મુખ્ય સામગ્રી પર જાઓ

૧૭ પુરુષોત્તમ માસ

[આ વાર્તા કહેવાનો લહેકો તદ્દન જુદો પડી જાય છે. આરોહ — અવરોહ પલટી જાય છે.]


ગોર ને ગોરાણી હતાં. પુરુષોત્તમ માસ આવ્યો.


ગોર ગોર, અમને પુરુષોત્તમ માસ નવરાવો. પુરુષોત્તમ માસ કેમ નવાય?


સવારના પો’રમાં વે’લું ઊઠવું : ગંગા જમના નદી કહાવે છે એમાં નાવું : નાઈ કારવીને કાંઠા ગોર્યની પૂજા કરવી : એક ટાણું ભોજન કરવું : ભોંય પથારી કરવી : પીપળાની પૂજા કરવી : તુળસીની પૂજા કરવી : દીવાનાં દર્શન કરવાં.


ગોર–ગોરાણી તો નત્ય ઊઠીને ના’ય છે. કાંઠા ગોર્યની પૂજા કરે છે, પીપળાની પૂજા કરે છે. દીવાનાં દર્શન કરે છે. એક ટાણું આહાર કરે છે. ભોંય પથારી કરે છે.


સાત કોટડીએ માયા હતી. બધી વાતે સુખ હતું. પણ ગોરાણીને પેટ જણ્યું નહોતું.


ગોરાણીએ તો નિસાસો નાખીને કહ્યું કે ‘ઘેર નાની વહુ હોય તો કેવું સારું! નિરાંતે નાઈએ ધોઈએ.’


‘અરે ગોરાણી, ગાંડાં થયાં? દીકરા વિનાની તે વહુ ક્યાંથી આવે?’


‘આવે તોય લાવો ને ન આવે તોય લાવો. લાવો ને લાવો!’


‘ઠીક ત્યારે, ઢેબરાં કરી નાખો.’


ગોરાણીએ તો ઢેબરાં કરીને ભાતું બંધાવ્યું છે. ગોરે તો સોનામહોરનો ખડિયો ભર્યો છે. હાથમાં પોથી લીધી છે. લઈને ગોર તો દીકરાની વહુ ગોતવા નીકળ્યા છે.


એક ગામ મેલ્યું. બીજું ગામ મેલ્યું. ત્રીજા ગામને પાદર જાય ત્યાં તો તેવતેવડી છોકરીઓને ઘોલકી ઘોલકી રમતી ભાળી છે. એમાં એક છોકરી બોલી છે : ‘બાપુ! મારી ઘોલકી કોઈ બગાડશો મા; મેં કોઈનું નથી બગાડ્યું.’


આવી વાણી સાંભળીને તો ગોરના મનમાં થયું છે કે છોકરી કેવી ગુણિયલ લાગે છે! ગોર તો એને પૂછે છે : ‘બેટા, તું કોની દીકરી છો?’


‘હું ફલાણા પંડ્યાની દીકરી. ચાલો મારે ઘરે. મારા બાપા બહાર ગયા છે.’


છોકરી તો ગોરને ઘેર તેડી ગઈ છે. દાતણ ને પાણી દીધાં છે; નાવણની કૂંડી દીધી છે. એણે તો કાંઈ મહેમાનગતી માંડી છે!


છોકરીના બાપા ઘેર આવ્યા છે. મહેમાનને તો હેતેપ્રીતે હળ્યામળ્યા છે. આવવાનું કારણ પૂછ્યું છે.


ગોર કહે : ‘મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. એને સારુ કન્યા જોવા નીકળ્યો છું. તમારી કન્યા મારે હૈયે વસી ગઈ છે.’


કન્યાના તો ત્યાં બોલ બોલાણા છે ને ચાંદલા થયા છે.


ગોર કહે, ‘હવે વિવા પણ સાથોસાથ કરી નાખવો છે. અમારું ગઢપણ છે. કાયાના કાંઈ ભરોસા નથી. અમારે તો પુરુષોત્તમ માસ નાહવો છે.’


