મુખ્ય સામગ્રી પર જાઓ

૨૨ શ્રાવણિયો સોમવાર

બામણ બામણી છે.

બામણ તો બહુ દાળદ્રી છે.

બામણી તો બહુ દુઃખિયારી છે.

એમાંય પાછાં ચાર-પાંચ છોકરાં છે.

અરે હે ગોર, તમે માગવા જાવ.

અરે ગોરાણી, હું ક્યાં જાઉં?

ચપટી લોટ કોઈ આપતું નથી!

આપે તોય જાવ, ન આપે તોય જાવ,

જાવ ને જાવ.

બામણ તો હાલ્યો છે.

એક ગામને મારગ જાય છે.

આડી વાવ આવી છે.

વાવને કાંઠે અસ્ત્રી-પુરુષ બેઠાં છે.

ઈ તો શંકર ને પારવતી છે.

શંકર–પારવતી સોગઠાંબાજી લઈ બેઠાં છે.

અરે મહાદેવજી, હાર્યું–જીત્યું કોણ કે’શે?

બામણ બામણ, અમારું હાર્યું જીત્યું કહેજે

બામણ તો ઓળખતો નથી પારખતો નથી.

હાર્યું–જીત્યું કહેવા બેઠો છે.

પહેલા પાસા ઢાળ્યા છે.

બોલ્ય બામણ! કોણ હાર્યું ને કોણ જીત્યું?

બામણે તો વિચાર કર્યો છે :

આ બાવા આગળ તો કાંઈ નથી

બાવણને ડિલે તો સૂંડલો ઘરેણાં છે.

ઈ મને કાંઈક દેશે.

એણે તો કીધું છે, કે માતાજી જીત્યાં ને પત્યાજી હાર્યા.

પારવતીજીને હૈયે તો હાર હીંડળે છે.

હાર ઉતારીને બામણને દીધો છે.

હરખાતો હરખાતો બામણ ઘેરે જાય છે.

હાર પરવટમાં નાખીને હાલ્યો જાય છે,

રસ્તે બહુ ને બહુ કળશિયે જવાણો થયો છે.

લૂગડાં ઉતારીને કળશિયે જાય છે.

સમળી આવીને હાર ઉપાડી ગઈ છે.

બામણ તો નિરાશ થયો છે.

ઘેર જાય ત્યાં બાયડી વઢવા લાગી છે.

બીજે દી બામણ બીજે રસ્તે જાય છે.

શંકર–પારવતીજી સોગઠે રમે છે.

પાછો બામણ તો આવ્યો છે.

કાં ભાઈ, આવ્યો કે પાછો?

એને તો હાર્યું-જીત્યું કહેવા બેસાર્યો છે.

તે દીય બાવણને ડિલે દાગીના દીઠા છે.

બાવાની પાસે તો વાલની વાળીય નથી.

લાલચુડો બામણ જૂઠું બોલ્યો છે.

પત્યાજી હાર્યા ને માતાજી જીત્યાં છે.

પારવતીજીએ તો ઝાલ કાઢીને દીધી છે.

લઈને બામણ તો ઘેર વળ્યો છે.

સરોવરમાં પાણી પીવા ઊતરે છે.

ભેટમાંથી ઝાલ પાણીમાં પડી ગઈ છે.

ઈ ઝાલને તો માછલું ગળી જાય છે.

બામણ તો નિસાસો નાખે છે.

ઘેર જાય ત્યાં બામણી ખિજાય છે.

ત્રીજે દી બામણ ત્રીજે મારગે જાય છે.

ત્યાંય તે ઈનાં ઈ બાવો–બાવણ બેઠાં છે.

બેઠાં બેઠાં સોગઠાંબાજી ખેલે છે.

અરે બામણ, તું વાંસે વાંસે આવ્યો કે?

તું તો લોભિયો લાગે છે.

આજેય અમારું હાર્યું–જીત્યું કહેજે.

બામણ તો જૂઠેજૂઠું બોલ્યો છે.

પત્યાજી હાર્યા ને માતાજી જીત્યાં છે.

પારવતીજીએ તો ગાંસડી બાંધીને રતન દીધાં છે.

માથે ઉપાડીને એ તો હાલ્યો જાય છે.

માર્ગે કણબીનાં ગાડાં ભેળાં થયાં છે.

લાવ્ય લાવ્ય, બામણ, તારી ગાંસડી,

અમે ગાડે નાખતા આવીએ.

ગાંસડી તો ગાડે નાખી છે.

