાટીમાં કામ કરતા બાબુલાલ, હિસાબકિતાબ રાખનાર રિટાયર્ડ રેલવે ગાર્ડ જોષી સાહેબ કે પરચુરણ સાંધા-સુંધીને ફાચર-રંધા મારનાર સતવારા કારીગર સાથે મિસ્ત્રીએ સહજમાં આત્મીયતા કેળવી લીધી. પછી અર્ધો માલ આવી ગયો ને મિસ્ત્રીએ તેમનું કામ શરૂ કર્યું. શરૂમાં દરવાજાની ફ્રેમો બનાવી. મારા ક્વાર્ટરના આંગણામાં જ ચીકુડીના છાંયડે મિસ્ત્રી કામ કરે. ક્યારેક મદદમાં કોઈ છોકરડાને લાવે. ક્યારેક પહોંચતી ઉપરના ડુંગરભાને લાવે, ને ક્યારેક તેમના મોટાબાપાના જમાઈ રમેશલાલને.

પોતાના જેવી જ ચોકસાઈથી બધાં કામ કરે તેવો તેમનો આગ્રહ. આથી સાથી કારીગરો સાથેનો મિસ્ત્રીનો વ્યવહાર રસ પડે તેવો રહેતો. પછી બાકી રહેલું બારીની સાઈઝોનું લાકડું આવવામાં મોડું થતું ગયું, તે પ્રકાશભાઈનો આગ્રહ એવો કે મિસ્ત્રી જાતે માલ પસંદ કરી જાય તો પછીથી સારું-મોળું ન થાય. એટલે એક વખત મિસ્ત્રીને એકલા જવાનું થયું. જાડી ગણતરી કરીને મેં તેમને ભાડાના, વાટ ખરચીના ને જમવાના પૈસા આપ્યા. મિસ્ત્રી ધ્રાંગધ્રા ગયા ને તેમનું કામ પાર પાડી આવ્યા. તેમના કહેવા પ્રમાણે ‘માલ કાઢ્યો નો’તો, એટલે બધાંયને ઉસકાવ્યા !’ ને પાછા આવીને મને વધેલા પૈસા પરત કર્યા.

મેં પૂછ્યું : ‘પૈસા વધે ક્યાંથી ? ભૂખ્યા રહ્યા’તા કે શું ?’

તો કહે : ‘આ વખતેય મને પ્રકાશભાઈએ લોજમાં જમાડ્યો’તો. એટલે ખાવાનું ખરચ થયું નથી.’

મેં કહ્યું : ‘ભલે રહ્યા, પછી વાત.’

પછી મિસ્ત્રીએ બિલ આપ્યું ત્યારે તેમના છેલ્લા ફેરાના દિવસનું રોજ ભર્યું ન હતું. અગાઉ ભરેલું, પણ આ વખતે નહોતું ભર્યું. મેં પૂછ્યું તો કહે : ‘હું ધ્રાંગધ્રા ગ્યો એ દિવસે અમાસ હતી; અમે અમાસને દિવસે કામ નો કરીએ, એટલે રોજ ભર્યું નથી !’ માત્ર પોતાના કામમાં જ નહીં, આર્થિક વ્યવહારોમાં એ નીતિનું એક ચોક્કસ ધોરણ જાળવીને, જાત તોડીને કામ કરતા એક આખા પ્રામાણિક નિમ્ન મધ્યમ વર્ગના પ્રતિનિધિરૂપે મેં મિસ્ત્રીને જાણ્યા. એક ઠેકાણે કામ ચાલતું હોય ત્યારે, તે પૂરું થાય ત્યાં સુધીમાં બીજું કામ મળી રહે, ને એમ ‘લાઈન’ ગોઠવાઈ જાય તેની ચિંતા આ ઊભડ કામ કરનારાઓને હંમેશ રહેતી હોય છે તેમ છતાં જે નીતિમત્તાનું ધોરણ આ વર્ગના લોકોમાં જોઉં છું, તેની સામે આપણા ઉચ્ચત્તમ પદો પર બિરાજનાર મહાનુભાવોના ભ્રષ્ટાચારોની ભરમાર વ્યથિત કરી મૂકે છે. આખા દેશની પ્રજામાં ભ્રષ્ટાચારીઓનું પ્રમાણ ટકાવારીની દષ્ટિએ કદાચ ઓછું હશે, પરંતુ તેમને હસ્તકની સત્તાઓ અને વગવસીલા એવા છે કે આખા દેશને પારાવારનું નુકશાન અને હાનિ પહોંચે છે. અને આમ છતાં આપણો આ સમાજ ટકી રહ્યો છે એ તો પેલા ઊભડિયાઓના પુણ્યપ્રતાપે જ ને !

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...