મુખ્ય સામગ્રી પર જાઓ

મુલ્લાની મસ્તીકથાઓ ભાગ 3

41 વીંટી જડી 
એક વાર મુલ્લાં નસરુદ્દીન ને રસ્તામાંથી વીંટી જડી. વીંટી એવી સુંદર હતી કે મુલ્લાંને તે રાખી લેવાનું મન થયું. પણ દેશમાં એવો કાયદો હતો કે કોઈને કઈ ચીજ જડે તો એણે બજાર વચ્ચે
ત્રણ વખત એની જાહેરાત કરવી પડે. દરમિયાન કોઈ એનો માલિક ન થાય તો જ એ ચીજ એ રાખી શકે.
     રાતના ત્રણ વાગે મુલ્લાં ગામના ચોકમાં જઈને ઉભા અને હાથમાં વીંટી રાખી એમણે બુમ પાડી : 'એ...ઈ ! આ વીંટી મને જડી છે; છે કોઈ એનો માલિક ?'
     આટલી રાતે ત્યાં કોણ હોય ? મુલ્લાંએ બીજી બુમ પાડી, ત્રીજી બુમ પાડી. હવે લોકો ચોકમાં ભેગા થવા લાગ્યા, ને મુલ્લાંને પુછવા લાગ્યા : 'હે, શી બાબત છે ?'
     મુલ્લાં કહે : 'કાયદામાં ત્રણ વાર બોલવાનું લખ્યું છે. ચોથી વાર બોલું તો ગુનો થાય, એટલે હું નહિ બોલું !'
     પછી કહે : 'જોઈ મારી વીંટી ? કેવી સરસ છે !'"


42 ચોપગાનો સોદો
બાદશાહનો એક અમલદાર બહુ જુલ્મી હતો. ઘોડેસવારોની ટુકડી લઈને એ ગામડામાં જતો અને ગરીબ લોકોને ઘરે મહેમાન થઇ રહેતો. ગરીબો કષ્ઠ વેઠી એની સરભરા કરતા એ જોઈ એણે આનંદ થતો. તેથી શ્રીમંતો ને ઘેર જવાને બદલે એ ગરીબોને જ ઘેર વધારે જતો.
     એક વાર આ અમલદાર મુલ્લાં નસરુદ્દીન નો મહેમાન થયો. એના ઘોડાને એ ચોપગા કહેતો.
     દિવસમાં દસ વખત એ કહેતો : 'એ...ઈ, મારા ચોપગાને ચંદી આપી ? પાણી પાયું ?'
     એક દિવસ મુલ્લાંએ ગામના કાજીને પોતાને ઘેર બોલાવ્યા અને આ અમલદારની ઓળખાણ કરાવી કહ્યું : 'ચોપગા પર એમને ખુબ જ પ્રેમ છે. મને થાય છે કે મારી પાસે ચાલીસ ચોપગા છે તે હું
એમને વેચી દઉં તો બાપડા સુખી થાય ! ખુબ સસ્તા ભાવે આપી દેવા માટે હું તૈયાર છું.'
     અમલદારે આ સાંભળી કહ્યું : 'બોલો, શું લેવું છે એનું ?'
     'એક ચોપગાના પાંચ રૂપિયા.' મુલ્લાંએ કહ્યું.
     અમલદાર તો મનમાં ખુશ ખુશ થઇ ગયો. બજારમાં એક ઘોડાની કિંમત સહેજે સો રૂપિયા હતી. પાંચ રૂપિયા લેખે ચાલીસ ઘોડા મળી જાય તો એક જ સોદામાં કેટલો નફો થાય ?
     એ બોલી ઉઠ્યો : 'સોદો કબુલ ! લે આ બસો રૂપિયા ! તારા ચાલીસ ચોપગા હાજર કર !'
   મુલ્લાના ઘરમાં સસલાનો વાડો હતો. વાડામાંથી ચાલીસ સસલા પકડી કોથળામાં પૂરી મુલ્લાં લઇ આવ્યા, ને અમલદારના હાથમાં કોથળો પકડાવી દઈ કહે : 'લો, સંભાળો તમારા ચાલીસ ચોપગા !'
          સસલા જોઈ અમલદારે રાડ પાડી : 'દુષ્ટ, મને છેતરે છે ? ચાલીસ ઘોડા આપવાનું કહીને મને સસલા આપે છે ?'
     મુલ્લાંએ ઠંડકથી કહ્યું : 'ઘોડાની વળી ક્યારે વાત થઇ છે ? ચાલીસ ચોપગાની વાત થઇ છે; અને ચાલીસ ચોપગા હું આપુ છું. સસલા ચોપગા ખરા કે નહિ એનો કાજી ન્યાય કરે ! એમની રૂબરૂ
જ સોદો થયો છે !'
     કાજીએ તરત ફેંસલો જાહેર કર્યો : 'સસલા ચોપગા છે, અને સોદા પ્રમાણે માલ છે ! સોદો કર્યા પછી જે ફરી જશે તેને કાયદેસર સખ્ત સજા થશે - નોકરી તો જશે જ ઉપરથી દંડ થશે !'
     હવે અમલદારનો કોઈ બચાવ રહ્યો નહિ."


