મુખ્ય સામગ્રી પર જાઓ

ઉપાય

લેખિકા: ડૉ.સ્વાતિ ધુ્રવ નાયક

''ઔર આપ દેખ સકતે હૈ કિસ તરહ રાની પીછલે બત્તીસ ઘંટોસે મૌત સે ઝૂઝ રહી હૈ દોસો પચાસ ફીટ કી ગહેરાઇ મેં ફંસી રાની ઝાંસી રાની કી તરહ લડ રહી હૈ મૌત સે... હમારે સંવાદદાતાને વહાં પહુંચ કર ખુદ યે તસવીરે લી હૈ... આપ દેખ સકતે હૈ કૈસે ઉસે ખાના પહુંચાયા જા રહા હૈ..''

ટીવીની દરેક ચેનલ પર બ્રેકીંગ ન્યુઝ આવી રહ્યાં હતા. બોરવેલમાં રાની નામની એક મજૂરની દીકરી... ઉંમર માત્ર બે વર્ષ- રમતાં રમતાં ફસાઇ ગઇ હતી. એને બચાવી લેવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું હતું. મીડીયા દરેક નાની નાની ગતિવિધિનો સીધો ચિતાર આપી રહી હતી.
''ઔર યે હૈ રાની કી માં.. આપકો કૈસા લગ રહા હૈ ?'' બટક બોલી પત્રકારે રાનીના મા ને પૂછ્યું- આદિવાસી મજૂર મહીલા આજુબાજુ પાંચ-સાત મેલા ઘેલા અડધા ઉઘાડા બાળકો. વીંટાયેલા કેમેરો જોઇને એના આંસુનો રેલો પણ સ્તબ્ધ થઇને થીજી ગયો. શબ્દોની તો વાત જ ક્યાં ? એ જોઇને રીપોર્ટરે બોલવાનું ચાલુ કર્યું. ''આપ જોઇ શકો છો એના થીજેલા આંસુ... ગરીબ પરિવારની લાડકવાઇ દીકરી... એના ભાઇ બહેન..''
કેમેરા બીજા ભાંડરડા પર ફેરવાયો.. મોં વકાસીને કેમેરા સામે જોતા બાળકો- કદાચ ફોટોગ્રાફીની હરીફાઇમાં પહેલું ઇનામ જીતી લાવે એવું ચિત્ર ભારતની તસ્વીર એમાંના એક રડવા ચાલું કર્યું. માનું ધ્યાન એના તરફ ફંટાયું. કોઇ બોલ્યું એને એની બહેન યાદ આવતી હશે. એમાં તો સૌથી મોટો રઘુ બોલ્યો, 'ભૂખ લાગી એને...' તરત આજુબાજુ અરેરાટી ફેલાઇ અરે બિચારા લોકોએ રાનીના દુઃખમાં ખાધુ પણ નહી હોય.. તરત ખીચડી છાશની ગોઠવણ કરવામાં આવી. બધા બાળકો એકદમ તૂટી પડયા. કેમેરા આઘા પાછા થયા એટલે રાનીના મા-બાપ પણ ખાવા બેસી ગયા. ઘણા દિવસ પછી પેટ ભરીને ખાધું. બધાના મોં પર સંતોષ છવાયો. હવે બધા પાછા રાનીવાળા બોરવેલની ફરતે ગોઠવાયા ઘણા દિવસ પછી આજે કામ પર જવાની ફિકર ન હતી.
રાનીના માબાપની જાહોજલાલી આજે અદ્ભૂત હતી. આજે જીંદગીમાં પહેલી વખત એ મજૂરી નહતા કરતા. પણ એમના પરિવારને માટે બીજા મજૂર કાર્યરત હતા. એટલું જ નહી મોટા સાહેબો પણ એમની દીકરીની જીંદગી બચાવા તત્પર હતા. રાત સુધી કામ ચાલતું રહ્યું માટી ખસેડાતી રહી. રાનીને ઓક્સિજન અને ખાવાનું પહોચાડાતું રહ્યું. રાનીની મા અને બાપ વારાફરતી ભૂંગળામાં બોલીને રાનીને પટાવતા રહ્યા.
મોડી રાતે ટૂંટીયું. વાળીને પડેલા છોકરાઓની આસપાસ ગોઠવાયેલા મા બાપ અર્ધઘેનમાં બેઠા હતા. મા બોલી- ''હું લાગે તમુને ? બચી જાહે રાણકી ?''
