મુખ્ય સામગ્રી પર જાઓ

સૂરીલી સંગત

લેખક:  હરિશ્ચંદ્ર

શ્રોતાઓ મુગ્ધ થઈને ડોલતા હતા. પંડિત ગિરીજાશંકરનું ગાયન આજે ચોટીએ પહોંચ્યું હતું. તંબૂરા ને તબલાની સંગત પણ બેનમૂન હતી. તેની સાથે જ તાનપુરા પર ભાર્ગવ એમની સંગત કરી રહ્યો હતો. જાણકારો એના ગળાનેય દાદ આપતા હતા. જાણે અદ્દલોઅદ્દલ પંડિતજીનો જ અવાજ, પંડિતજીની જ લઢણ, પંડિતજીની જ સ્વર-લહરી. અને તેમાં પાછું તારુણ્યનું જોશ. ‘ગુરુ કરતાં શિષ્ય સવાયો થવાનો છે.’ – એમ હવે લોકોના મોઢે કહેવાવા લાગ્યું હતું.

પંડિતજી પણ ખુશ હતા. ક્યારેક એકાદ તાન અડધેથી જ છોડી દેતા અને ભાર્ગવ એને જે રીતે ઉપાડી લેતો, તે જોઈ પોતેય ડોલી ઊઠતા અને હરખ વ્યક્ત કરતા. તે દિવસનો કાર્યક્રમ માત્ર પંડિતજીનો જ ન રહેતાં બંનેની જુગલબંદીનો બની રહ્યો. છેવટે કાર્યક્રમ પૂરો થયો અને તાળીઓના ગડગડાટથી હૉલ ગાજી ઊઠ્યો. મહેફીલ પૂરી થઈ. પંડિતજીનો સત્કાર થયો. તેની સાથે ભાર્ગવનેય પુષ્પગુચ્છ અપાયો. તેણે તે અત્યંત વિનય અને ભક્તિપૂર્વક પંડિતજીના ચરણે મૂક્યો. પંડિતજી મંચ પરથી નીચે આવ્યા ત્યારે એમના પદત્રાણ ઉપાડીને એમના પગ આગળ મૂક્યા. શ્રોતાઓમાં બેઠેલાં પંડિતજીનાં પત્ની ઉમાજી આવ્યાં. બધાંની વિદાય લઈ પંડિતજી મોટર પાસે આવ્યા, ત્યારે બારણું ખોલી ભાર્ગવ ઊભો જ હતો. પંડિતજી ને ઉમાજી બેઠાં એટલે ભાર્ગવ આગળ ડ્રાઈવર પાસે બેસી ગયો.

‘દાદા, ગળે આ મફલર વિંટાળી લો !’
‘ક્યાં એટલી ઠંડી છે ? હજી એટલો ઘરડો નથી થયો તારો દાદો !’
‘સીત્તેર થયાં તે હજી ઓછાં છે ? તમે ભાર્ગવનું કહેવું સાંભળતા જાવ….’ – ઉમાજીએ એમને ટોક્યા.
‘બસ, થયું ! એ તો મારી પાછળ પડ્યો જ હોય છે, તેમાં વળી તારો ટેકો મળ્યો.’
‘ખરું કહું તો ભાર્ગવ બધે તમારી સાથે હોય છે એટલે જ તમે પરગામ, પરદેશ વગેરે જાવ ત્યારે મને તમારી ચિંતા નથી રહેતી.’

પંડિતજી અને એમના કુટુંબ સાથે ભાર્ગવ આટલો બધો ભળી ગયેલો. નવ વરસનો હતો, ત્યારે ભાર્ગવ એમની પાસે આવેલો. આજે ત્રીસીએ પહોંચેલો ભાર્ગવ પંડિતજીનો લાડકો શિષ્ય થઈ ગયો હતો. પંડિતજીને બે દીકરી, તે પરણી ગઈ. પંડિતજીના ગાયનના ઘરાનાનો વારસદાર ભાર્ગવ જ હતો. ભાર્ગવની ગુરુ પ્રત્યે પૂર્ણ ભક્તિ. ગુરુનો પડ્યો બોલ ઝીલે. ગુરુની દોરવણી મુજબ કલાકો સુધી રિયાજ કરે. હવે તો એનું ગળું બરાબર ખીલેલું. ત્રણેક વરસ ઉપર ભાર્ગવની સ્વતંત્ર મહેફીલ રાખવા માટે કેટલાક લોકો આવેલા. ભાર્ગવે વિનયપૂર્વક પંડિતજી પાસે મોકલ્યા. પણ પંડિતજીએ કહ્યું, ‘હમણાં નહીં.’ અને ભાર્ગવે ગુરુજીનો બોલ ઉપાડી લીધો.