43 સાચો કે જૂઠો?
" એક વાર એક રાજાને તુક્કો સુઝ્યો કે મારે સતવાદીનુ જ ગામ વસાવવું. એટલે એણે હુકમ કાઢ્યો કે સાચું બોલનારાને જ ગામમાં પેસવા દેવામાં આવશે; જુઠાબોલાને શુળીએ ચડાવવામાં આવશે.
     ગામની ભાગોળ શુળીઓ રોપી ગઈ અને ચોકીદારો બેસી ગયા.
     સામેથી મુલ્લાં આવતા દેખાયા.
     ચોકીદારે પૂછ્યું : 'ક્યાં જાઓ છો ?'
     મુલ્લાંએ કહ્યું : 'શુળીએ ચડવા જાઉં છું.'
     ચોકીદારોએ કહ્યું : 'ખોટી વાત ! તું જુઠું બોલે છે !'
     મુલ્લાંએ કહ્યું : 'હું જુઠું બોલતો હોઉં તો રાજાના હુકમ પ્રમાણે મને શુળીએ ચડાવો !'
     ચોકીદારો કહે : 'તો તારું બોલવું સત્ય ઠરે ! અને સાચાને શુળીએ ચડાવવા બદલ અમને સજા થાય !'
    ચોકીદારો મૂંઝાયા. તેઓ દોડતા રાજાની પાસે ગયા. કહે : 'મહારાજ, આને સાચો કહેવાય કે ખોટો ?'
     રાજા પણ આનો જવાબ દઈ શક્યો નહિ. તેણે પોતાનો હુકમ પાછો ખેંચી લીધો."


44 ત્રણ શિખામણ
" એક વાર મુલ્લાં નસરુદ્દીન વિચાર કર્યો કે ચાલ, મજુરી કરી આજે બે પૈસા કમાઉ !
     મજુરીની શોધમાં એ ત્રણ શિખામણ આવી ઉભા.
     ત્યાં એક શેઠ મજુરને શોધતો હતો તે કહેતો હતો : 'મારી આ પેટી જે ઉપાડી લેશે તેને હું મજુરીમાં ત્રણ સારી શિખામણો આપીશ !'
     'અને પૈસા ?' એક મજૂરે પૂછ્યું.
     'પૈસા પૈસા શું કરે છે ? પૈસાને તો કુતરાય સુંઘતા !' શેઠે કહ્યું.
     મુલ્લાંએ આ સાંભળ્યું. તે મનમાં બોલ્યા : 'વાત બિલકુલ સાચી ! પૈસાને કુતરાયે સુંઘતા નથી. વળી પૈસા તો ગમે ત્યારે કમાઈ શકાય છે, પણ સારી શિખામણ જવલ્લે જ મળે છે!'
     તેમણે આગળ આવીને કહ્યું : 'શેઠજી, બતાવો તમારી પેટી, હું એ ઉપાડી લઉં છું.'
     શેઠે કહ્યું : 'આ રહી પેટી ! જરા જાળવીને ઉપાડજે ! એમાં કાંચ ના વાસણો છે !'
     'એમાં હાથી ઘોડા કેમ નથી ?' કહી મુલ્લાંએ પેટી માથા પર ઉપાડી લીધી ને ચાલવા માંડ્યું.
     થોડું ચાલ્યા પછી મુલ્લાંએ કહ્યું : 'શેઠ, મને લાગે છે કે હું ત્રીજા ભાગ જેટલું ચાલ્યો છું, એટલે ત્રણમાંથી એક શિખામણ મને અત્યારે મળવી જોઈએ.'
     શેઠે કહ્યું : 'ભલે, તો સાંભળ ! મારી પહેલી શિખામણ એ છે કે કોઈ તને કહે કે પેટ ભરીને ખાવા કરતા ભૂખ્યા રહેવાથી વધારે ફાયદો છે, તો તું એ માનતો નહિ !'
          આ સાંભળી મુલ્લાંએ કહ્યું : 'વાહ, બહુ ફક્કડ શિખામણ છે !'
     શેઠે કહ્યું : 'એથી ચડતી શિખામણ હજી હવે તને મળશે !'
     'વાહ !' કહી મુલ્લાંએ એકદમ ઉત્સાહમાં આવી ચાલવા માંડ્યું.
     વળી કેટલુક ચાલ્યા પછી મુલ્લાંએ કહ્યું : 'શેઠ, મને લાગે છે કે હવે હું બે ભાગ જેટલું ચાલ્યો છું, એટલે હવે મને બીજી શિખામણ મળવી જોઈએ !'
     શેઠે કહ્યું : 'તારી વાત સાચી છે, તો સાંભળ ! મારી બીજી શિખામણ એ છે કે કોઈ તને કહે કે ઘોડા પર બેસી ને જવા કરતા પગે ચાલીને જવા માં વધારે ફાયદો છે, તો તું એ માનતો નહિ !'
     એકદમ મુલ્લાં બોલી ઉઠયા : 'વાહ, બહુ સરસ શિખામણ !'
     શેઠે કહ્યું : 'અરે, સોંથી સરસ શિખામણ તો હજી હવે આવશે !'
     મુલ્લાંએ કહ્યું : 'તો હું ઝડપથી ચાલુ !'
     આમ કહી એ ઝપાટાબંધ ચાલ્યા, ને ઘડીકમાં શેઠના ઘરના આંગળામાં આવી ઉભા.
     પછી કહે : 'શેઠ, મેં મારું કામ પૂરું કર્યું છે. હવે મને છેલ્લી શિખામણ દઈ દો, એટલે માથેથી ભાર ઉતારી હું ચાલવા માંડું !'
     શેઠે હસીને કહ્યું : 'મારી ત્રીજી ને છેલ્લી શિખામણ એ છે કે કોઈ તને કહે કે તારામાં ચપટી અક્કલ નથી તો એ વાત તું માનતો નહિ !'
     'હે !' કહી માથું ધુણાવી મુલ્લાંએ એકદમ પેટી માથા પરથી ભોય પર પછાડી. પેટીના પાટિયા ચીરી ગયા અને અંદરના વાસણોના ચુરા થઇ ગયા.
     આ જોઈ શેઠે ગુસ્સામાં રાડ પાડી : 'અરે, દુસ્ત, તે આ શું કર્યું ? તારામાં ચપટી અક્કલ નથી !""
     શાંતિથી મુલ્લાંએ કહ્યું : 'શેઠ, તમારી ત્રીજી શિખામણ પ્રમાણે હું એ વાત માનતો નથી, અને તમે પણ કોઈ તમને કહે કે તમારામાં ચપટી અક્કલ નથી, આવા માણસને તે કાંચના વાસણોની
પેટી ઊંચકવા અપાતી હશે ? - તો એ વાત તમે માનશો નહિ !'
     આટલું કહી મુલ્લાં વિદાય થઇ ગયા."


