મુખ્ય સામગ્રી પર જાઓ

૧૨ નાગ-પાંચમ

[શ્રાવણ માસની અંધારી પંચમીનું આ વ્રત છે. વ્રતધારિણી તે દિવસે પાણિયારા પર નાગનું ચિત્ર આલેખીને ઘીનો દીવો પેટાવે. પાણીની ધારાવાડી દઈને પછી બાજરો, કુલેર વગેરેનું નૈવેદ્ય ધરાવે. પોતે આગલા દિવસનું રાંધેલું બાજરાનું ઠંડું અન્ન જમી એકટાણું કરે.]

ડોસો ને ડોસી હતાં. ઘરમાં સાત દીકરાનાં સાત દેરિયાં–જેઠિયાં હતાં.

છ વહુઆરુઓ માનેતી, ને સાતમી અણમાનેતી. પિયરમાં એને કોઈ નહોતું, સાસરિયામાં સૌ એને તો ‘નપીરી’ ‘નપીરી’ કહીને બોલાવે.

આખું ઘર રંગે ચંગે ખાઈને ઊઠે એટલે વાંસેથી નાની વહુ તો હાંડલામાં જે વળગ્યું હોય તો ઊસરડી ઢસરડીને ખાઈ લે. ખાઈને એકલે હાથે એક ખડકલો ભાણાં ઊટકે.

એમ કરતાં તો સરાદના દી આવ્યા છે. ભેંસોના દૂધની રૂપાળી ખીર કરી છે.

નાની વહુને મહિના ચડતા’તા. એને બિચારીને ઘણાય ખીરના ભાવા થયા’તા. પણ એને ખીર કોણ આપે?

સૌએ ખાઈ-પી લીધું ને વાંસેલ હાંડલામાં ઊખરડા વળગ્યા રહ્યા.

ઊખરડા તો ઊખરડા! — એમ સમજીને નાની વહુએ તો ઊખરડા ગળણામાં બાંધી, ગામ બહાર જઈને નિરાંતે ખાવાનો વિચાર કર્યો છે.

પાણીનું બેડું લઈને પોતે પાદર ગઈ છે. કૂવે તો પાણિયારીઓનો ઘેરો વળેલો છે. વહુએ તો વિચાર કર્યો છે કે બીજે બેડે આવીને કોઈ નહિ હોય ત્યારે ખાઈશ.

એ તો એક બેડું રેડી આવી છે. એક રાફડાને થડ ગળણામાં વીંટીને ઊખરડા મેલ્યા છે. મેલીને પોતે ના’વાધોવા ગઈ છે. મનમાં એમ કે ના’ઈધોઈને નિરાંતે ખાઉં.

બાઈ તો ના’વા ગઈ છે. ત્યાં તો વાંસેથી એક નાગણી નીકળી છે. નાગણીને દી ચડતા’તા. એનેય ઊખરડાના ભાવા થયા’તા. આવીને એ તો બધા ઊખરડા આરોગી ગઈ. આરોગીને ભોણમાં લપાઈને બેઠી.

નાગણીના મનમાં થાય છે કે “આ ઊખરડાનું ધણી આવીને મને ગાળભેળ દેશે તો એને ફટકાવીશ.”

ના’ઈ ધોઈને વહુ તો હરખભરી આવીને ઉતાવળે ઉતાવળે ગળણું ઉઘાડે ત્યાં તો એકેય ઊખરડો ન મળે!

‘અરે…રે! નસીબમાં નો’તા તે ઘરે ય નો દીઠા! ને આંઈ લાવી તો આંઈ યે નો દીઠા! હશે બાઈ, કો’ક મારા જેવી જ દુઃખિયારી હશે, એણે ખાધા હશે. જેણે ખાધા હોય એનું પેટ ઠરજો!’

ઝબ દેતી નાગણી તો ભોણમાંથી બહાર નીકળી. અને માનવીની વાચા કરીને બાઈને પૂછવા લાગી, “બાઈ બાઈ, તું કોણ છો?”

“માતાજી, હું દુઃખણી છું. ઓધાન રહ્યું છે. ઊખરડાના ભાવા થયા’તા. પણ ના’વા ગઈ ત્યાં મારા ઊખરડા કો’ક ખાઈ ગયું. હશે! મારા જેવી કોઈક અભાગણી હશે. ભલે બાપડીએ ખાધા!”

“બેન, તારા ઊખરડા તો મેં જ ખાધા છે. તું જો ગાળભેળ બોલી હોત તો તો હું તને ફટકાવત. પણ તેં તો આશિષ દીધી! હવે મને કહે, તારે શાં શાં દુઃખ છે?”

“માતાજી, મારે પિયર મૈયરમાં કો…ઈ ન મળે. ઘણીય મારી અઘરણી આવે છે, પણ ખોળા ભરનારું કોઈ ન મળે!”