‘અરે વેવાઈરાજ! વર વિના કન્યા કોની સાથે ફેરા ફરે?’


‘ત્રણ ફેરા આ પોથી સાથે ફરે. ને ચોથો ફેરો દીકરો કાશીએથી ભણીને આવશે ત્યારે ફેરવી લેશું.’


ચાર કળશાની ચોરી ચીતરી છે. આલાલીલા વાંસ વઢાવ્યા છે. એમ કરી ત્રણ ફેરા પોથી સાથે ફેરવ્યા છે. ગોર તો વહુને તેડી ચાલી નીકળ્યા છે. ઘેર આવે ત્યાં વહુનાં રૂપ ને ગુણ દેખીને સાસુ તો ગાંડાં ગાંડાં થઈ ગયાં છે.


ગામ આખામાં તો વાતો થઈ રહી છે કે ‘જો તો બાઈ! દીકરા વિનાની વહુ આવી! વાંઝિયાંને ઘેર વહુ આવી! કાંઈ લખમી જેવી વહુ આવી!’


વહુને તો વાસીદું વાળવા દેવાય નહિ, એટલે રોજ સવારે સાસુ વે’લાં વે’લાં ઊઠીને વાસીદું વાળી નાખે છે. પછી સાસુ–સસરો નિરાંતે પુરુષોત્તમ માસ ના’વા ચાલ્યાં જાય છે. પાછાં આવે ત્યાં તો વહુ લખમી ભોજન રાંધીને સાસુ–સસરાને જમાડે છે.


મારા સ્વામીનાથ કાશીએથી ક્યારે ભણીને આવે! ક્યારે ભણીને આવે! એવી વાટ જોતી વહુને તો ક્યાંય આનંદ માતો નથી.


એક દી તો સાસુ મોડાં ઊઠ્યાં છે. ઝટપટ ના’વા ચાલ્યાં જાય છે. વાંસેથી વહુએ તો વાસીદું વાળ્યું છે. વાળીને તો ઉકરડે નાખવા જાય છે.


સૂંડલો ઠલવીને વહુ પાછી વળે ત્યાં તો પાડોશણ બાઈઓ વાતો કરે છે : ‘જોયું બાઈયું! દીકરા વિનાની વહુ કેવું ઘરનું કામ કરે છે! ઓહોહો! વાંઝિયાંને ઘેર કાંઈ વહુ આવી! કાંઈ વહુ આવી!’


પાડોશણો તો સામસામી તાળીઓ દઈને હસે છે. સાંભળીને વહુ તો થંભી ગઈ છે. પૂછે છે : ‘બાઈયું બેન્યું, આમ કેમ બોલો છો? મારા સ્વામીનાથ તો કાશીએ ભણવા ગયા છે ને!’


‘અરેરે બાઈ, સ્વામીનાથ કેવા, ને કેવી કાશી! એ તો વાંઝિયાં મૂવાં છે. એ તો તને ભોળવીને લાવ્યાં છે!’


વહુનો તો આનંદ ઊડી ગયો છે. રાંધવા બેઠી ત્યાં દાળ દુણાઈ ગઈ છે, ચોખા કાચા રહી ગયા છે, શાક દાઝી ગયું છે, રોટલી બળી ગઈ છે. દાઝ્યું-દવજ્યું રાંધ્યું છે. સાસુ સસરો ના’ઈને આવ્યાં પણ વહુએ તો પોતિયાંયે લીધાં નથી. કળશાયે ભરી દીધાં નથી. પાટલાયે નાખ્યા નથી ને ભાણાંયે પીરસ્યાં નથી.


ઘેર આવીને ગોર-ગોરાણી જમવા બેસે ત્યાં તો રાંધણું બગડેલું જોયું. વહુના મોઢા ઉપર તો મશ ઢળેલી ભાળી.


‘અરે વહુ દીકરા! આજ અણોસરાં શેણે છો?’