45 ત્રણ ઈંડા માડે ત્રણ વાર બજારમાં
" એક વાર મુલ્લાં નસરુદ્દીન ના શેઠે એમને ઠપકો આપ્યો : 'મુલ્લાં, તમે બધું કામ કટકે કટકે કેમ કરો છો ? ત્રણ ઈંડા લેવા માટે તમે ત્રણ વાર બજારમાં જાઓ છો, તો એક જ ખેપમાં શું ત્રણ
ઈંડા ન લાવી શકાય ? ડાહ્યો માણસ તો એક ફેરામાં ત્રણ કામ પતાવે !'
મુલ્લાંએ કહ્યું : 'હવે એવું નહિ બને ! હું એક ફેરા માં ત્રણ શું, સાત કામ પતાવીશ !'
થોડા વખત પછી શેઠ માંદા પડ્યા. તમણે મુલ્લાંને હુકમ કર્યો : 'જા, હકીમને બોલાવી લાવ !'
મુલ્લાં હકીમને બોલાવવા ગયા અને સાથે બીજા પણ કેટલાક માણસોને બોલાવતા આવ્યા.
શેઠે કહ્યું : 'કોણ છે આ બધા ?'
મુલે કહ્યું : 'હકીમ મલમપાટાનું કહે તો મલમપાટાવાળાને બોલાવી લાવ્યો છું, માલીશનું કહે તો માલીશવાળાનેય બોલાવતો આવ્યો છું, નસ્તરનું કહે તો નસ્તરવાળા હજામને લેતો આવ્યો છું.
એને એ બધાઓને પોતાના કામમાં મદદરૂપ થાય એવા બધાયને સાથે લઇ આવ્યો છું, આટલા દવાદારૂ કરવા છતાં જો તમે ન બચ્યા તો કફનવાળાનેય સાથે લાવ્યો છું અને ફક્ત ઊંચકનારાઓનેયે
લાવ્યો છું, ત્રણ ઈંડા લેવા માટે ત્રણ વાર બજારમાં જવું પડે એવું હું રાખતો જ નથી ! હું એક ફેરામાં એક નહિ સાત કામ પતાવું છું !'"


46 કાગડાને સાબુની વધારે જરૂર

એક વાર મુલ્લાં નસરુદ્દીન બજારમાંથી ગુલાબી સાબુની એક ગોટી લઇ આવ્યા. પછી બીબીને કહે: 'મારું ધોઈ કાઢ !'

બીબી મુલ્લાનું ખમીસ ધોવા બેથી. પણ એ હાથમાં સાબુ લે તે પહેલા એક કાગડો ત્યાં ઉડી આવ્યો અને ગુલાબી સાબુને કઈ ખાવાની ચીજ સમજી તે ચાંચમાં ઉપાડીને ભાગી ગયો.

બીબીએ બુમાબુમ કરી મૂકી.

મુલ્લાંએ દોડી આવી પૂછ્યું: 'શું થયું ?'

બીબીએ કહ્યું: 'હું તમારું ખમીસ ધોવા બેસતી હતી, ત્યાં કાગડો આવી સાબુ ઉઠાવી ભાગી ગયો ! ચોટ્ટો !'

મુલ્લાંએ એક વાર પોતાના ખમીસ સામે અને એક વાર કાગડા સામે નજર કરી લઇ કહ્યું: 'બીબી, મારું ખમીસ જો ને કાગડા ને જો ! મારા ખમીસ કરતા કાગડાનો ડગલો વધારે મેલો છે. એટલે મારા કરતા સાબુની એને વધારે જરૂર છે. આપણને ભલે થોડું નુકસાન થયું, પણ એ બાપડા ને સાબુ મળ્યો તે સારું થયું !'


47 ચાવી ખોળું છું

એક વાર એક શ્રીમંત મુલ્લાં નસરુદ્દીન ને કહ્યું: 'મુલ્લાં, તમે બહુ અક્કલવાળા છો તો કહો, મારી પાસે ખુબ ધન છે, છતાં મને સુખ કેમ જડતું નથી ?'

