મુખ્ય સામગ્રી પર જાઓ

પાછળ રહી ગયેલું એક ઘર

લેખિકા: હિમાંશી શેલત

એને જે થયું એ કોઈને ખાસ સ્પર્શે એવું નથી. એમાં વેદનાનું કાવ્ય કે ઝુરાપો કે વતન માટે તલસાટ જેવા શબ્દોનો ઉપયોગ થાય એવુંય નથી. નોસ્ટાલજિયા જેવું તો કહેવાય જ નહીં. વિખુટા પડવાની કે એકલતાની કે નગર-સંસ્કૃતિના અભિશાપની કોઈ રંગદરશી કલ્પનાને ફાવટ આવે એવી ઘટના જ મૂળમાં નથી. અહીં જે છે તે જરા વધારે નક્કર છે.
ઉદવાડાથી એ ટ્રેનમાં બેઠો ત્યારે એનું ઘર દેખાતું તો ક્યારનુંય બંધ થઈ ગયેલું. ઘર એટલે પડું પડું થઈ રહેલી બે-ત્રણ લાકડાને ટેકે ઉભેલી ભીંતો, તિરાડો વાળું ઉધઈખાધું બારણું, એક નાનો વાડો એમાં બે ટગરી, એક લીમડો, તુલસી, પાણીનાં બે પીપડા, ગોબા પડેલી એક કાણી ડોલ, સાદડીઓ અને છતિયાને જેમ-તેમ બાંધી ટકાવી રાખેલું નાવણિયું. બસ આટલું જ. છતાં એણે ડબ્બામાંથી વાડામાંનો લીમડો દેખાય છે કે કેમ તે જોવા ઉંચા થઈ થઈને પ્રયત્ન કરેલો. ત્યારે મધુકાકાએ જરા ખીજાયને કહેલું, કે સરખો બેસ. એ બેસી પણ ગયેલો. પછી ટ્રેન ચાલું થઈ ને ઉદવાડા પાછળ રહી ગયેલું.
એને જયાં રાખ્યો હતો તે જાગ્યા માની ન શકાય એવી ચોખ્ખી હતી. રાત્રે તો સંકોચને કારણે એણે ખાસ કશું જોયું નહોતું પણ સવારે આખું ઘર બરાબર જોયું. એક એક ઓરડો જુદા જુદા રંગનો હતો. ચમકતું ગુલાબી રસોડું, આકાશ જેવો આગલો ઓરડો, અને પગે પીછું ફરતું હોય એવા સુંવાળા ગાલીચા- એની આંખો આશ્ચર્યને કારણે બંધ નહોતી થઈ. એટલે જ કદાચ એ થોડા દિવસ ઊંઘી ન શક્યો. એને માટે પણ એક અલગ ઓરડી કાઢી આપી હતી. સ્વચ્છ પથારીનો નવો નવો સ્પર્શ અજાણ્યો હોવાથી વારંવાર બેઠા થઈ જવાતું હતું. આમ સાવ એકલો સુવા એ ટેવાયો પણ નહોતો. ઉદવાડાના ઘરમાં રાત્રે આસપાસ કેટલા બાધા શ્વાસ હરતા ફરતા હોય! સુખલો ને કીકી માની આજુબાજુ હોય, બાપા ને રાજુ વાડામાં ખાટલી પર હોય અને પોતે ભીંત પાસે ઘોરતો હોય. વારંવાર હડસેલવા છતાં રવલો આળૉટતો આળૉટતો પોતાની પથારીમાં આવી ગયો હોય. અહી તો આંખ ખોલે ત્યારે આસપાસ બધું ખાલીખમ. પહેલા પહેલા તો એ ભૂલવામાં પડતો કે હમણાં માં બાવડ઼ુ તાણી ઉઠાડશે- પછી તો યાદ રહેવા માંડ્યું કે આ કાંઇ ઉદવાડાનું ઘર નથી. રવલો ને બાપા ને માં બધા અહી ક્યાંથી હોય?
ત્રણ મહિનામાં ત્રણ વાર બાપા આવી ગયા. અને પગારના પૈસામાંથી પચાસ રૂપિયા વાપરવા આપી બાકીના લેતા ગયા. બાપાએ ઘેર વાત કરી હશે કે હવે એની ચિંતા કરવા જેવી નથી. બરાબર ગોઠવાઈ ગયો છે. બે ટંક જમવાનું ને નાસ્તો, કપડા, નાટક, સિનેમા બધું ઘરનાં છોકરાં પેઠે. કામ ઝાઝું નથી અને સાહેબની મોટર પણ સાફ કરતો થઈ ગયો છે. એતો કહેતાં'તા કે મોટર ચલાવતા પણ આવડી જશે. છોકરો તમારો ચબરાક છે.
