મુખ્ય સામગ્રી પર જાઓ

ભવિષ્યવેત્તા

લેખક:  આશા વીરેન્દ્ર
રવિવારનો દિવસ એટલે આખા અઠવાડિયાનો થાક ઉતારવાનો દિવસ. બપોરે ઊંઘ ખેંચી કાઢી. સાંજે ટી.વી. ચાલુ કર્યું. એક પછી એક ચેનલ બદલવામાં મશગૂલ હતો ત્યાં મારા ખભા પર કોઈના હાથનો હળવો સ્પર્શ થયો. પાછળ ફરીને જોયું તો તનુ. એ એકદમ ગંભીર લાગતી હતી. એણે કહ્યું,
‘તમને એક ખૂબ જરૂરી વાત કરવી છે. પ્લીઝ ટીવી બંધ કરશો ?’

હું કશો મહત્વનો કાર્યક્રમ તો જોતો જ નહોતો, એમાં વળી તનુએ એવી રીતે વાત કરી કે, મેં તરત જ ટી.વી. બંધ કર્યું અને પૂછ્યું :
‘બોલ, શું છે ?’
‘તમને ખબર છે ને, બાજુવાળાં મમતાબહેન સાથે હું એમના ગુરુ જીવનાનંદબાબાના દર્શન કરવા ગઈ હતી ?’ મેં હકારમાં ડોકું ધુણાવ્યું.
‘મમતાબહેનનો દીકરો મિતુલ આગળ ભણવા માટે અમેરિકા ગયો છે ને, એની એમને બહુ ચિંતા રહે છે એટલે તેઓ વારંવાર બાબા પાસે દીકરાના ખબર-અંતર પૂછવા જાય છે.’
‘મને કાંઈ સમજાયું નહીં. ખબર-અંતર તો સીધેસીધા એને જ પૂછી શકાય ને ? એમાં ગુરુ પાસે જવાની શું જરૂર ?’ મને વાતમાં કંઈક ગુંચવાડો લાગ્યો.

‘તમે તો દરેક વાતમાં હજાર સવાલ કરો. ફોન પર મિતુલને પૂછી જ શકાય પણ ધારો કે, એ કોઈ વાત છુપાવતો હોય તો ? જેમ કે, ત્યાં જઈને સ્ત્રી મિત્રો સાથે ફરવા લાગ્યો હોય અથવા દારૂ પીવા લાગ્યો હોય અથવા…..’ મેં એને અટકાવીને પૂછ્યું : ‘એવું કંઈ હોય તો બાબાને એની ખબર કેવી રીતે પડે ?’
‘ક્યારની તમને એ જ તો કહેવા માગું છું. બાબા તો સર્વજ્ઞ છે, ત્રિકાળજ્ઞાની છે. તેઓ ભવિષ્ય પણ આબાદ ભાખે છે ને આપણને કંઈ નડતર હોય તો એમાંથી છૂટવાનો ઉપાય પણ બતાવે છે. તેઓ ત્રણ ત્રણ જાતના તો હવન કરી આપે છે. એમણે હવનના એ, બી અને સી ગ્રેડ રાખ્યા છે. એ ટાઈપનો હવન ઊંચામાં ઊંચો કહેવાય અને એની તાત્કાલિક અસર થાય. એનો ભાવ 64,000 રૂપિયા. બી ટાઈપનો હવન મધ્યમ પ્રકારનો – એ 32000 રૂ.માં થાય અને સી ટાઈપના હવનની અસર થતાં વધુ વાર લાગે એટલે એનો ભાવ પણ ઓછો – માત્ર 16,000 રૂપિયા. મમતાબહેને તો પોતાના દીકરાના ઉજ્જ્વળ ભવિષ્ય માટે 64000 રૂ. વાળો હવન જ બુક કરાવ્યો છે.’
‘એક હવન કરાવવાના 64,000 રૂપિયા !’ મારો અવાજ ફાટી ગયો.

‘મારી વાત આગળ સાંભળો તો ખરા ! મારું મોઢું જોતાંની સાથે બાબા તરત સમજી ગયા. કહે, માતા ! તું કશીક ચિંતામાં લાગે છે. જે હોય તે મને જણાવ. મેં કહ્યું બાબા, કોણ જાણે કેમ, પણ મને મારા પતિની બહુ ફિકર રહે છે. પછી એમણે મારા હાથની રેખાઓ જોઈને કહ્યું, અરરર ! આવતા અઠવાડિયામાં જ તારા પતિનો મૃત્યુયોગ છે. માર્ગ અકસ્માતમાં એનું મૃત્યુ થશે એવું મને દેખાઈ રહ્યું છે.’ મને હસવું આવ્યું. મેં કહ્યું :
‘આમ ને આમ જ આવા ઠગો તમારા જેવા નબળા મનના લોકોને ગભરાવતા હોય છે. મારા મૃત્યુની વાત હમ્બગ છે, હમ્બગ !’
તનુ ગભરાઈ ગઈ, ‘મારા સમ છે જો બાબા વિશે ગમે તેમ બોલ્યા છો તો. માંડ માંડ મને 32,000 વાળા હવનનું મંગળવારનું બુકિંગ મળ્યું છે. જ્યાં સુધી હવન સંપન્ન ન થાય ત્યાં સુધી તમે ઘરની બહાર નહીં નીકળો. મને વચન આપો. પ્લીઝ, મને વચન આપો.’ હવે એની આંખમાં આંસુ આવી ગયાં હતાં. મારે ઝૂકવું જ પડ્યું. મેં કહ્યું :
‘ઠીક છે, કાલે ઑફિસમાં ગુલ્લી.’