મુલ્લાએ કહ્યું : 'વખત આવ્યે કહીશ.'

થોડા દિવસ પછી એ શ્રીમંત જોયું તો મુલ્લાં રસ્તામાં કઈ ખોળતા હતા.

શ્રીમંત પૂછ્યું: 'મુલ્લાં, શું ખોળો છો ?'

મુલ્લાંએ કહ્યું : 'ચાવી ખોળું છું.'

શ્રીમંત સજ્જન પણ મુલ્લાંની સાથે ચાવી ખોળવા લાગ્યા.

થોડા વખત પછી તેમણે કહ્યું : 'મુલ્લાં, ચાવી ક્યાં પડી ગઈ છે એની તો તમને ખાતરી છે ને ?'

મુલ્લાંએ કહ્યું : 'છે જ તો !'

'ક્યાં પડી ગઈ છે ?'

'ઘરમાં !'

શ્રીમંત નવાઈ પામી કહ્યું: 'ચાવી ઘરમાં પડી ગઈ છે તો, મુલ્લાં, તમે એને અહી રસ્તામાં કેમ ખોળો છો ?'

મુલ્લાંએ કહ્યું: અહી અજવાળું છે ને, એટલે ! ઘરમાં સાવ અંધારું છે, ત્યાં કેમ કરીને ચાવી ખોળું ?'

શ્રીમંત કહ્યું: 'કેવી વાત કરો છો તમે ? જે ચીજ જ્યાં જડે તેમ હોય ત્યાં જ તેને શોધવી જોઈએ. બીજે શોધવા જવું એ મૂર્ખાઈ છે.'

મુલ્લાંએ શ્રીમંત ની સામે તાકીને જોઈ કહ્યું : 'હું પણ એ જ કહું છું, જનાબ ! તમે સુખ ખોળો છો તો જ્યાં સુખ મળે તેમ છે ત્યાં એને ખોળો ! સુખને ધનમાં ન ખોળો !સુખ ધનમાં નથી, ધનના ત્યાગમાં છે.'


48 શરમ નો માર્યો

એક વાર મુલ્લા નસરુદ્દીન ના ઘરમાં ચોર પેઠા. ચોરને જોઈ મુલ્લાંને બીક લાગી, એટલે મુલ્લાં એક જૂની લાકડાની પેટીમાં સંતાઈ ગયા.

મુલ્લાં ગરીબ હતા. એમના ઘરમાં માલમિલકત જેવું કઈ હતું નહિ.

ચોરોને ક્યાય કશું હાથ લાગ્યું નહિ.

તેમણે એક ખૂણામાં લાકડાની પેટી પડેલી જોઈ. પેટીમાંથી કઈ મળશે એમ સમજી તેમણે પેટી ઉઘાડી, તો તે માંથી મુલ્લાનું માથું બહાર આવ્યું !

ચોરોએ કહ્યું : 'કોણ છે તું ?'

મુલ્લાંએ કહ્યું : 'ઘરનો ધણી !'

'ઘરનો ધણી ? કયા ઘરનો  ?' ચોરોએ પૂછ્યું.

મુલ્લાંએ કહ્યું : 'આ ઘરનો વળી !'

ચોરોએ કહ્યું : 'તો ઘરનો ધણી થઈને તું આ પેટીમાં શું કામ પુરાયો છે ?'

મુલ્લાંએ કહ્યું : ' શું કામ તે શરમનો માર્યો ! મને થયું કે આપ સજ્જનો કેટલી આશાએ મારા ઘરમાં પધાર્યા, પણ મારા ઘરમાં કશું છે નહિ ! આપનો સત્કાર કેવી રીતે કરવો ? એટલે શરમનો માર્યો હું આ પેટીમાં ભરાઈ ગયો છું.'

ચોર ખસીયાના પડી ગયા અને કઈ પણ બોલ્યા વગર ઘર છોડી ગયા.


49 સમુહમાં ફાતીયો

તૈમુર લંગ પશ્ચિમ એશિયા જીતવા થનગની રહ્યો હતો. મુલ્લાં નસરુદ્દીન આવી લડાઈઓની વિરુદ્ધ હતા. તેથી તેમણે મસ્દીજ માં પ્રાર્થના કરાવી કે તૈમુર ઉપર ખુદાનો ખૌફ ઉતારો !

તૈમુરને ખબર હતી કે મુલ્લાં મારી વિરુદ્ધ છે તેથી તે પણ તે વખત મસ્જીદમાં હાજર હતો. પણ તે દરવેશના છુપા વેશ માં હતો. તે એકદમ બોલી ઉઠ્યો : 'મુલ્લાં, ખુદા તારી આ પ્રાર્થના મંજુર નહિ કરે !'

મુલ્લાંએ કહ્યું : 'કેમ નહિ કરે ?'

દરવેશે કહ્યું : 'કારણ કે તૈમુર બાદશાહ છે, એ સજાપાત્ર ને સજા કરે છે અને સજાપાત્રને જે સજા કરે છે તેને ખુદા સજા નથી કરતો !'

હવે મુલ્લાં મૂંઝાયા. તેમણે કહ્યું : 'તમે કોણ છો ? શું નામ તમારું ?'