અહીંની જાત જાતની વાતો રવલા-સુખલાને કહેવાનું બહું મન હતું. પણ ઉદવાડા જવાનું ચાર વાર નક્કી કર્યું અને ચારેય વાર રહી ગયું. કોઈ વાર સાહેબ બહારગામ ગયા, વળી રીક્ષાની હડતાળ પડી તે બાબાભાઈને સ્કૂલે લેવા-મુકવા જવાનું થયું, પછી ઘરમાં મહેમાન આવ્યા-ગયા. કોઈને કોઈ કારણસર મેળ પડ્યો નહીં. આજ-કાલ કરતા છ મહિના થઈ ગયા. પછી તો ઉદવાડાનું નામ હોઠે આવે ન આવે ત્યાં તો વાડાના લીમડાનો ફરફરાટ ને બપોરના પહોરે કકુભાઈની વાડીએ આંબલીના કાતરા પાડતી વેળાની ધીંગામસ્તી, વાળું વખતે ટમટમિયાના ઝાંખા અજવાળે રોટલા ને ડુંગળીના શાકની સોડમ, સવારે આંગણા પાસેથી પસાર થતા ઢોર, ઝાંપલી પાસે ભસતી ટીલવી આ બધુ એને વળગી પડતું. એકની બાથ છોડાવે ત્યાં બીજી ભીંસ- એવી જબરી ભીંસ કે શ્વાસ પણ અટકી પડે.
એટલે જ એણે કહ્યું કે બે દહાડા ઘર જઈ આવું. રજા તરત મળી ગઇ. કપડા લીધાં, ઠંડી ખાસ નહોતી છતાં અહીથી સ્વેટર મળેલું તે પહેરી લીધું. રવલા-સુખલાને બતાવવા માટે. વાળ મજાના ઓળી કરી ગજવામાં કાસકી રાખી- બહાર દેખાય તેમ. શું લઇ જવું તે નક્કી ન કરી શકવાથી એણે બિસ્કીટનાં પડીકા લીધાં. આમ ઓચિંતો આવેલો જોઇ બધાને શું થશે એ વિચારથી એને હરખનો ડૂમો ભરાઈ જતો હતો. કઈ કઈ વાત કેવી કેવી રીતે કરવી તે ગોઠવતા ગોઠવતા ઉદવાડા ક્યારે આવ્યું તેની ખબર ન પડી.
ઝોળી સાચવતો સાચવતો ઉતર્યો. સાંજનો વખત હતો એટલે કાચા રસ્તા પર ધીમે ધીમે ચાલવાની મજા આવી. કૂવો આવ્યો એટલે પછી કકુભાઈની વાડી ને ત્યાંથી તો ચાર ડગલાંમાં ઘર. પગની ઝડપ આપોઆપ વધી ગઇ. બહાર. ઉભેલી કીકી મોટેથી બોલી પડી કે ભાઇ આવતો છે. બધા આસપાસ ફરી વળ્યાં. બાપા ઘેર નહોતા. માએ બાઝવા જેવું કર્યું પણ એના હાથ લોટવાળા હતા અને નવું સ્વેટર જોયું એટલેકે ગમે તેમ પણ વચ્ચે જ અટકી ગઇ. બાપાએ જોતાંવેંત પુછ્યું કે કેમ એકાએક કાંઇ નવાજૂની તો નથી કરી ને? પછી જાણ્યું કે ખાલી મળવા જ આવ્યો છે, બે દહાડા માટે. એટલે નિરાંતે વાડામાં પગ ધોવા ગયા. બધાં જમવા બેઠા. પહેલા બેસતા એમજ ગોળાકારમાં. માં વારે વારે પૂછ્યા કરતી હતી કે તને રોટલો ફાવશે ભઈ? કાંદાનું શાક ચાલશે તને? ખીચડી મુકી દઉં, રોટલી કરી આપું? ત્યાં ઘરનાં બધા જોડે સવારે બ્રેડ બટર દૂધ મળતાં તેની ગુલાબી ઝાંય એના ઉઘડતા જતા ઘઉંવર્ણા ગાલ પર સ્પષ્ટ જણાતી હતી. બિસ્કીટનું પડીકું આપ્યું ત્યારે માંએ કહ્યું કે આની શી જરૂર હતી? આ છોકરાંવને તો એવી કોઈ ટેવ નથી. રવલો એનાં નવાં ખમીસને ખૂબ વિચિત્ર નજરે જોઇ રહ્યો હતો. રાજુ પહેલેથી જરા ભારેખમ એટલે બોલતો નહોતો પણ રવલો સુખલો અને કીકી તો જાત જાતના સવાલો પૂછ્યા કરતા હતાં. માને આ બધી વાત બહુ નહોતી ગમતી એવું લાગ્યું. ખબર નહીં શેનાથી, પણ એ કશાકથી ડરતી હતી. વાડામાં ગલકીનો વેલો બહુ ફાલે અને જયાંત્યાં વળગે તો માં દાતરડુ લઇને મંડી પડતી. કૂણી કૂણી રેશમ જેવી વેલ ખચ ખચ કપાઈ નીચે પડતી. એની વાતોનું પણ એમજ થતું હતું. માં અધવચ્ચે કાપી નાખતી હતી.
