મુખ્ય સામગ્રી પર જાઓ

મેં એને જોયો છે

લેખક:  ડૉ. આઈ. કે. વીજળીવાળા
પરદેશમાં એક ગામથી થોડે દૂર આવેલા ફાર્મહાઉસમાં એક નાસ્તિક કુટુંબ રહેતું હતું. પતિ-પત્ની અને એમની પાંચ વરસની દીકરી, એમ ત્રણ જ જણ એ કુટુંબમાં હતાં. માતાપિતા સંપૂર્ણપણે નાસ્તિક હોવાને લીધે ઘરમાં ઈશ્વરની વાત પણ ક્યારેય થતી નહીં. ભગવાન, શ્રદ્ધા કે આસ્થા જેવા શબ્દો પણ દીકરીના કાથે ક્યારેય પડ્યા નહોતા. દીકરીને હજુ નિશાળે કે બાલમંદિરે નહોતી બેસાડી એટલે બીજાં બાળકો કે અન્ય મોટા લોકો પાસેથી પણ એને ઈશ્વર અંગે કાંઈ સાંભળવા નહોતું મળ્યું. અરે ! એવું કાંઈ હોય એવો પણ એને ખ્યાલ નહોતો.

એક રાત્રે પેલાં પતિ-પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. નાનકડી વાતમાંથી શરૂ થયેલા એ ઝઘડાએ જોતજોતામાં વરવું સ્વરૂપ લઈ લીધું. અત્યંત ક્રોધે ભરાયેલા પતિએ પોતાની જ પત્નીની છાતીમાં બંદૂકની બે-ચાર ગોળીઓ ધરબી દીધી. પછી પોતે પણ પોતાના માથામાં ગોળી મારીને મરી ગયો. એ લોકો ગામથી દૂર રહેતા હતા એટલે લોકોને આ ઘટનાની છેક સવારે ખબર પડી. ગામના બધાએ ભેગા થઈને નિર્ણય કર્યો અને પેલી બાળકીને ગામના ચર્ચને સોંપી દેવામાં આવી. બાળકીનો માસૂમ ચહેરો જોઈને ફાધર એકદમ દુઃખી થઈ ગયા. આકાશ સામે જોઈને એ મનોમન બોલી ઊઠ્યા કે, ‘હે ભગવાન ! હે પ્રભુ ઈસુ ! આવો તો તારો કેવો ન્યાય ? આટલાં નાનાં બાળકોથી તું આટલો બધો ખફા હો એ હું માની જ નથી શકતો. તારી છત્રછાયાથી તેમ જ તારી કૃપાથી આવાં ફૂલો શું કામ વંચિત રહી જતાં હશે ?’

એ જ સમયે ચર્ચમાં અન્ય નાનકડાં બાળકો આવ્યાં. એ બધાંએ ફાધરનું અભિવાદન કર્યું. ફાધરે એ બાળકોને પેલી નાનકડી બાળકી સાથે ઊભા રાખી દીધાં. પછી એ બધાંની બાજુની દીવાલ પર દોરેલો ભગવાન ઈસુ ખ્રિસ્તનો ફોટો બતાવીને પૂછ્યું : ‘ચાલો બાળકો, કહો જોઉં ! આ કોણ છે એ કોઈ જાણે છે ?’
‘હા, હું જાણું છું !’ બીજું કોઈ જવાબ આપે એ પહેલા જ પેલી બાળકી બોલી ઊઠી.
ફાધરને નવાઈ લાગી. એક નાસ્તિક કુટુંબમાં જન્મેલી અને ગામલોકોથી દૂર ફાર્મહાઉસમાં મોટી થયેલી એ છોકરી, પ્રભુ ઈસુ વિશે કઈ રીતે જાણતી હોઈ શકે ? એ ખરેખર જાણતી હશે કે એમ જ કોઈ ભળતી વ્યક્તિનો વિચાર કરીને જવાબ આપ્યો હશે ? પોતાના મનની શંકા દૂર કરવા એમણે એ બાળકીને જ પૂછ્યું :
‘એમ ! તું ખરેખર જાણે છે એને ? તો ચાલ, જોઉં બેટા ! એ કોણ છે અને તું એને કઈ રીતે જાણે છે ?’
‘મારા પિતાએ મારી માને અને પોતાને ગોળી મારી ત્યારે આ માણસ મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો હતો અને આખી રાત એ મારી જોડે જ મારો હાથ પકડીને બેઠો હતો !’ બાળકીએ જવાબ આપ્યો.