'હું ? હું તૈમુર !' તૈમુર નામ સાંભળી એકદમ આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. તૈમુર પોતાના કેટલાક તીરંદાજોને છુપે વેશે ત્યાં તૈયાર રાખ્યા હતા, તે પણ બધા હાથમાં તીરકામઠા લઈને ખડાથઇ ગયા !

મુલ્લાં મામલો સમજી ગયા, પણ એમ ઢીલા થઇ જાય તો એ મુલ્લાં શાના ? એમને ફરી એ દરવેશ વેશધારી તૈમુરને પૂછ્યું : 'તમારા નામને છેડે 'લંગ' છે ?'

તરત જવાબ આવ્યો : 'છે જ તો ! હું તૈમુર લંગ છું.'

હવે બધાને ખાતરી થઇ ગઈ કે આપણું આવી બન્યું ! તૈમુર આપણને જીવતા નહિ છોડે !

મુલ્લાંને પણ એ વિશે શંકા નહોતી, પણ એ પોતાની મસ્તીમાં મસ્ત હતા.

એમણે લોકોની સામે જોઈ કહ્યું : 'દોસ્તો, આ પહેલા આપણે સમુહમાં પ્રાર્થના કરી હવે આપણે સમુહમાં ફાતીયો પઢીએ અને સદાને માટે અહી આરામથી પોઢી જઈએ !'

મુલ્લાંની આ નિર્ભયતા અને મરવા ટાણે પણ મજાક કરવાની શક્તિ જોઈ તૈમુર હસી પડ્યો.

તરત જ એણે પોતાના સૈનિકોને હુકમ કર્યો : 'હટી. જાઓ અહીંથી ! કતલ કરવા લાયક અહી કોઈ નથી!'


50 શા ખપનું છે?

મુલ્લાં નસરુદ્દીન ની પાસે એક ફક્કડ ઘેટું હતું. પડોશીઓની નજર એ ઘેટા પર હતી. એમને એ મારી ખાવું હતું. એમને ઘણી વાર મુલ્લાંને કહી જોયું કે દોસ્ત, એક વાર મિજબાની તો આપ ! પણ મુલ્લાં કોઠું આપતા નહોતા.

છેવટે પડોશીઓએ એક યુક્તિ અજમાવી, તેમણે મુલ્લાંને કહ્યું કે 'આવતી કાલે પૃથ્વીનો પ્રલય થવાનો છે, માટે આજે ખાઈપી લહેર કરી લો ! કાલ કોણે દીઠી છે !'

આ વાત તેમણે મુલ્લાંના મનમાં એવી ઠસાવી દીધી કે મુલ્લાંએ કહ્યું : 'બસ, તો આજે છેલ્લી જાફત કરી નાખીએ ! ખાધું એ ખરું ! આ ઘેટું હવે શા ખપનું છે ?'

એ જ દિવસે ઘેટાની મિજબાની થઇ ગઈ. જમ્યા પછી બધા મહેમાનો ડગલા ઉતારી વામકુસ્રી કરવા પડ્યા, અને મુલ્લાંએ એ બધા ડગલા ભેગા કરી અને હોળી કરી નાખી !

વામક્રુસી કરીને જાગ્યા પછી મહેમાનોએ ડગલા ખોળ્યા, પણ એકે ડગલો હાથ લાગ્યો નહિ. ત્યારે બધા મુલ્લાં પર ગુસ્સે થઇ ગયા. કહે : 'અમારા ડગલા ક્યાં ?'

મુલ્લાંએ જરાયે વિચલિત થયા વગર કહ્યું : 'દોસ્તો, ડગલા ડગલા શું કરો છો ? આવતી કાલે તો પૃથ્વીનો પ્રલય થવાનો છે, પછી ડગલા શા ખપના છે ? એટલે મેં બધાની હોળી કરી નાખી ! તાપણું ફક્કડ થયું છે; ચાલો, તાપીએ !'


51 અંગત બાબત

એક વાર એક માણસનો બળદ મુલ્લાં નસરુદ્દીન ના ખેતરના ઉભા મોલમાં ઘુસી ગયો ને પાકને નુકસાન કરવા લાગ્યો.

મુલ્લાંએ બળદના માલિકને ફરિયાદ કરી : 'તમારો બળદ મારા પાકને નુકસાન કરે છે. એને વારો !'

બળદના માલિકે હસીને કહ્યું : 'એ તમારી અને બળદની અંગત બાબત છે. હું કોઈની અંગત બાબતમાં વચમાં પડતો નથી.'

હવે મુલ્લાંએ ચાબુક લઇ બળદને ફટકારવા માંડ્યો. બળદ અધમુઓ થઇ ગયો.

બળદના માલિકે મુલ્લાંને કહ્યું : 'એ...ઈ, મારા બળદને કેમ મારે છે ?'

મુલ્લાંએ ઠંડકથી કહ્યું : 'કેમ મારું છું એ બળદ જાણે છે. મારી અને બળદની એ અંગત બાબત છે. કોઈની અંગત બાબતમાં માથું મારવાનો તમને હક નથી.'


52 મારી સાસુને હું ઓળખું

એક વાર કેટલાક માણસોએ મુલ્લાં નસરુદ્દીન ની મજાક કરવા ખોટેખોટું કહ્યું : 'મુલ્લાં, તમારા સાસુ નદીમાં પડી ગયા છે ને તણાય છે ! ઝટઝટ દોડો અને બચાવી લો !'