બાપે કહ્યું, ''ઉપરવાળો જાણે આપણે કુણ ? મોટા સાયેબો મંડી પડેલા તે બચાવી લેહે... પેલા સાયેબ કે'તા ઉતા, હરકાર માયબાપને બો દયા આવે. ગરીબની પોરી બચાવવા કેટલા રૃપિયા ખરચે...''
રાનીની માએ પૂછ્યું, ''તે આપડા નાનકાને તાવ આવેલો ને તમુને ઝાડાઉલટી થયેલાને કામ પર ની જવાયલું તીયારે કેમ કોઇ આપડાને ખાવાનું આપ્પાની આવેલું ? આપડે ભૂખે મરતા ઉતા તે...''
એને અધવચ્ચે જ બોલતા અટકાવી રાનીનો બાપ કહેવા લાગ્યો- 'ગાંડી મરેલી છે તું તો ભૂખે મરે તો કોઇ બચાવવાનું થોડું ? આપડે તો મજૂરની જાત. કામ કરવાનું ને ખાવાનું. આ તો હરકારના કૂવામાં પડી એટલા હારુ... એનો અવાજ હંભળાતો ઉતો કે તને ?'
વાત પાછી આડા રસ્તે ફંટાઇ રાની હજુ આંખો ખોલતી હતી. એની ખુલ્લી આંખોમાં ડોકાતી જીવી જવાની ઇચ્છા કે પછી અંધારાનો ડર રાનીના માબાપ સિવાય કોઇના માટે સમજવો શક્ય ન હતો. રાનીના માબાપની આંખોમાં ને દિલોદિમાગમાં બસ કાલની ચિંતા હતી. કામ પર જવાનું નહતું. મજૂરી ન મળે તો ખાવાનું શું ? છોકરાઓની દયા ખાઇને કોઇનું કોઇ ખાવાનું આપી જતું હતું. ઘણા લાંબા સમય પછી કે કદાચ પહેલી વખત કામ કર્યા વિના સીધું બે ટાઇમ ભરપેટ ભોજન મળતું હતું. લોકોની સહાનુભૂતિ અને દયા મળતા હતા. રાનીની ચિંતા ઘરે ઘરે થતી હતી. કંઇ કેટલાય લોકોએ રાની માટે પ્રાર્થના કરી હતી. બાધા આખડી રાખી હતી. રાનીના માબાપ સુખના શિખરે ન હોય તો જ નવાઇ.. હજુ બે દિવસ પહેલા રાનીનું અસ્તિત્વ કીડી મંકોડા કરતા પણ નજીવું હતું. એ કોણ છે. એને જીવવા પુરતું ખાવાનું મળે છે કે નહી ? એ ભૂખથી આક્રંદ કરે છે ત્યારે એના મા બાપ શું કરે છે ? એને પાણીમાં લોટ ભેળવીને બનાવેલું પ્રવાહી પીવડાવે છે કે પછી ધોલધપાટ કરીને ચૂપ કરાવી દે છે ? એ એ જ રાનીના બીજા ભાઇભાંડુ કચરામાંથી શાકભાજી કે રોટલાના ટુકડા વણી લાવે છે. એ છાનામાના ખાઇ લે છે ત્યારે એના મા બાપ કેવી રીતે જોયા છતાં ન જોયું કરી એમના પેટની આગ ઠરાવા દે છે ? આ બધા સવાલોનું પણ અસ્તિત્વ જ નહોતું. શું કામ હોય ? દુનિયામાં આવા કેટલાય પામર મનુષ્યો જન્મે છે અને મરે છે... મરે છે ત્યારે એમની નનામીને કાંધ મળે છે કે નહી ? કે ક્રિયાકરમના રૃપિયા ઉધાર લઇને બાકીની જીંદગી એ લોકો વ્યાજ ચૂકવવામાં જ ખર્ચી નાંખે છે તેની જાણ હોય તોય શું ? સરકારી યોજનાના રૃપિયા એમની પાસે પહોંચે તોય શું ને ન પહોંચે તોય શું ?
પણ જ્યારે મોત જાહેરમાં તાંડવ કરે ત્યારે સંવેદનશીલતાનું જાહેર પ્રદર્શન કરવાની તક મળતી હોય છે અને એટલે જ દયા- મમતાની સરવાણીઓ વહી નીકળતી હોય છે.
