મુખ્ય સામગ્રી પર જાઓ

૧૮ ધરો આઠમ

 [ભાદ્રપદ શુદ આઠમના વ્રતની કથા છે. ધ્રો નામનું ઘાસ થાય છે.]


એક રાજા હતો. રાજાને સાત રાણીઓ હતી. છ માનેતી, એક અણમાનેતી.


છયે માનેતીને છોરું નહિ, અને અણમાનેતીને અઘરણી.


છયેને તો ખાર ખેધ થયા છે. નવમે મહિને સુયાણી બોલાવી છે. કીધું છે કે ‘અણમાનેતીને દીકરો આવે તો મારી નાખજે!’


છોરુનો તો સમો થયો છે. સુયાણીએ તો રાણીની આંખે પાટા બંધાવ્યા છે. દીકરાનો તો જલમ થયો છે. મહેલ પછવાડે લીલી લીલી ધરો ઊભી’તી એમાં જઈને દીકરાને નાખી આવે છે.


રાજા પૂછે છે, ‘રાણીને શું આવ્યું?’


‘અણમાનેતીને વળી શું આવે? સાવરણી ને સૂંથિયાં આવ્યાં!’


ગામમાં તો વાતો થવા માંડી : અરરર! રાજાની રાણીને સાવરણી ને સૂથિયાં આવ્યાં!


છોકરો તો દેવના ચક્કર જેવો! લીલી ધરોમાં પડ્યો પડ્યો રમે છે. હાથનો અંગૂઠો ચૂસે છે. છ યે રાણીની નજર ગઈ છે.


રાજા આવ્યા. રાણીઓ કહે, ‘ધરો કપાવી નાખો.’


‘શું કામ?’


‘લીલાડું વળી શા કામનું?’


ધરોએ તો વાત સાંભળી છે. ધરોએ તો ગા’ને પૂછ્યું, ‘છોકરાને સાચવીશ?’


‘હા, મારા કાનમાં મેલી દે.’


છોકરાને કાનમાં લઈને ગા’ તો ચાલી ગઈ છે.


છયે રાણીઓએ ગા’ને જોઈ, ‘અરરર! છોકરો તો ગા’ના કાનમાં રમે છે. વેચી નાખો ગા’ને!’


‘અરે કાંઈ ગા’ વેચાય? એનું દૂધ થાય, ઘી થાય, એની તો પૂજા થાય.’


‘ના, વેચો તો જ હા, નીકર ના.’


ગા’ વાત સાંભળી ગઈ છે. ગા’એ પીપળાને પૂછ્યું છે, ‘છોકરાને રાખીશ?’


પીપળો કહે, ‘હા, મારી પોલમાં મેલી દે.’


દીકરો તો ફૂલ જેવો પીપળાની પોલમાં રમે છે. ડાળે મધનું પોડું હતું એમાંથી દીકરાના મોંમાં દી અને રાત મધનાં ટીપાં ઝરે છે. એ તો ઘુઘવાટા કરે છે.


છયે રાણીઓએ તો દીકરાને રમતો દીઠો છે. ‘રાજા રાજા, કપાવી નાખો પીપળાને.


‘અરરર! પીપળો તો બામણ કે’વાય. એને તે કપાવાય! એને પાણી રેડીએ, એનું તો મોં જોઈએ. એને પગે લાગીએ.’


‘નહિ! કાપો તો જ હા, નીકર ના!’


પીપળો તો વાત સાંભળી ગયો છે. એણે તો દીકરો સુતારને સોંપ્યો છે.


સુતાર તો દીકરાને ઘેર તેડી લાવ્યો છે. સુતારણને કહે કે ‘લે, તારે દીકઢણો આવ્યો છે.’


સુતારણ તો દીકરાને નવરાવે, ધોવરાવે, પહેરાવે, ઓઢાડે, ખવરાવે, પીવરાવે.


દીકરાને તો કાચની નાનકી ગાડી ને કાચના નાનકડા બળદિયા કરાવી આપ્યા છે.


દીકરો તો કાચની ગાડી ને કાચના બળદિયા હાંકતો હાંકતો નદીએ પાણી પાવા જાય છે.


ત્યાં તો ગામનો રાજાયે ઘોડે ચડીને નીકળ્યો છે. છોકરાને જોયો છે. ઈ તો રાજાનો કુંવર! ઈ તો તપેશરી! એનું તો તાલકું જ તપતું હોય ને! ઘોડો થંભાવીને રાજા જોઈ રહ્યો છે.


છોકરો તો નદીએ જઈને બોલે છે :


કાચની ગાડલી!

કાચના બળદ!

પૂછડે પાણી!

પો! પો!


રાજા તો વિસ્મે થઈ ગયો છે.


‘એલા છોકરા, બીજી વાર બોલ તો!’


છોકરો ફરી વાર બોલ્યો છે :


કાચની ગાડલી!

કાચના બળદ!

પૂછડે પાણી!

પો! પો!


‘એલા મૂરખા! પૂછડે પાણી કેમ પીએ?’


‘ત્યારે રાજાની રાણી સાવરણી–સૂંથિયાં કેમ જણે?’


સાંભળીને રાજાને તો સાંભરી આવ્યું છે.


‘એલા આંહીં આવ, આંહીં આવ, તું કોનો દીકરો?’


‘સુતારનો.’


સુતારને તેડાવ્યો. પૂછ્યું કે ‘દીકરો ક્યાંથી?’


‘પીપળે દીધો.’


પીપળાને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’


‘ગા’એ દીધો.’


ગાયને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’


‘ધરોએ દીધો.’


ધરોને પૂછ્યું, ‘તારી પાસે ક્યાંથી?’


‘સુયાણી મેલી ગઈ’તી.’


“બોલાવો રાંડ મૂંડી સુયાણીને! બોલાવો છયે રાણીઓને! માથાં મૂંડીચૂનો ચોપડી, અવળે ગધડે બેસારી ગામ બહાર કાઢી મેલો!”

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...