એક પળ પણ ગુમાવ્યા વિના મુલ્લાં નદી પર પહોચી ગયા અને નદીના વહેણની સામી દિશાએ દોડવા લાગ્યા.

લોકોએ કહ્યું : 'અરે, વહેણ તો આ તરફ જાય છે, અને તમે એની સામી બાજુ કેમ દોડો છો ?'

મુલ્લાંએ કહ્યું : 'મારી સાસુને તમે ઓળખો કે હું ? બધા વહેણની સાથે તણાય, પણ મારી સાસુ વહેણની સામે તણાય એવી છે. એટલે હું આમ જાઉં છું.'

મુલ્લાંને બનાવવા જનાર પોતે જ બની ગયા.


53 બે ગધેડાનો બોજ

એક વાર મુલ્લાં નસરુદ્દીન બે સુલતાનોની સાથે શિકાર ખેલવા વનમાં ગયા હતા.

બપોરનો સમય હતો. તાપ સખત પડતો હતો.

બેઉ સુલતાનોએ પોતાના ભારે ડગલા અંગ પરથી ઉતારીને મુલ્લાંને ઊંચકવા આપ્યા હતા. બંને ડગલા ખભા પર નાખી મુલ્લાં ધીરે ધીરે ચાલતા હતા.

એટલામાં એક સુલતાનને મુલ્લાંની મશ્કરી કરવાનું મન થઇ આવ્યું તેણે બીજાને કહ્યું : 'મુલ્લાંના ખભા પર અત્યારે એક ગધેડાનો બોજ છે !'

મુલ્લાં એ સાંભળી ગયા.

તરત એમણે કહ્યું : 'જી, આપણી જરીક ભૂલ થાય છે. મારા ખભા પર એક ગધેડાનો નહિ, પુરા બે ગધેડાનો બોજ છે !'


54 સ્વરૂપવાન દેખાવાનો કીમિયો

એક વાર એક કદરૂપી બાઈ મુલ્લાં નસરુદ્દીન પાસે આવી કહે : 'મુલ્લાં, મેં સાંભળ્યું છે કે તમે અસલ ઈલમી છો.'

મુલ્લાએ કહ્યું : 'હ, બીજું શું સાંભળ્યું છે ?'

બાઈએ કહ્યું : 'બીજું એ સાંભળ્યું છે કે તમારી પાસે એવો કીમિયો છે કે તમે બેડોળને સુડોળ બનાવી દો છો, અને કુરૂપને સુરૂપ બનાવી દો છો !'

મુલ્લાં ધારી ધારી ને બાઈના ચહેરા સામે જોઈ રહ્યા.

બાઈએ કહ્યું : 'મુલ્લાં, હવે તમારા ઇલમથી તમે મારો ચહેરો સુંદર બનાવી દો ! બધા મને રૂપાળી જુએ એવું કરી દો ! હું તમને મો માગી ફી આપીશ.'

આમ કહી એણે મુલ્લાંની સામે અશર્ફીઓનો ઢગલો કરી દીધો.

મુલ્લાંએ એક એક અશરફી વીણી લઈને ગજવામાં નાખી.

પછી કહ્યું : 'બાઈ, કામ ઘણું અઘરું છે, કુદરતની સામે ટક્કર લેવાની છે, પણ તારી અશર્ફીઓએ મારામાં હિંમત પૂરી છે. તારે છ મહિના - માત્ર છ મહિના મારા આદેશ પ્રમાણે રહેવું પડશે.'

ખુશ થઇ બાઈ બોલી : 'મને એ મંજુર છે.'

મુલ્લાંએ કહ્યું : 'તારે છ મહિના - માત્ર છ મહિના એકલી છાશ પીને રહેવાનું, ભૂલેચૂકેય બીજું કઈ મોમાં નાખવાનું નહિ !'

બાઈ ચમકી પડી બોલી : હે ! છ મહિના, માત્ર છાશ પીને રહેવાનું ? તો તો હું મરી જ જાઉં ! બીજો સહેલો ઇલમ નથી ?'

મુલ્લાંએ કહ્યું : 'સહેલો ઇલમ પણ છે. ખુબ સહેલો છે. તમે કાયમ મો પર ઘૂમટો ઓઢીને ફરો ! બધાને તમે સ્વરૂપવાન જ દેખાશો !'


55 શાંતિથી ઊંઘીએ

એક વાર મુલ્લાં નસરુદ્દીન ગામથી ગામ ફરતા હતા, એમનો લાડકો ગધેડો એમની સાથે હતો.

આવી રીતે ફરતા ફરતા એક દિવસ એમને એક સોદાગરના કાફલાનો સંગાથ થઇ ગયો.

મુલ્લાં કાફલાની સાથે સાથે ચાલ્યા.

બપોરે કાફલાએ એક જગાએ મુકામ કર્યો અને ખાણું પકાવી ખાધું, પણ કોઈએ મુલ્લાંની દરકાર કરી નહિ.

મુલ્લાએ ગધેડાને કહ્યું : 'દોસ્ત, તું એક ટંક ભૂખ્યો રહી શકે છે, હું પણ રહી શકું છું.'