રાનીનો પરિવાર પણ આવી જ સરવાણીમાં નહાઇ રહ્યો હતો. કોઇ વળી એમ પણ કહેતું હતું કે રાની બચી જશે તો સરકાર એના ભણતરનો બધો જ ખર્ચો ઉપાડશે. કદાચ બીજા લોકો પણ એને રૃપિયા આપે. રાનીના મા બાપની આંખોમાં સપનું ઉગ્યું હતું. રાની બચી જાય, સ્કૂલે જવા પામે અને મોટી થઇ બધાને ઉધ્ધાર કરે એવી કલ્પના કરતા જ રાનીના મા બાપના ચહેરે સ્મિત આવી જતું. ને લોકોને થતું કે આ અબુધ લોકો નસીબદાર હોય છે. એમને પરિસ્થિતિની ગંભીરતા સમજાતી જ નથી હોતી એટલે પછી ચિંતા શબ્દ એમના શબ્દ ભંડોળમાં આવે જ ક્યાંથી ?
ત્રીજો દિવસ મદદ રાની સુધી પહોંચવામાં જ હતી. રાની હજુ આંખો તો ખોલતી હતી. ખાવા પીવાની સુધ હવે બાકી રહી ન હતી. રડવાની તાકાત ક્ષીણ થઇ ગઇ હતી. જેટલી હવા મળે એટલામાં માંડ શ્વાસ લેતી રાની ઉપર જોવાનું કુતુહલ ગુમાવી બેઠી હતી. મિડિયા વાળાને મસાલો મળતો બંધ થઇ ગયો હતો હવે તો રાની બચીને જીવતી બહાર આવે કે પછી અંદર દમ તોડી દે, બેમાંથી એક બ્રેકીંગ ન્યુઝની રાહ જોવાતી હતી. લોકોને રાની જીવે કે મરે એની ફિકર ન હતી. માત્ર એ જોવામાં રસ હતો કે કોનો વિજય થાય છે ? જીંદગીનો કે મોતનો ?
રાનીનો પરિવાર બોરવેલની આસપાસ ગોઠવાઇ ગયો. ભાંડરડાઓને જોઇ કોઇ ઓફિસર બોલ્યું- ''સાલા, કેટલી વસ્તી પેદા કરે છે આ લોકો ? ને પાછા છૂટ્ટા રખડતા મૂકી દે છે- ને ફિકર આપણે કરવાની ? આ લોકોને તો વધારે બાળકો પેદા કરે તો દંડ થવો જોઇએ'' તો વળી કોઇને કહ્યું- ''દંડ ભરે ક્યાંથી ? જેલમાં પૂરે તો તો આ લોકોને જલસા પડી જાય- મફતનું ખાવાનું મળે- એના કરતા આ લોકોનું ફરજીયાત ઓપરેશન થઇ જવું જોઇએ, મેડીકલ સ્ટુડન્ટ ને પ્રેકટીસ માટે લોકો મળી રહે ને આ લોકોને બચ્ચાની ઝંઝટમાંથી છૂટકારો.''
જાત જાતની વાતો... પણ હવે રાનીના મા બાપનું સમગ્ર ધ્યાન બોરવેલમાં જ હતું. ખાવા પીવાના હોશ કે હોંશ હવે રહ્યાં ન હતા. હવે તો દિકરી સહી સલામત પાછી ફરે એ આશાએ અંદર મીટ માંડી જોઇ રહ્યા હતા ?
ધીમે ધીમે રાનીને બહાર લાવવામાં આવી... અર્ધબેભાન, રાનીનું શરીર ઢીલું હતું. આંખો બંધ- કદાચ વળી ખુલે તોય અડધી- પડધી જેવી રાની ઉપર ખેંચાવા લાગી કે લોકો ચીચીયારી પાડવા લાગ્યા. રાનીના ભાઇ- બહેન આશ્ચર્યથી જોવા લાગ્યા. જે ભદ્ર સમાજ ગઇકાલ સુધી પોતાને જોતા જ હડધૂત કરતો હતો. ગાળો દઇ કામ કરાવતો હતો. મેલી ઘેલી અવ્યસ્થા જોઇ મોં બગાડતો હતો તે આવી મડદાન રાનીને જોઇને આટલો ખુશ કેમ થતો હતો ? રાની કરતા તો પોતે સ્વસ્થ હતા. એમને હડધૂત કરીને રાનીને આટલા માનપાન ? કોઇ કહેતું હતું કે રાની મરી જશે. તો મરી જાય એને જ માનપાન મળે ? કંઇ કેટલાય આશ્ચર્યો ઘુમરી ખાઇ રહ્યા હતા એ નાનકડા દિમાગોમાં એમાં વળી રાનીને પહેરાવવા હાર મગાવાયા. ઢોલકા વગાડવામાં આવ્યા. રાની બહાર આવી એને માટે એમ્બ્યુલન્સ તૈયાર રખાઇ હતી. એને તાબડતોબ દવાખાને લઇ જવાઇ.
