મુખ્ય સામગ્રી પર જાઓ

ખેતલિયા પીરની માનતા

કથક : હાજરાબેન વીજળીવાળા

રજૂઆત: શરીફા વીજળીવાળા

એક ગામ હતું. એમાં એક કણબી રયે. ઘરમાં ગલઢી મા ને કર્યાફાટ્ય પટલાણી સિવાય કોઈ નો મળે. કંઈક બાધા-આખડિયું કરી’તી તોય પટલાણીનો ખોળો નો’તો ભરાતો. લગનને શાર-પાંસ વરહ થઈ ગ્યાં’તાં તોય ઘરમાં કાંય સૈયું સોકરું નો’તું. પટેલને તો એવું કાંય નંઈ પણ પટલાણી આંયાં ને ન્યાં ધોડ્યે રાખે. હવે ભાય ખેતરના શેઢે ખેતલિયા પીરનો પાણો હોય….

બાયે તો ભાય એની માનતા કરી. માનતાય પાશી કેવી કરી ? ‘હે ખેતલિયા પીર, જો મારે પેટ્ય દીકરો થાહે તો મારી હાહુને સડાવીશ….’ ને ભાય દેવને કરવું સે ને…. બાયને તો હાસુકલાન વરહ કેડ્યે મજાનો ઢેફલા જેવો દૂધમલિયો દીકરો થ્યો. સોકરો બે-તૈંણ મઈનાનો થ્યોને બાયને હૈયે સડ્યું…. રાત્યે પટેલને ક્યે કે ‘કાલ્ય વેલા ઊઠીને ગાડું જોડીને મારી માને તોડીયાવજો ને પશી મોડા ખેતર્યે જાજ્યો….’
પટેલ ક્યે, ‘કાં ? અટાણે તારે તારી માનું વળી હું કામ પડ્યું ?’
પટલાણી આમેય અક્કલમઠી તો હતી જ. તે ક્યે, ‘મેં ખેતલિયા પીરની માનતા માની’તી કે જો આપડા ઘર્યે દીકરાનો જલમ થાશે તો હું તમારી માને સડાવીશ.’
‘અરે મારી હાળી મૂરખી, અક્કલમઠી…. તને કાંય નો આવડ્યું ? કાંય બીજું નો હૂજ્યું તે મારી માને સડાવવાનું માની બેઠી ? તને કેવુંય હું ? ક્યાંય બાપ જલમારે તે આવી માનતા જોઈ સે ? હાંભળી સે ?’ પણ ભાય પટલાણી હતી કર્યાફાટ્યની…. પટેલનું કાંય નો હાલ્યું…. ઈ તો વેલો ઊઠીને ગાડું જોડતોક વયો ગ્યો હહરાને ગામ…