‘આજ તો, બાઈજી, હું વાસીદું નાખવા ગઈ’તી. ત્યાં પાડોશણ્યું હસતી’તી. મેં પૂછ્યું કે કેમ હસો છો? તો કહે કે તારાં સાસુ–સસરાને તો દીકરો જ નથી.’


‘સારું બાપા! જે કહેનાર હશે તેને નહિ હોય. મારો પુરુષોત્તમ દીકરો તો કાશીએ ભણવા ગયો છે.’


સાસુ–સસરાએ તો વહુને રીઝવવા સાત ભંડારની કૂંચીઓ સોંપી છે. ‘લ્યો વહુ દીકરા! છ ભંડારા ઉઘાડજો; પણ એક સાતમો ભંડારો ઉઘાડશો મા!’


પહેલો ઓરડો ઉઘાડ્યો છે ત્યાં તો અન્ન-વસતર દીઠાં છે.


બીજા ઓરડામાં વાસણ-કૂસણ દીઠાં છે.


ત્રીજામાં સોનાં-રૂપાં દીઠાં છે.


ચોથામાં હીરા-મોતી દીઠાં છે.


પાંચમામાં નીલમ-માણેક દીઠાં છે.


છઠ્ઠામાં પોખરાજ ને પરવાળાં દીઠાં છે.


પણ સાતમો ઓરડો ઉઘાડવાની તો સાસુએ ના પાડી છે. એવું તે એમાં શું હશે? વહુનું મન તો વાર્યું રહેતું નથી. સાતમો ઓરડો ઉઘાડે ત્યાં તો આ હા હા હા! આ કોણ?


પીળાં પીતાંબર પહેર્યાં છે,

લાલ ચાખડીએ ચડ્યા છે.

મોર મુગટ ને છત્તર ધર્યાં છે,

હાથમાં પુસ્તક ને પાનાં છે.

કંચનવરણી તો કાયા છે,

ડાબે ખંભે જનોઈ પડી છે.

કપાળે ચંદનની આડ્ય કરેલી છે,

ઘીના દીવાની જ્યોતો બળે છે.


બાઈ તો ઘૂમટો કાઢીને ઊભી રહી ગઈ છે. એના મોંમાંથી તો વાચા ફૂટતી નથી.


પાટલે બેઠેલો પુરુષ બોલે છે કે ‘હે સતી! તમે આંહીં શું કામે આવ્યાં? શા માટે આ ઓરડો ઉઘાડ્યો? બીડી દો, ઝટ બીડી દો, ઝટ બીડી દો, મારાં માબાપનાં વ્રત ભાંગશે. બહાર પધારો. માબાપ આવશે અને આપણને લજ્જા લાગશે.’


બાઈ તો પૂછે છે કે ‘હવે કે’દી બહાર નીકળશો? બા–બાપાએ કપટ કરીને મને શીદને કહ્યું કે તમે કાશીએ ગયા છો? બોલો, હવે કે’દી બહાર નીકળશો?’


‘જાઓ સતી! હવનને ટાણે હું બહાર નીકળીશ.’


બાઈએ તો ઊજમે ઊજમે સાત ભંડારા વાસી દીધા છે. ફૂલ ફૂલ જેવું રાંધ્યું છે.


ત્યાં તો સાસુ–સસરો ઘેર આવ્યાં છે. દોડીને બાઈએ તો પોતિયાં લીધાં છે. કળશા ભરી દીધા છે. પાટલા ઢાળી દીધા છે. ભાણાં પીરસી દીધાં છે ને રૂડી રીતે જમાડ્યાં–જુઠાડ્યાં છે.


વહુને તો હરખાળી ભાળીને સાસુ સમજ્યાં કે સાત ભંડારની કૂંચીઓ દીધાંથી વહુ રિઝ્યાં છે.


એમ કરતાં કરતાં તો અમાસ આડા ચાર દી રહ્યા છે.


વહુ કહે છે કે ‘બાઈજી, બાઈજી, જગન આદરો.’


