મુખ્ય સામગ્રી પર જાઓ

૧૪ ભે-બારશ

[અભય બારશ]

શ્રાવણ મહિને ઊતરતે, અંધારી અગિયારશની રાતે દીકરીની મા ઢેબરાં કરે. વળતે દા’ડે બારશ. તેને ભે-બારશ કહે. દીકરાની મા ભે-બારશ કરે, નાહીધોઈને આરો પૂજે. શેનો આરો?


નદીનો આરો, તળાવનો આરો, વાવનો આરો, કૂવાનો આરો, ગામપાદરે જે કોઈ નવાણ હોય તેનો આરો પૂજે.


શા માટે પૂજે?


ગામનું નવાણ સજીવન રહે તે માટે પૂજે.


પ્રથમ પૂજ્યો’તો એક દીકરાની માએ.


વે’વારિયો વાણિયો હતો. વે’વારિયો વાણિયો તળાવ ગળાવે પણ મે તો કાંઈ વરસે નહિ. તળાવમાં પાણી ભરાય નહિ. ગામલોકો ને ગામનાં ઢોર, ગામનાં પશુ ને ગામનાં પંખી પાણી વિના દુઃખી થાય.


વે’વારિયે વાણિયે જોષી તેડાવ્યાં. જોષી! જોષી! જોષ જુઓ. નવાણે નીર કેમ કરી આવે?


જોષીડો કે’ કે બત્રીસો ચડાવ્ય.


કોણ બત્રીસો?


તારો દીકરો, દીકરાનો દીકરો.


વે’વારિયા વાણિયાને તો કંપારી વછૂટી. એક વરસ ગયું, બે વરસ ગયાં, ત્રણ ને ચાર વરસ ગયાં. વે’વારિયા વાણિયાનું તો હૈયું હાલે નહિ.


ચોથે વરસે દીકરાની વહુ પિયર ગઈ છે. ચાર વરસનો તો એનો દીકરો છે. વહુ દીકરાને દાદાજી કને રાખીને ગઈ છે.


રાત પડી. પરિયાણ કર્યાં. પેટી આણી. પેટીમાં તો દીકરાને પોઢાડ્યો છે. સુખડી ભરીને થાળ પણ જોડે મૂક્યો છે. માંહી ઘીનો બળતો દીવો મૂક્યો છે.


પેટી લઈ જઈને તળાવમાં દાટી છે. દાટી કરીને પાછાં વળે ત્યાં તો આભ તૂટી પડે છે. ગાજવીજ ને કડાકા થાય છે. અનરાધાર મે વરસે છે. વે’વારિયા વાણિયાનું તળાવ તો ચારેય કાંઠે છલકી હાલ્યું છે.


સવાર પડ્યું છે. ગામલોક તો હલક્યું છે. હાલો, ભાઈ, હાલો! વે’વારિયા વાણિયાનું તળાવ હલક્યું. હાલો હાલો, ના’વા હાલો.


ગામેગામ વાવડ થયા છે. વે’વારિયા વાણિયાનું તળાવ છલ્યું છે.


વહુનેય પિયરમાં જાણ થઈ છે. બાઈ બાઈ, તારા સાસરાનું તળાવ ભરાણું છે. લોક બધું ના’વા હલક્યું છે.


મારા સાસરાનું તળાવ છલ્યું? હુંય તો તો ના’વા જાઉં છું. બાઈએ તો દોટ દીધી છે. તળાવની પાસે પહોંચી છે. લોક તો ક્યાંય માતું નથી. ખસો, ખસો, મને ના’વાનો મારગ આપો. મારા સાસરાનું તળાવ ભરાણું છે.


એલા ભાઈ! તળાવમાં એક પેટી તરતી આવે છે!


એક કહે કે એ પેટી મેં દીઠી, માટે એ મારી છે. બીજો કહે કે મારી છે. સહુ કહે કે અમારી છે. વહુ કહે, ખસો ખસો, એ પેટી તો મારી કહેવાય. એ તો મારા સાસરાના તળાવમાંથી નીકળી છે.


એલા ભાઈ, કોઈની નહિ. તરતી તરતી જેની પાસે આવે તેની એ પેટી.


સાચું, ભાઈ, સાચું.


પેટી તો તરતી તરતી વહુની પાસે આવે છે. પેટી તો વહુની, પેટી તો વહુની!


વહુએ તો પેટી ઉઘાડી છે. માંય તો દીકરો બેઠો છે. સુખડીનો થાળ પડ્યો છે. ઘીનો દીવો બળે છે.


દીકરો તો હડફાં ખૂંદીને ઊઠ્યો છે. માને ગળે તો બાઝી પડ્યો છે.


દીકરા, દીકરા! તું આમાં ક્યાંથી?


મા, મા, મને તો આમાં દાદાએ સુવાડ્યો’તો. તે પછીની મને ખબર નથી.


વહુ તો દીકરાને લઈને હરખે ભરી ઘેરે જાય છે. બારણાં માલીપાથી બંધ કરેલાં છે.


અરે બાઈજી! બારણાં બંધ કરીને કાં બેઠાં છો? આપણું તો તળાવ ભરાણું છે. મનખો તો ના’વા મળ્યો છે. ને તમે કેમ બારણાં બંધ કરી બેઠાં છો? ઉઘાડો રે ઉઘાડો.


ઘરમાં તો સૌ સૂનમૂન છે. વહુ આવી, તેને જવાબ શો દેશું? એના દીકરાની તો આપણે હત્યા કરી છે.


ઉઘાડો, બાઈજી, ઉઘાડો! ઉઘાડો, સસરાજી, ઉઘાડો!


ઘરમાં નાની દીકરી હતી. દીકરી દીકરી, તરડમાંથી જોઈ તો આવ, બેટા! વહુ છે કે કોણ છે?


દીકરી તો જોઈ આવી છે. મા, દાદા, ભાભી આવી છે, ને ભેળો છોકરોય ઊભો છે.


વિસ્મે થઈને બારણું ઉઘાડે છે. વહુ ને છોકરો બેય દેખ્યાં છે. વે’વારિયા વાણિયાની તો આંખમાંથી આંસુની ધાર થઈ છે.


વહુ, દીકરી! અમે તો અમારું કાળું કરી ચૂક્યાં’તાં, પણ તારાં સત તે તળાવ ભરાણું તારાં સત તે દીકરો જીવ્યો.


વહુને તો વે’વારિયો વાણિયો પગે પડ્યો છે.


ભે-બારશ રે’નારી સ્ત્રીઓ જમી કરીને આ વાર્તા કહે છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...