રસ્તામાં પટેલે મનમાં કાંક્ય ગાંઠ્ય વાળી…. હાહુને જઈને કીધું- ‘હાલો માડી, તમારી દીકરીએ માની સે માનતા. ખેતલિયા પીરે જાવાનું સે…. વેલા ઊઠીને જાવાનું સે…. હું ઉઠાડું એટલે બોલ્યાસાલ્યા વના મોઢું ઢાંકીને ગાડામાં બેહી જાજ્યો’…. ઈ ભાય પટેલ તો ડોહીને ઘર્યે મેલતોકને વયો ગ્યો ખેતરે….. ડોશી તો બસારી ઠાકીને ટેં થઈ ગઈ’તી તે ખાટલામાં પડતાવેંત ઘોંટાઈ ગઈ. પટલાણી રાત્ય પડ્યે પટેલને ક્યે કે આ બેય ડોહીના હાડલા હરખા સે- ને કાંય બોલ્યાસાલ્યા વગર મોઢું ઢાંકીને જાવાનું સે તે ખબર્ય કેમની પડશે ? એમ કરો… તમારી માના પગ્યે કાળો દોરો બાંધી દ્યો એટલે ભૂલ્ય નો થાય….’ પટેલે મનમાં તો મણ મણની જોખી…. ‘રાંડ મારી માને મારવા બેઠી સો પણ આજ તું ખેલ જોઈ લેજ્યે….’ પટેલે પોતાની માને પગે દોરો બાંધ્યો તો ખરો પણ જેવી પટલાણી થાકીપાકી ઘોંટાઈ ગઈ ઈ ભેળા જ ઊભો થયને ડોશિયુંના ખાટલાની પાંગત્યે બેઠો. ને પોતાની માના પગ્યેથી દોરો સોડીને હાહુના પગે બાંધી દીધો. પટલાણી તો ભાય વેલી ઊઠી ગઈ…. નાય-ધોયને પટેલને ઉઠાડ્યા…. ને પસી ડોશિયુંના ખાટલે જઈ, પગમાં દોરો જોઈને ડોશીને હલાવ્યાં. ડોશી તો બસારાં હડપ લેતાંકને બેઠા થઈ ગ્યાં. ને કાંય બોલ્યા વગર્ય માથે ઓઢીને ગાડામાં બેહી ગ્યાં. ગાડું ખેતલિયા પીરે પૂગ્યું. ડોશીનું ડોકું મૈડીને ભાય એને તો ત્યાં કણે ડાટી દીધી. ને પાસા ઘર્યે વયાં આવ્યાં. બાય તો દળવા બેઠી… ઈ તો ઘંટી ફેરવતી જાય ને હરખની મારી ગાતી જાય :

કાઢ્યું ખોખું ને ઘર થ્યું સોખું રે ખેતલિયા પીર….
કાઢ્યું ખોખું ને ઘર થ્યું સોખું રે ખેતલિયા પીર….

પટેલે ખાટલામાં પડ્યા પડ્યા હામો જવાબ વાળ્યો….

પાસું વાળીને જરાક જોજ્યે નાર્ય, માં મારી કે તારી ?

પટેલે તો ભાય તાણી તાણીને બે વાર ગાયું. હાલતી ઘંટીયે બાયે હાંભળ્યું…. ને હાંભળતાની હાર્યે, ‘હેં !’ કરતીકને હડી કાઢી…. જ્યા ગોદડું ખેંશીને જોવે સે તો હાહુ તો મજાની ઘોંટતી’તી. બાય તો મંડી રોવા ને કૂટવા. પટેલની માને તો બસારીને આ માંયલી કાંય ખબર્ય નઈ અટલે બાઘોલા જેવી થઈ ગઈ. બાય બોવ મંડી રોવા અટલે પશી પટેલથી નો રેવાણું બોલ્યા વગર્ય….. ‘તંયે રાંડ અક્કલની મૂઠી…. તને મારી માને મારવામાં કાંય નો’તું થાતું ? માણહ કાંક્ય નાળિયેર સે, કાંય સુંદડી સે… કાંય ગોળ હાકર સે… એવું સડાવવાની માનતાયું માને…. મારી માને સડાવવાની માનતા માનતા તને કાંય વિશાર નો થ્યો ? જરાય લાજેય નો આવી ? હવે રો તારી માને પેટ ભરાય ન્યાં સુધી…. ને ભાળ્ય કોઈ દિ’ મારી માને કાંય કીધું સે તો તારી ખેર નથી….’ તે ભાય પટલાણી તો સાની રય ગઈ. કોને ક્યે ? સોરની મા કોઠીમાં મોં ઘાલીને રોવે એના જેવું થ્યું એને તો…. કોઈને ખબર્ય પડે તોય ગામ એના ઉપર્ય થૂ…. થૂ કરે. તે દિ’ની ઘડી ને આજનો દિ’… પટલાણી એવી તો સીધી હોટા જેવી થઈ ગઈ કે એની વાત નો પૂસો….

( ‘જનકલ્યાણ’ સામાયિક એપ્રિલ-2013માંથી )

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...