એમ બોલી ત્યાં તો એની આંખમાં આંસુડાં આવી ગયાં.

નાગણી કહે, “દીકરી! ફિકર રાખીશ મા. આજથી અમને જ તારાં પિયરિયાં માનજે. જા! આ રાફડામાં અમારાં રે’ઠાણ છે. ખોળા ભરવાના થાય ત્યારે એક કંકોતરી લખીને આ રાફડાને થડ મેલી જાજે.”

નાગણી તો ધરમની મા થઈ છે.

વિસ્મે થાતી થાતી બાઈ તો ઘેર ગઈ છે.

ખોળો ભરવાનું મૂરત થડમાં આવ્યું છે. સાસુ બોલ્યાં છે કે “નભાઈ તે પી’રમાં કોઈ ન મળે. કોણ ભૂખરાત એનો ખોળો ભરતું’તું?”

વહુ કહે, “બાઈજી, મને એક કંકોતરી લખી આપો ને!”

“અરે નભાઈ! તારે પી’ર નથી, મૈયર નથી. ને કોને કંકોતરી આપવી છે?”

“મારે છેટેનાં એક સગાં છે, એને મોકલીશ. આપો ને!”

“જો તો! નભાઈ ગાલાવેલી જ છે ને!”

ત્યાં વળી એક પાડોશણ બોલી કે “બાઈ, આપો ને એક કાગળની કટકી! તમારું એમાં શું જાય છે?”

કંકોતરી લઈને બાઈ તો પાદર જાય છે. જઈને રાફડાને થડ કંકોતરી મેલી આવે છે.

ખોળો ભરવાનો દી આવ્યો છે. જેઠાણીઓ અને સાસુ તો દાઢવા મંડ્યાં છે કે હમણાં નાની વહુનાં ઘેરો એક પિયરિયાં આવશે! પટારાં ભરીને લૂગડાં લાવશે! ઝટ ચૂલે હાંડલાં ચડાવો! લાપસીનાં આંધણ મેલો!

એમ કરે છે ત્યાં તો લાલ લાલ પાઘડી બાંધીને મોટા મુંગલા પઠાણ જેવા મહેમાન હાલ્યા આવે છે. હારે કોઈ ગરાસણી હોય એવી બાઈ છે. નાની વહુએ તરત નાગણી માતાને ઓળખી કાઢી છે. સાસરિયાં તો હોઠે આંગળી મેલીને વાતો કરવા મંડ્યાં :

“અહાહા! ક્યાંથી આ નપીરીનું પિયર જાગ્યું? આ નાગરડા ક્યાંથી આવ્યા?”

‘ભલે આવ્યાં! ભલે આવ્યાં! વહુનાં પિયરિયાં ભલે આવ્યાં!’ એમ થઈ રહ્યું છે. લાપસીની તો દેગો ચડી ગઈ છે.

ત્યાં તો સામા ઓરડેથી નાગણી માએ બાઈને બોલાવીને કાનમાં દીધું કે “દીકરી, રાંધ્યાચીંધ્યાની ના પાડજે હો કે! કઢેલાં દૂધનાં કૂંડાં આ ઓરડામાં મેલી દેજે. ઓરડો વાસીને અમે પી લેશું. અમે નાગલોક છીએ એટલે અનાજ અમથી ખવાય નહિ.”

વહુ તો સાસુ પાસે ગઈ છે. કહ્યું છે કે, “કાંઈ રાંધશો-ચીંધશો મા. મારાં પિયરિયાં તો દૂધાહારી છે. કઢેલાં દૂધ જ પીશે.”

ખાવાની વેળા થઈ છે. કઢેલાં દૂધનાં કૂંડાં બીજા ઓરડામાં મેલ્યાં છે. ઓરડો તો વાસી દીધો છે. મહેમાનોએ તો સડપ દેતા નાગનાં ખોળિયાં ધારણ કરીને કૂંડામાં મોં માંડ્યાં છે. ઘડીક વારમાં તો કઢેલાં દૂધ ચસકાવી ગયાં છે.

દીકરીનો તો ખોળો ભર્યો છે. હીર-ચીર અને સોનાં-રૂપાં દેવામાં કાંઈ મણા નથી રાખી. સાસરિયાં તો સડક થઈ ગયાં છે. અહોહો! વહુને તો બહુ લાવ્યા! બહુ લાવ્યા! બહુ પહેરામણી લાવ્યા!

મહેમાન કહે છે કે “હવે અમને શીખ આપો. અને અમારી બેનને સુવાવડ સારુ મોકલો.”

“હં…અં…ને માડી! તેડી જાઓને! મેંથી કાંઈ ના પડાય! સૂઝે એમ તોય આ તો ઝેરણાનું આણું!”