જમ્યા પછી કાફલો આગળ ચાલ્યો, મુલ્લાં પણ ચાલ્યા.

સાંજ પડતા કાફલાએ એક ઠેકાણે મુકામ કર્યો અને સાંજની નમાજની તૈયારી કરવા માંડી.

મુલ્લાં ગધેડાને લઈને આઘે જી બેઠા. પછી ગધેડાને કહે : 'દોસ્ત, તું બે ટંક ભૂખ્યો રહી શકે છે, હું પણ રહી શકું છું. આ લોકોએ બપોરે પેટ ભર્યું છે ને અત્યારે પણ ભરશે. એટલે ખુદાનો આભાર માનવાનું એમને કારણ છે, તેથી બંદગી કરે છે ને નમાજ પઢે છે. આપણે તો - હું ને તું - બેય ભૂખ્યા છીએ. એટલે મનોમન એટલું સમજવાનું કે આપણે એમનો આભાર માનીએ એવું જો ખુદા ચાહતા હશે તો મારા માટે ભાણું અને તારા માટે લીલું ઘાસ એ મોકલી આપશે. ત્યાં સુધી આપણે શાંતિથી ઊંઘીએ !'

આમ કહી મુલ્લાંએ ગધેડાની પીઠનો ટેકો લઈને જમીન પર લંબાવ્યું .


56 ગાયને જ પૂછી લો ને

એક વાર મુલ્લાં નસરુદ્દીન ને એક ગાય ખરીદી.

ગાયને દોરીને મુલ્લાં ઘેર લઇ જતા હતા, ત્યારે રસ્તામાં જે મળે તે કહે : 'વાહ, ગાય મજાની છે ! કેટલામાં લીધી આ ? ક્યાંથી લીધી ? ક્યારે લીધી ?'

મુલ્લાંએ એક ને જવાબ દીધો, બેને દીધો, ચારને દીધો, કઈ કેટલાયને દીધો.

પણ લોકો સવાલ પૂછાતા જ રહ્યા.

એકનો એક સવાલ સાંભળીને એણે સૌને એકનો એક જવાબ આપીને મુલ્લાં કંટાળી ગયા.

એવામાં વળી બે માણસ એમને મળ્યા.

ગાય જોતાજ એમણે કહ્યું : 'વાહ, જનાબ, ફક્કડ ગાય છે ! કેટલામાં લીધી આ ? ક્યાંથી લીધી, ક્યારે લીધી ?'

મુલ્લાંએ હવે ઠંડકથી જવાબ દીધો : 'ગાયને આટલી ઓળખો છો, તો ખુદ ગાયને જ એ પૂછી લો ને, બાવા!'


57 શાસ્ત્રાર્થ

એક વાર એક પંડિતે મુલ્લાં નસરુદ્દીન ને શાસ્ત્રાર્થના વાદવિવાદનો પડકાર ફેક્યો.

મુલ્લાંએ પડકાર ઝીલી લઇ વાદવિવાદનો દિવસ નક્કી કર્યો.

ઠરાવેલા દિવસે ને સમયે પંડિત મુલ્લાંને ઘેર ગયો પણ મુલ્લાં હાજર નહોતા. તેથી તેણે એવો ક્રોધ ચડ્યો કે એણે કોલસો લઇ મુલ્લાંના ઘરના બારણાં પર મોટા અક્ષરે લખી નાખ્યું :'અસલ ગધેડો !'

મુલ્લાંએ ઘરે આવી આ વાચ્યું કે તરત એ પંડિતને ઘરે દોડ્યા.

પછી પંડિતને કહે : 'તમે આવવાના હતા તે વાત હું ભૂલી ગયો હતો, તેથી હું ઘેર હાજર નહોતો. મને માફ કરો ! એ તો સારું થયું કે તમે મારા ઘરના બારણા પર તમારું નામ લખી ગયા ! એ વાંચ્યું ત્યારે જ મારે યાદ આવ્યું કે તમે આવવાના હતા !'

પંડિતનું મો જોવા જેવું થઇ ગયું. એમનો  શાસ્ત્રાર્થનો વાદવિવાદ તે જ સમયે પૂરો થઇ ગયો !


58 ગધેડાની ટાઢ ઉડાડી

મુલ્લાં નસરુદ્દીન ની પાસે એક ગધેડો હતો. એક વાર એ ગધેડાને લઈને એ જંગલમાં લાકડા લેવા ગયા. લાકડા વીણી એમણે ગધેડા ઉપર લાદ્યા .

શિયાળાના દિવસો હતા - ટાઢ સખત પડતી હતી. મુલ્લાંને થયું કે મને ટાઢ વાય છે, તેમ ગધેડાને પણ ટાઢ વાતી જ હશે ને ! તો પછી આ લાકડા શા ખપના છે ? બાપડો એને ઉપાડીને ક્યારનો ટાઢ વેઠી ચાલે છે, તો એ લાકડાનું તાપણું કરી જરી એની ટાઢ ઉડાડું !

તરત જ મુલ્લાંએ ગધેડાની ઉપર લાદેલા લાકડા સળગાવ્યા. સુકા લાકડા ભક કરતા સળગી ઉઠ્યા. પોતાની પીઠ પરના ભડકાથી ભડકીને ગધેડો બીને ભાગ્યો.

