મુખ્ય સામગ્રી પર જાઓ

૧ પોષી પૂનમ

આજ તો પોષ મહિનાની પૂનમ આવી છે. ભાઈની નાની બહેન આજ આખો દી ઉપવાસ કરશે. આજ તો બહેન પૂનમ રહી છે.

થાપેલાં છાણાંથી તો રંધાય નહિ, એટલે બહેન સૂંડલી લઈને વગડામાંથી અડાયાં વીણી લાવે છે. સાંજે એક બોઘરણું ને એક લોટો લઈને પોતે જ નદીએ પાણી ભરવા જાય છે. જતી જતી ગાય છે કે —

પોષ મહિનાની પૂનમે રે

અગાસે રાંધ્યાં અન્ન વા’લા!

જમશે માની દીકરી રે

પીરસે બેનીનો વીર વા’લા!

ઊટકીને એનું અરીસા જેવું નાનું બેડું ભરી આવે છે. સાંજે તો બહેન નાહી છે, ધોઈ છે, બહેને તો અગાસીએ ચૂલો માંડ્યો છે. બહેન રસોઈ કરે છે : અગાસી હોય તો અગાસીએ, નીકર છાપરા વગરની ગમે તે જગ્યાએ : પણ ઉઘાડા આભ નીચે.

સોળે કળાનો ચંદ્રમા ચડ્યો છે. બહેનના રાંધણામાં તો તેનાં કિરણોમાંથી અમી વરસે છે. હોંશેભરી બહેન રાંધે છે.

અને રાંધણું પણ શું? પહોંચ હોય તો ચૂરમું, ને ન પહોંચ હોય તો ચોખા. એને મન તો ચોખા પણ બત્રીસ જાતનાં ભોજન જેવા મોંઘેરા છે.

બીજી બનાવે છે ઘઉંની એક ચાનકી. ચાનકીની વચ્ચોવચ પાડે છે એક કાણું. ચાનકી ચંદ્રમા આડે ધરી, કાણા વચ્ચેથી ચંદ્રમાની સામે નિહાળીને બહેન બોલે છે :

ચાંદા! તારી ચાનકી,

મારું ચૂરમું!

ભાઈ જમ્યો!

બેન ભૂખી!

ભાઈના ઘરના તો ચોખા યે બહેનને મન ચૂરમા સમા. વળી ફરી વાર બોલે છે :

ચાંદા! તારી ચાનકી,

કૂતરા તારી રોટલી,

આજ મારી પોષી પૂનમ.

એવી પૂનમના તેજમાં તરબોળ બનતી બનતી બહેન ભાઈની પાસે જમવાની રજા માગે છે :

પોષી પોષી પૂનમડી

અગાસે રાંધ્યાં અન્ન;

ભાઈની બેન જમે કે કેમ?

ભલો ભાઈ હોય તે કહેશે, કે જમ્ય બેન જમ્ય!

એટલે બહેન જમે. વળી નઠોર ભાઈ હોય તો બહેનને ટળવળાવવા ખાતર કહેશે, કે રમ્ય!

ભાઈ હા ન પાડે ત્યાં સુધી બહેનથી જમાય જ નહિ.

પોષી પોષી પૂનમડી,

સાત ભાઈની બેનડી,

ઙાઈ કહે તો જમે,

નીકર બેન રે’ ભૂખી!

ઘણા ઘણા ભાઈઓ આજ સંભારી સંભારીને કહે છે કે નાનપણમાં અમે ય બહેનોને ના પાડીને ભૂખી રાખી છે. તો યે બહેન તે બહેન. એનાં હેત કંઈ ઊતર્યાં છે કદી?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...