ત્રણ ત્રણ દિવસ મોત સામે ઝઝૂમતી રાની. ભૂગર્ભની બંધિયાર હવામાંથી બહારની ખુલ્લી હવામાં આવી હતી. પણ એ બંધીયાર કુવાએ રાનીનું હીર ચૂસી લીધું હતું. હોસ્પિટલ પહોચતા જ રાનીએ દમ તોડયો મોત જીત્યું.
મીડીયાને બે બ્રેકીંગ ન્યુઝ મળ્યા. રાનીનો અદ્ભૂત બચાવ અને રાનીની મોત સામે હાર...
રાનીને પહેરાવાયેલા હાર એની લાશ પર પાથરીને લોકો પોતપોતાને ઘરે વિદાય થયા. રાનીના મા બાપની શોધખોળ થઇ. લાશ બતાવી એમને કહી દેવામાં આવ્યું, તમે ગરીબ છો એટલે પૈસા નથી લેતા તમારી પાસે પણ આ બોડીને તરત અહીથી લઇ જાવ. નહી તો ચાર્જ લાગશે.
રાનીના મા બાપ બાઘો થઇ ગયા. સરઘસાકારે આવેલા લોકોઓમાંનું કોઇ જ દેખાતું નહોતું. જેમ તેમ કરીને બે જણ રાનીને ઊંચકીને ઘરે લઇ ગયા. અંતિમ સંસ્કારના ખર્ચાની ચિંતા સામે રાનીના મોતનું દુઃખ ફિક્કું પડી ગયું હતું.
ત્રણ ત્રણ દિવસથી મજૂરીએ જવાયું નહતું. ગામ લોકોની મદદ માંગવા નીકળેલી રાનીની માને જોઇ કોઇના દિલમાં રામ વસ્યા હશે તે એ એક મીડીયાવાળી કેમેરામેનને બોલાવી લાવ્યો.
ફરી બ્રેકીંગ ન્યુઝ રાનીના અંતિમ સંસ્કારના પૈસા નથી. ફરી સંવેદનાઓ અચાનક જાગી ફરી લાગણીનું પ્રદર્શન ભરાયું ઝોળી છલકાઇ ચિંતાની આગ સળગી પેટની આગ ઓલવાઇ. થોડા દિવસ રાની આખા કુટુંબને સુખ આપી ગઇ. જે ફરી જીંદગીમાં એમને કોઇ આપવાનું નહતું.
દિવસો, મહિનાઓ વિત્યા રાનીના, માબાપ પરિવાર. ગામ લોકો ફરી સંસાર ચક્રમાં પરોવાયા. રાની જાણે ક્યારેય હતી જ નહી. ક્યારેય જીવતી જ નહતી. એમ એ બધાના મનમાં પણ મરી ગઇ.
પણ રાની એના મોટાભાઇ રઘુના મનમાં જીવતી હતી. એની સમજ હજુ રાનીની અંતિમ ક્ષણોની સાહ્યબી ભૂલી ન હતી માને મજુરીમાં મદદ કરતું એનું કુમળું શરીર અને મન પરિવારની ભૂખ જોતું હતું. રાત્રે થાકીને લોથ બધા સૂતા ત્યારે રઘુ જાગતો હતો.
ગામના બીજા છેવાડે એક બોરવેલ ખોદાતો હતો. બસો ફૂટે હજુ પાણી નીકળ્યા ન હતા. આખો દિવસ એની આસપાસ માણસો રહેતા. હવે કોઇ અંદર પડે નહી એની સાવચેતી રાખતા. એ રાતે રઘુ ઉઠયો ધરાઇને પાણી પીધું. મો ઘસી ઘસીને ધોયું. બરાબર વાળ ઓળ્યા. ને ધીમા પગલે ચાલી નીકળ્યો બધે અંધકાર હતો. ગામ આખું જંપી ગયું હતું. બોરવેલની આજુબાજુ પણ બધા ઉંઘતા હતા. રઘુ મક્કમ પગલે આગળ વધ્યો બોરવેલ તરફ. ભૂખને હરાવવા.

(ગુજરાત સમાચાર ૭ જાન્યુઆરી ૨૦૧૫ શતદલ માંથી સાભાર)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...