મુલ્લાએ એની પાછળ દોડી બુમો પાડવા માંડી : 'અલ્યા ગધ્ધા, તાપવું ન હોય તો ન તાપતો, પણ આમ ભાગે છે શું કરવા ? જરી મારી શરમ રાખ !'

કોઈકે કહ્યું : 'મુલ્લાં, ગધેડો તો તાપણું હોલવવા દોડે છે !'

ત્યારે મુલ્લાંએ ગધેડાને સંબોધીને કહ્યું : 'અલ્યા, હોલવવું હોય તો જરી અક્કલ વાપરીને પાણીમાં કુદી પડ ! ડાબા હાથ પર કુવો છે !'

પણ ગધેડો જાય દોડ્યો.

મુલ્લાં કહે : 'ગધેડો છેવટ ગધેડો જ રહ્યો. કશું સમજતો નથી. એના ભલા માટે હું તાપણું કરું છું, તો એને એની કદર નથી અને તાપણું હોલવવાની સલાહ આપું છું તો સલાહ એ ગ્રહણ કરતો નથી ! નસીબ એના, મારે શું ?'


59 ઘર બદલ્યું
મુલ્લાં નસરુદ્દીન ઘણા વખતથી ઘર બદલવાનો વિચાર કરતા હતા, પણ ઘરનો સરસામાન લઇ જવા માટે ગાડું ભાડે કરવા જેટલા તેમની પાસે પૈસા નહોતા. ઘરમાં બીજો તો કઈ સામાન નહોતો, પણ વાસણ કુસણ, કપડાલત્તા, અને એવું કેટલુક હતું.

એવામાં એક વાર મુલ્લાંના ઘરમાં ચોર પેઠા. ઘરમાં ખણખોજ કરતા કીમતી કશું મળ્યું નહિ, એટલે એમણે જે મળે તે ઉપાડી જવા નક્કી કર્યું, અને વાસણ કુસણ, કપડાલત્તા વગેરે જે કઈ ઘરમાં હાથ લાગ્યું તેના બે મોટા પોટલા બાંધ્યા, અને પોટલા ખભે ચડાવી ચાલવા માંડ્યું.

ત્યારે મુલ્લાં પણ એક નાનકડું પોટલું ખભે નાખી ચોરોની પાછળ પાછળ ચાલ્યા. એક ચોરે મુલ્લાંને પોતાની પાછળ આવતા જોઈ પૂછ્યું : 'એ...ઈ, તું કેમ અમારી પાછળ આવે છે ?'

મુલ્લાંએ હસીને કહ્યું : 'વાહ, હું નહિ આવું તો બીજું કોણ આવશે ? ઘણા વખતથી હું ઘર બદલવાનો વિચાર કરતો હતો, પણ ઘરનો સામાન લઇ જવા ગાડું ભાડે કરવાના મારી પાસે પૈસા નહોતા; એટલે મુંઝાતો હતો. પણ આજે આપ બેઉની મહેરબાનીથી વગર ખર્ચે ઘર ખાલી કરી શકાયું છે, તેથી મને ખુબ આનંદ થયો છે. તમે મારા પર આટલી દયા કરી છે, તો હવે જરી આ સામાન મારા નવા ઘરમાં રાખી આપો એટલે પત્યું ! એ ઘર દેખાડવા માટે તો મારે આપની સાથે આવવું પડે ને ! એટલે આવું છું ! લો, આપણે મારા નવા ઘર નજીક આવી પહોચ્યા છીએ, જમણા હાથની ગલીમાં બીજું જ ઘર'

પકડાઈ જવાની બીકે પોટલા મેલી ચોરો જાય ભાગ્યા!


60 સાવ મૂરખ

એક વાર કોઈકે મુલ્લાં નસરુદ્દીન ને પૂછ્યું : 'સવાર થાય છે ને લોકો ચારે તરફ હડીઓ કાઢે છે એનું શું કારણ ?'

મુલ્લાંએ જવાબ દીધો : 'અરે વાહ, એટલુંયે નથી સમજાતું તમને ? સાવ મૂરખ લાગો છો !'

મુલ્લાંએ પોતાને મૂરખ કહ્યો તેથી એ માણસને ખોટું લાગ્યું; તોય તેણે કહ્યું : 'તો સાવ મુરખમાંથી તમે મને સાવ ડાહ્યો બનાવી દો ને !'

મુલ્લાંએ કહ્યું : 'જરૂર, દોસ્ત ! હું તને સાવ ડાહ્યો બનાવી દઉં ! મારો જવાબ નર્યો ડહાપણથી ભરેલો છે. સાંભળ, લોકો ચારે તરફ હડીઓ કાઢે છે તેનું કારણ એ છે કે આ ધરતી બાપડી નદીમાના નાવડા જેવી છે. જો બધા લોકો એકજ બાજુએ દોડે તો એક બાજુ ભાર વધી જાય અને ધરતી નાવડાની પેઠે ગુલાંટ ખાઈ જાય, ને ઉંધી વળી જાય ! હ, સમજી ગયો ને હવે ! ડાહ્યા માણસને જ સમજાય એવી વાત છે.'

પેલો ચુપ થઇ ગયો. એનાથી 'સમજ્યો' એવુયે નથી કહેવાતું, અને 'નથી સમજ્યો' એવુયે નથી કહેવાતું ! કહે છે તો 'સાવ મૂરખ' સાબિત થઇ જાય છે !

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...