ત્યારે પંડિતજીની નાની દીકરી સુવાવડ માટે આવેલી. એ આખાબોલી. તેણે પૂછ્યું, ‘આમ કેમ ? ભાર્ગવ હવે પૂરેપૂરો તૈયાર થઈ ગયો છે. દોઢ-બે કલાકની મહેફીલ એ સરસ ચલાવી શકે તેમ છે.’
‘હા, તે સાચું છે, પરંતુ એક વાર આ શરૂ થયું કે પછી બીજા કાર્યક્રમો, રેડીઓ, ટીવી વગેરે શરૂ થઈ જશે.’
‘તે તેમાં શું ખોટું છે ?’
‘ભાર્ગવની તૈયારી સરસ છે, પણ પૂર્ણ નથી. હું હજી એને ઘણી વધારે ઊંચાઈએ જોવા માગું છું. ઝટપટ પ્રસિદ્ધિનું વિપરીત પરિણામ આવશે. આજકાલ પ્રસાર-માધ્યમોનું ભારે જોર છે. રાતોરાત એ તમને ઊંચા આસમાને ચઢાવી દે છે, અને પછી તમારા પગ ધરતી પર રહેતા નથી. એ બધી ધામધુમમાં રિયાજ, અવાજની કાળજી, સંગીત-સાધના બધું ગૌણ બની જાય છે. ભાર્ગવને મારે તેમાં ફસાવા દેવો નથી. એ તો આપણા ઘરાનાનું નામ રાખશે અને સસ્તી પ્રસિદ્ધિને બદલે જીવનભર ચાલે એટલી કીર્તિ કમાશે.’

પંડિતજી આ બધું કહી તો ગયા, પણ ભીતર ને ભીતર એમને કાંઈક ચૂભતું હોય એવું લાગ્યું. ભાર્ગવ માટે એમને ભારે ગૌરવ હતું, પ્રેમ હતો એ ખરું, ભાર્ગવ એમનો તેજસ્વી શિષ્ય છે, એમ સાંભળીને એમને બહુ સારું પણ લાગતું; અને તેમ છતાં એનું સ્વતંત્ર નામ બને, લોકો પોતાને બાજુએ મૂકી એની જ વાહ વાહ કરે – આ સ્વીકારવા એમનું મન હજી તૈયાર નહોતું. જો કે એ પોતે પણ પોતાના મનમાં ચાલતું આ ઘમસાણ હજી પૂરું સમજી નહોતા શક્યા. ભાર્ગવની સ્વતંત્ર મહેફીલ માટે ના પાડી, તેને માટે આવી બુદ્ધિગમ્ય સચોટ દલીલ કરી, અને છતાં એમને ભીતર કશુંક ડંખતું રહ્યું. શું આમાં થોડો અસૂયાનો ભાવ તો નથી ? પોતાની પ્રસિદ્ધિ ઝાંખી પડશે, એવો ધ્રાસકો તો નથી કામ કરી જતો ? આમ, છેલ્લાં બે-ત્રણ વરસથી પંડિતજી મનમાં ને મનમાં મૂંઝાયા કરતા. ક્યારેક કોઈના ઉપર વિના કારણ ચિડાઈ જતા. એકલા હોય ત્યારે ઊંડા વિચારમાં ખોવાઈ જતા. ક્યારેક પોતાની જાત ઉપર એમને ચીડ ચડતી. પોતે સંગીતના ઉપાસક, એવો જ સંગીતનો ઉપાસક આવો સરસ શિષ્ય મળ્યો છે, છતાં હું આટલો પામર છું ? માંકડા મનનો ગુલામ છું ? મોકળે મને કેમ એને નવાજી નથી શકતો.

આજની મહેફીલના આવા સરસ વાતાવરણ વચ્ચેયે જ્યારે ‘ગુરુથી શિષ્ય સવાયો થશે’ – એમ સાંભળવા મળતું, ત્યારે પંડિતજીનું મન થોડું આળું થઈ જતું. તેમાં ઈન્દોરથી આવેલા એમના પ્રશંસકોએ એમને સંગીત સંમેલન માટે આમંત્રણ આપ્યું અને ખાસ આગ્રહપૂર્વક કહ્યું કે તેમાં ભાર્ગવસાહેબ તો આવે જ. ત્યારે જરીક એમનું મન ખાટું થઈ ગયું. એમણે તુરત હા ન પાડી, ‘પછી જણાવીશ’ એમ કહ્યું. પરંતુ એમના મનમાં જબ્બર ઘમસાણ ચાલ્યું. રાતે પથારીમાં પડ્યા, પણ ઊંઘ ન આવી. આજે આજે એમનું મન ચકડોળે ચઢ્યું હતું. ચિત્તની સંગીતમય સુસંવાદિતા ડહોળાઈ ગઈ હતી. તેવામાં ગઈ કાલે એક સામાયિકમાં વાંચેલી યયાતિની કથા એકદમ એમને યાદ આવી. આમ તો જાણતા જ હતા, પણ અત્યારે પોતાના મનના તીવ્ર ઘમસાણ વખતે તત્કાળનો સંદર્ભ લઈને યાદ આવી. શું હું યયાતિ બની ગયો છું ? તુમુલ મંથન ચાલ્યું. છેવટે મનમાં અમુક નિરધાર થયો, ત્યારે જ શાંતિ થઈ અને મીઠી ઊંઘ આવી.

સવારે ઊઠીને પહેલું કામ પંડિતજીએ ઈન્દોરવાળા પોતાના ચાહકો-પ્રશંસકોને જણાવી દેવાનું કર્યું – ‘ઈન્દોરનો કાર્યક્રમ ભાર્ગવનો રહેશે. હું પણ ઉપસ્થિત રહીશ અને એની સંગત કરીશ. પણ મુખ્ય રહેશે, ભાર્ગવ.’

(શ્રી શોભના બેરીની મરાઠી વાર્તાને આધારે)
[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...