એટલામાં તો વંટોળિયો આવ્યો છે.

ગાડું ને ગાંસડી આઘાં આઘાં ઊડી જાય છે.

બામણ તો નિરાશ થયો છે.

હાથમાં પાંચ રતન રહી ગયાં છે.

ઘેર જઈને મીઠાની ગુણમાં દાટ્યાં છે.

પાડોશણ મીઠું લેવા આવી છે.

ગુણમાં પાંચ રતન દીઠાં છે.

લઈને ચાલી જાય છે.

આડોશી પાડોશીને બતાવ્યાં છે.

અરે બાઈ! બામણ તો સુખિયો લાગે છે.

ઈ તો રોયો જૂઠું જ બોલે છે.

બામણી તો બહુ રીસે બળી છે

ગોર! ગોર! છોકરાં ભૂખ્યાં મરે છે.

ને તમે દા’ડી દા’ડી ક્યાં પાટકો છો?

અરે ગોરાણી, હું પાટકતો નથી.

નત્ય-નત્ય નવે રસ્તે જાઉં છું.

ત્યાં બાવો ને બાવણ બેઠાં હોય છે.

સોગઠાંબાજી રમતાં હોય છે.

મને હાર્યું–જીત્યું કહેવા બેસારે છે.

બાવા પાસે તો કોપીન ને ઝોળી હોય છે.

બાવણને તો સૂંડલો સોનું છે.

એને તો હું રોજ જિતાડું છું.

નત્ય નત્ય મને ઈ દાગીના દે છે.

પણ કરમમાંથી ખડી પડે છે.

એક દી સમળી લઈ ગઈ છે.

બીજે દી માછલી ગળી ગઈ છે.

ત્રીજે દી વા-વંટોળિયે ઊડ્યા છે.

બામણી બોલી કે અસ્ત્રીનું જાચ્યું રે’ નહિ;

ગોર ગોર, આજ તો સાચેસાચું કહેજો :

પત્યાજી જીત્યા કહેજો.

જે આપે તે લઈ લેજો.

બામણ તો ચોથે દી ચાલ્યો છે.

ચોથે દહાડેય શિવ–પારવતી બેઠાં છે.

બામણે તો ‘પત્યાજી જીત્યા’ કીધું છે.

અરે ભાઈ! મારી પાસે શું છે તે આપું?

એણે તો જટા ખંખેરી છે.

માંહીથી એક ત્રાંબિયો ટપક્યો છે.

ત્રાંબિયો બામણને દીધો છે.

એણે તો કીધું પણ છે,

કે શે’રમાં જાતાં જે જણશ પહેલી સામી મળે

એ જ આ ત્રાંબિયાની લેજે.

બામણ તો ત્રાંબિયો લઈને જાય છે.

રસ્તે જાતાં પે’લો પરથમ માછીડો મળે છે.

માછીમાર માછલું લઈને જાય છે.

બામણ તો મૂંઝાણો છે :

અરેરે મારાથી માછલું કેમ લેવાય?

એણે તો ત્રાંબિયાનું માછલું લીધું છે.

ઘેર જઈને છાપરે નાંખી દીધું છે.

આકાશમાં એક સમળી ઊડે છે.

એના પગમાં સોનાનો હાર હીંડળે છે.

એણે તો માછલું દીઠું છે;

છાપરા માથે ઝડપ મારી છે;

હાર મેલીને માછલું ઉપાડ્યું છે.

માછલાનું તો મોઢું ઊઘડેલું છે.

એમાંથી એક ઝાલ પડે છે.

બામણે તો બેય વાનાં ઓળખ્યાં છે.

ઈ તે ઓલી બાવણનાં દીધેલાં!

ત્યાં તો ગાડાવાળો કણબી આવે છે.

રતનની ગાંસડી દઈ જાય છે.

પડોશણને પણ પસ્તાવો થયો છે :

હાય હાય, બાપડાનાં મેં રતન ચોર્યાં છે.

આવીને ઈ તો પાછાં દઈ જાય છે.

બામણને કોત્યક થયું છે.

ઇ તો શંકર ને પારવતીજી હશે!

ગોતવા નીકળ્યો છે.

એક તપસી મળ્યો છે.

ભાઈ ભાઈ, તું કોને ગોતછ?

મને તૂઠમાન થયા ઈ શંકરને ગોતું છું.

ભાઈ ભાઈ, હવે ગોતવું રે’વા દે,

વરત કર સોમવારનું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...