“અને કોઈને તેડવા મોકલશો મા. અમે આવીને અમારી બેનને પાછી મેલી જાશું.”

વહુને તો સાસરિયાં વટોળાવવા હાલ્યાં છે. હવે પાછાં વળો! એમ કહીને મહેમાને વેવાઈઓને પાછાં વાળ્યાં છે. હાલતાં હાલતાં રાફડો થડમાં આવ્યો એટલે નાગ-લોકોએ કહ્યું કે “જો બેન! તું બીશ મા. અમે અમારું અસલ રૂપ લઈએ છીએ. રાફડાના ભોણમાં તુંયે અમારી વાંસે વાંસે હાલી આવજે.”

બહેને તો કહ્યું કે “સારું, ભાઈ.”

સૌએ નાગનાં રૂપ લઈ લીધાં છે, સળક દઈને સૌ ભોણમાં પેસી ગયાં છે. બાઈ પણ વાંસોવાસ વહી ગઈ છે.

માલીકોર જાય ત્યાં તો ધતૂરાના ફૂલ જેવા રૂડા ઓરડા! પાતાળમાં રૂપાળી હીંડોળા ખાટ! નાગણી મા તો કિચડૂક! કિચડૂક! ખાટે હીંચકી રહ્યાં છે, ગાદીતકિયે મોટી મોટી મૂછોવાળા મણિધર નાગદેવતા બેઠા છે.

નાગદેવતાએ તો બાઈને દીકરી કરીને પાતાળમાં રાખી છે. બાઈ તો સોનારૂપાને હીંડોળે હીંચકે છે. માવતર તો દીકરીને અછો અછો વાનાં કરે છે.

એમાં નાગણીને છોરુનો સમો થયો છે. નાગણી માએ બાઈને કીધું કે “જો બેન, તું બીશ મા. અમે કહેવાઈએ નાગલોક. જો નાગનાં જણ્યાં જન્મે એટલાં જીવે તો તો ધરતીને માથે માનવીને પગ મેલવા ન દે. એટલે અમે તો જણતાં જઈએ ને ખાતાં જાઈએ. તું દીવો લઈને ઊભી રહે. જોજે હો, બીશ નહિ.”

કોડિયું લઈને બાઈ તો ઊભી રહી છે. નાગણી તો જણતી જાય ને બચ્ચાં ખાતી જાય છે. જણતી જાય છે ને ખાતી જાય છે!

બાઈને તો આ જોઈને ચીતરી ચડી છે. એનો તો હાથ થથર્યો છે. દીવો તો હાથમાંથી વછૂટી ગયો છે. અંધારે બે પરડકાં ભાગી છૂટ્યાં છે. બેયનાં પૂંછડાં તો નાગણ મા ખાઈ ગઈ’તી, એટલે બેય ખાંડાં બાંડાં બની ગયાં છે.

નવ મહિના થયા એટલે તો બાઈનેય દેવના ચક્કર જેવો દીકરો અવતર્યો છે. દીકરો તો અદાડે ઊઝર્યો જાય છે.

દીકરો ભાંખોડિયાંભર હાલવા શીખ્યો એટલે બાઈએ તો નાગણ માની પાસે રજા માગી : “મા, હવે મને મારે ઘેર પોગાડો.”

નાગણ માએ તો તૂટી પડે એટલાં ઘરાણાં દીધાં છે. સાંકળાં, પોલરિયાં, હાંસડી, ઘોડિયું, ગોદડાં, ગોદડી! બધું દઈ દઈને તો ધરવ કરાવી દીધો છે.

નાગણ બોલી : “લે બેટા, તારા દાદા બેઠા છે એના મોઢામાં હાથ નાખ. બીશ મા. નહિ કરડે.”

બાઈએ તો બીતાં બીતાં નાગના મોઢામાં હાથ નાખ્યો. કોણી સુધી નાખ્યો ત્યાં તો બીને પાછો કાઢી લીધો છે. જુએ ત્યાં કોણી સુધી સોનાનો ચૂડો થઈ ગયેલો!

“હવે બીજો હાથ નાખ.”

બીજો હાથ તો બાઈએ ઠેઠ ખભા સુધી નાખ્યો છે. ખભા સુધી હેમનો ચૂડો થઈ ગયો છે.

બે ભાઈ જઈને બેનને સાસરિયાંના પાદર સુધી મેલી આવ્યા છે.

ઘેર જાય ત્યાં તો ‘નાની વહુ આવ્યાં! નાની વહુ આવ્યાં! ઘણું ઘરાણું લાવ્યાં! ઘણું ઘરાણું લાવ્યાં!’ એમ કરતાં સૌ સાસરિયાંએ ઘેરો વળીને મા-દીકરાને વીંટી લીધેલ છે.

કોઈને ખબર નથી કે વહુના પિયરિયાં કયે ગામ છે.