ફાધરની આંખમાં આંસુ આવી ગયાં. કદાચ એ સમયે પેલી છોકરી જેવા નાનકડાં ફૂલો નહીં, પરંતુ પોતે હજુ પ્રભુની છત્રછાયા અને કૃપાથી વંચિત રહી ગયા છે એવું એમને જરૂર લાગ્યું હશે !

(Facebook best primary teachers group "Gujarat General knowladge" માંથી સાભાર)

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ Owner Of This Blog હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. વૈચારિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા. (1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે. (2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે. (3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે. (4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે. (5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે. (6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે. (7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે. (8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે. (9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે. (10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જે...

ત્રિકોણનો ચોથો ખૂણો

‘સિકરે…’ અંધેરીના એસ.પી. ધ્યાન જાવલકરે એમની પોલીસ કેપ માથા પર બરાબર ગોઠવતા એમની પોલીસ જીપનાં ડ્રાયવરને કહ્યું, ‘લૌ કર…લૌ કર…! પન્ના ટાવર જવાનું છે…!’ કહી જાવલકર ઝડપથી આગળની સિટમાં ગોઠવાયા. એમની સાથે બે કોન્સ્ટેબલ પણ પાછળ બેઠાં. સાયરન વગાડતી જીપ રાતના મખમલી અંધારામાં અંધેરીનાં મહાત્મા ગાંધી માર્ગ પર દોડવા લાગી. સાત મિનિટમાં તો એઓ પહોંચી ગયા પન્ના ટાવર પર. પન્ના ટાવર છ માળની ઇમારત હતી. એમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચ વર્ગનાં કુટુંબો રહેતા હતા. દરેક માળ પર છ છ ફ્લેટ હતા. ‘સર…’ પન્ના ટાવરના નજીકનાં વિસ્તારમાં ફરતી પોલીસ પેટ્રોલકારનાં પીઆઈ ઓમ કરકરે  એમને સલામ કરતા કહ્યું, ‘બિહાઈન્ડ ધ બિલ્ડિંગ… મેં કોર્ડન કરી દીધું છે. પ્લીસ…’ ‘ફોટોગ્રાફર…?’ ‘સર… એને ફોન થઈ ગયો છે. અને મેં ફોરેન્સિક ટિમને પણ બોલાવી જ દીધી છે.’ ‘ગુ..ડ…!’ બન્ને ઝડપથી પન્ના ટાવરના વિશાળ પાર્કિંગ લોટને વટાવી ઇમારતનાં પાછળના ભાગે આવ્યા. ત્યાં એક ટોળું ભેગું થઈ ગયું હતું. ત્રણ કોન્સ્ટેબલ એને કાબુમાં રાખી રહ્યા હતા. સિમેન્ટની ફરસ પર એક યુવકની લાશ પડી હતી. એનાં માથામાંથી નીકળેલ લોહી ફરસ પર ફેલાઈ ગયું હતું. લાશની ફરતે ખાસે દૂર...

ખેલ

લેખક: નટવર મહેતા ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઈ. અનંત માટે તો નિશાની મધુરી નિદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઈ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઈ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઈ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા. પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઈમબ્રાંચમાં ટ્રાન્સ્ફર મેળવી હતી અને હવે અંધેરી -ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઈલોગ એમનાથી ડરતા. તો છૂટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો. આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલીસ સ્ટેશને જ છોડી આવતા. નોક...