સૂતી વખતે એણે ઘરમાં બેઠા બેઠા જોવાય એવાં સિનેમાની વાત કરી.બધા ભારે અચરજથી સાંભળી રહ્યાં હતાં. માં જંપી ગઇ હોય એમ લાગતું હતું. ત્યાં તો માનો જરા કંટાળેલો અવાજ આવ્યો, બસ કરો હવે બધી વાતો. મોટાના ચાળા બધા, એની હંગાથે આપણે શી પંચાત? છાના માના પડ્યા રો. અહી તો ઉઠતાવેંત કામે લાગવાનું છે. પછી વાત આગળ ચાલી નહીં. રસ સુકાઈ ગયો. અને પોપડા થઈ ઉખડી પણ ગયો.
સવારે બાપા બોલ્યા કે ઠરીને રે'જે. ઘડી ઘડી અહી દોડી આવવાની જરૂર નથી. અમારે કામ હશે તો ખબર આપશું. આવી જગા વારંવાર મળતી નથી. એમને તો એક કહો ત્યાં એકવીસ હાજર થાય. ખપ આપણને છે. કેટલી મહેનતથી માધુએ ઘર શોધી આપ્યું છે. અને માણસો પણ લાખ રૂપિયાના. એટલે ડાહ્યો થઈ વરતજે. આમેય મહિને બે મહિને હું ત્યાં આવું છું. પૈસા તો નિયમિત માધુ જોડે મોકલી શકાય. બાપા આ બધું બોલતાં હતાં ત્યારે એ પોતાને ઊંઘમાં કેવી ભ્રમણા થતી હતી તેનો વિચાર કરતો હતો. ત્રણેક વાર એને લાગેલું કે રવલો ગબડતો આળૉટતો પોતાની પથારીમાં આવી લાગ્યો છે પણ પછી ઉંઘરેટી આંખે જોયું કે રવલો તો હવે ડાહ્યો ડમરો થઈ સીધો સટાક પોતાની પથારીમાં સૂતો હતો. એની આળોટવાની ટેવ જ છુટી ગઇ હતી.
ઝોળી ખભે ભરાવી એણે ઝાંપલી બહાર પગ મુક્યો. માં કશું બોલી નહીં. ખાલી તબિયત સાચવજે એટલું જ કહ્યું. બાપાના હાથમાં એ લાવેલો તે પૈસા મુક્યા ત્યારે બાપા હસ્યા. એમની થાકેલી આંખો ચમકતી હતી. કીકી, સુખલો, રવલો, રાજુ હાથ હલાવતા રહ્યાં. થોડું આગળ જઇ એણે પાછળ જોયું તો ઘર પાસે કોઈ જ દેખાતું નહોતું. ડબ્બામાં બેઠો ત્યારે ઉંચા થઇને વાડાનો લીમડો જોવાની ઇચ્છા એને થઈ નહીં. ટ્રેન ઉપડી તે પહેલા જ એનું ઘર પાછળ ખૂબ જ પાછળ રહી ગયું હતું. એ ક્યારેય પહોચી ન શકે એટલું દૂર.
('અંતરાલ' વાર્તાસંગ્રહ માંથી સાભાર)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...