બાઈનો બેટડો તો મોટો થયો છે. એક વાર જેઠાણી દળણું કરે છે. એમાં છોકરો મૂઠી ભરી ભરીને જવ ઉડાડવા મંડ્યો છે.

બરો કરીને જેઠાણી બોલ્યાં કે “રે’વા દે ભા! તારા મામા લોંઠકા છે; તે સોનાના જવ પૂરશે. અમારા ગરીબ માણસના જવ શીદ ઉડાડછ, બાપુ!”

બાઈને તો મે’ણું વસમું લાગ્યું છે. રાફડે જઈને એ તો રોઈ છે, ત્યાં તો જવની પોઠો હલકે છે, સાસરિયાંના ભોંઠામણનો પાર નથી રહ્યો.

એક વાર દીકરે દૂધની તાંબડીને ઝાલક મારી એટલે જેઠાણીએ તો મેણું માર્યું છે : “રે’વા દે ભા! તારાં મોસાળિયાં બહુ લોંઠકા છે ને તે આખું ધામેણું મોકલશે. અમારી ગરીબ માણસનું ભેંસનું દૂધ ઝલકાવવું રે’વા દે, બાપુ!”

વળી પાછી બાઈ તો રાફડે જઈને રોઈ પડી છે. માલીપાથી નાગણ મા નીકળે છે. કહ્યું કે “જા, પાછું વાળી જોઈશ મા; વાદીને છાશ આપીશ મા; નાગેલ! નાગેલ! કરજે, એટલે ધામેણું હાલ્યું આવશે.”

નાગેલ! નાગેલ! કરતી બાઈ તો હાલી નીકળી છે. વાંસે ભેં! ભેં! ભુંભાડા કરતું ભેંસોનું ધણ હાલ્યું આવે છે.

ઘેર જઈને બાઈ બોલી, “બાઈજી! વંડો વાળજો!”

સાસરિયાં તો બા’ર નીકળીને જુએ ત્યાં તો ઓહોહો! કૂંઢી ને કૂંઢી! કપાળમાં ધોળાં ટીલાં! એવી ભેંસોનું ધામેણું ઊભું છે!

હવે, રાફડામાં શું થયું? નાગણ માનાં બે પરડકાં બાંડાં થઈ ગયાં’તાં, એ બેય રમવા જાય તે એને કોઈ રમાડે નહિ. સૌ કહે,

“ચાલ્ય, એલા ખાંડિયા, તને નહિ રમાડું!”

“ચાલ્ય, એલા બાંડિયા, તને નહિ રમાડું!”

બેય ભાઈ મા પાસે આવ્યા છે. આવીને પૂછે છે, “મા! મા! બોલ, અમને ખાંડિયાં–બાંડિયાં કોણે કર્યા?”

“બેટાઓ! આપણે મરતલોકમાં એક બેન છે. તમે અવતર્યાં ત્યારે એના હાથમાંથી દીવો પડી ગયો’તો. એટલે તમે ખાંડિયાં–બાંડિયાં થઈ ગયાં.”

“તો તો અમે બેય જઈને એને કરડશું.”

“અરર! બેટા! બેનને કરડાય? ઈ તો આશિષ આપે એવી બેન છે.’

“જો આશિષ દેશે, તો તો અમે સાડલો–કાપડું કરીને આવશું, ને જો ગાળ દેશે તો કરડીને આવશું.”

બેય ભાઈ તો બેનને ઘેર ગયા છે. સાંજ ટાણું થયું છે. એક સંતાણું ઊંબરમાં ને એક સંતાણું પાણિયારે. બેય કહે છે કે ‘આંહીં આવે ત્યારે ટસકાવીએ!’

બેન તો ઊંબરમાં આવી ત્યાં ઠ…સૂક ઠેસ વાગી. તરત બેન બોલી :

ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીર!
મારાં નપીરીનાં પીર!
શેષનાગ બાપ ને નાગણ મા
જેણે પૂર્યાં હીર ને ચીર.

સાંભળીને ખાંડિયાના મનમાં થયું કે “લે! આ બેન તો આશિષ આપે છે. એને તે કાંઈ કરડાય!”

બેય ભાઈ માનવીના સ્વરૂપ લઈને બેનને મળ્યા છે, ભાણિયાને સોનાનાં સાંકળાં કરીને રાફડામાં ચાલ્યા ગયા છે.

નાગપાંચમ મા એને ફળ્યાં એવાં સહુને ફળજો!

[આ વ્રતકથાની પ્રાચીનતા પુરવાર કરતી ‘ચતુર્વિશતિ પ્રબન્ધ’ માંહેની વૈરોટ્યા અલિંજર નાગવાળી કથાનો સવિસ્તર નિર્દેશ પ્રસ્તાવનામાં મેં કરેલ છે તે જોઈ જવા જેવો છે. — લેખક.]

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...