બાઈજી કહે, ‘સારુ બાપુ, તમારી મરજી! તમારે કરવું છે ને તમારે વાવરવું છે. ભંડારની કૂંચિયું તો તમારી જ પાસે છે.’


વહુએ તો દળાવ્યું છે, ભરડાવ્યું છે, ને તૈયાર ટપકે રાંધ્યું છે.


અમાસનો દિવસ આવ્યો છે. વહુને સાસુએ ગામમાં નોતરાં દેવા મોકલ્યાં છે. પણ કોઈએ એનાં નોતરાં ઝીલ્યાં નથી. ગામના લોકો વાંઝિયાંનાં ઘરનું ખાવાની ના પાડે છે.


વહુ તો ઘેર આવી છે. બાઈજીને વાત કરી છે. બાઈજી કહે, ‘ઠીક ત્યારે, પીપળાને નોતરાં દઈ આવો.’ વહુ તો સંધાય પીપળાને નોતરાં દઈ આવી છે. એકેય પીપળાને ભૂલી નથી. બધા પીપળાએ એનાં નોતરાં ઝીલ્યાં છે.


સાંજ પડી છે. પીપળાએ તો બામણના વેશ લીધા છે. ડોસીને ઘેર જમવા નીકળ્યા છે. પીળાં પીતાંબર પહેર્યાં છે. હાથમાં લોટા લીધા છે ને સૌ પીપળા મંડપમાં આવ્યા છે.


મંડપમાં તો મનખો માતો નથી. હોમ હવન થાય છે. વેદના મંતર બોલાય છે. આખું ગામ હસે છે કે ‘આ વાંઝિયાં વરણીમાં દીકરો ક્યાંથી કાઢશે?’


કોઈ કહે, ‘મને ખોળે લેશે!’ કોઈ કહે કે ‘ના, ઈ તો મને ખોળે લેશે!’


એમ કરતાં તો વખત ભરાઈ ગયો છે. વહુ–દીકરાને પધરાવવાનો સમય થયો છે.


ડોસી ને ડોસો તો ઘરમાં સંતાઈ ગયાં છે. કાન આડાં પૂંભડાં દીધાં છે, ગળાટૂંપો ખાવાની તૈયારી કરે છે.


ત્યાં તો વહુ આવી છે કે ‘કાં બાઈજી, આ શું કરો છો? તમારા દીકરાને બોલાવો ને!’


સાસુની આંખમાં તો આંસુડાં હાલ્યાં જાય છે. કહે છે કે ‘અરેરે બેટા, કોને બોલાવું?’


વહુ કહે કે ‘નામ લઈને બોલાવો ને!’


‘અરેરે બાપા, કોનું નામ ને કોનું ઠામ?’


‘જેનો મહિનો નાવ છો એનું નામ લઈને બોલાવો.’


બાઈજી તો રોતાં રોતાં બોલ્યાં છે કે ‘બેટા પુરુષોત્તમ!’


ત્યાં તો બારણાં ભડભડવા માંડ્યાં છે.


બાઈજી ફરી વાર બોલ્યાં છે કે ‘બેટા પુરુષોત્તમ!’


ત્યાં તો ભોગળ ભાંગી ગઈ છે. ‘ચટાક! ચટાક!’ ચાખડી બોલી છે. અને —


પીળાં પીતાંબર પેર્યાં છે,

લાલ ચાખડીએ ચડ્યા છે,

માથે મોર મુગટ ને છત્તર ધર્યાં છે,

લલાટમાં કેસર ચંદણની આડ્ય છે.

મરક! મરક! હસે છે.


એવા પુરુષોત્તમજી ચટકતી ચાલે આવીને મંડપમાં આવ્યા છે. બધાં ગીત ગાવા મંડ્યાં છે.


ત્યાં તો શણગાર સજીને વહુ પણ આવ્યાં છે. છેડાછેડી બંધાણી છે. ચોથો ફેરો ફરી રહ્યાં છે. ગામની બાઈડીઓ ગાય છે.


હે પુરુષોત્તમ મા’રાજ, જેવી આની લાજ રાખી એવી સહુની રાખજો!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...