તનુ શાળામાં શિક્ષિકા છે. સવારથી શાળામાં જાય તે બે વાગે પાછી આવે. એના ગયા પછી એકાદ ચોપડી લઈને હું વાંચવા બેઠો. થોડીવાર પછી કંઈક વિચારીને હું સ્કુટર લઈને નીકળી પડ્યો. તનુ બોલી હતી કે, બાબા સીલ્વર પાર્કમાં કાલિંદી બિલ્ડીંગમાં રહે છે. દસેક વાગ્યે હું ત્યાં પહોંચ્યો. દરવાજે લગાડેલી તકતી પર જીવનાનંદ બાબાના નામ સાથે કંઈ કેટલીય ડિગ્રીઓ લખેલી હતી. વિશાળ વેઈટીંગ રૂમમાં પચ્ચીસેક માણસો બેઠેલા. વી.આઈ.પી. પાસના રૂ. 1001 ભરવાથી મને જલદી પ્રવેશ મળ્યો. બાબાએ આંખો ઝીણી-મોટી કરી કરીને ધ્યાનપૂર્વક મારી હથેળીમાંથી એક એક રેખા જોઈ. પછી ખુશીથી મારા વાંસામાં ધબ્બો મારતા કહે : ‘જાવ, જલસા કરો. ઓછામાં ઓછા 90 વર્ષ તો તમે જીવશો જ. પણ…. એક સમસ્યા છે. તમારી તબિયત નરમ-ગરમ રહેશે. એમાંથી બચવું હોય તો આપણી પાસે ફક્ત રૂ. 5001નું સ્વાસ્થ્યવર્ધક નંગ છે. એ પહેરશો તો તબિયત ઘોડા જેવી રહેશે. બોલો, કાઉન્ટર પર કહી દઉં, નંગ આપવાનું ?’
મેં કહ્યું : ‘બાબા, અત્યારે તો હું એટલી રકમ લઈને નથી આવ્યો. આવતે અઠવાડિયે આવીને લઈ જઈશ.’ હું ઘરે પહોંચ્યો પછી અડધાએક કલાકમાં તનુ આવી. મેં કહ્યું : ‘આજે સાંજે તો પાર્ટી હો જાય.’ એણે પૂછ્યું, ‘શાની ?’ મેં કહ્યું : ‘તું તારી મહેનતની કમાણીમાંથી 32,000 રૂ. ખર્ચીને હવન કરાવવાની હતી એ મેં બચાવ્યા એની.’ મેં એને અથથી ઈતિ બધી વાત સંભળાવી. એના મનનું પૂરેપૂરું સમાધાન થયું હોય એવું તો ન લાગ્યું છતાં ડિપોઝીટના 501 રૂ. જતા કરીને એ હવે હવન નહીં કરાવે એમ તો એણે નક્કી કર્યું.

પાંચેક વર્ષ પછી અચાનક મને જીવનાનંદ બાબા યાદ આવી ગયા. મને થયું, લાવને જરા બાબાની મુલાકાત લઉં ! પહોંચતાની સાથે મારી નજર નેઈમપ્લેટ પર ગઈ. ડિગ્રીઓની હાર પહેલાં કરતાં લાંબી હતી પણ નામ ફેરવાઈ ગયું હતું – જીવનાનંદને બદલે કરુણાનંદ. મને આશ્ચર્ય થયું છતાં અંદર તો ગયો જ. મુલાકાતીઓથી હૉલ ભરેલો હતો. મારી બાજુમાં બેઠેલાં માજી હોઠ ફફડાવતાં હાથમાં રાખેલી થેલીમાંની માળા ફેરવતાં હતાં. થોડીવારે એમણે માળા પૂરી કરી મારી સામે નજર કરી કે, તરત મેં એમને પૂછી જ નાખ્યું, ‘માજી, બહાર નેઈમ્પલેટ પર કરુણાનંદ નામ લખ્યું છે તે….’
‘હા, કહેવાય છે ને, બાપ કરતાં બેટા સવાયા. જીવનાનંદબાબા કરતાં પણ એમનો દીકરો વધુ સચોટ ભવિષ્ય જોઈ આપે છે.’ માજીએ કહ્યું.
‘તે…. જીવનાનંદબાબા….’
‘લે ભાઈ….. તમને નથી ખબર ? બે વર્ષ પહેલાં રોડ એકસીડન્ટમાં એમણે તો મહાસમાધિ લઈ લીધી.’

મારા મોઢામાંથી નીકળી ગયું, ‘હેં !’

(સુબ્રતા ચૌધરીની અંગ્રેજી વાર્તા પરથી.)
[ ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...