મુખ્ય સામગ્રી પર જાઓ

ઝૂંપડાનું વાસ્તુ

લેખક:  ડૉ. હાર્દિક યાજ્ઞિક

કાલનો દહાડો સમુડોશીને કે જે કે પોણી ના ઢોળે રહતા પર , કદાચ… પ્રતાપભાઇ ને નિલકંઠ પણ આવે. ઇમને પણ કયું સે’ ઓઢેલી ફાટેલ રજાઇનો પોતાનો ભાગ પણ પત્નીને ઓઢાવતા માધો બોલ્યો. અડધી રજાઇને વળી પાછી પતિને ઓઢાડતાં રતલીઍ પૂછ્યું
‘ઇ કોણ ?’
‘પ્રતાપભાઇ, આ આપણી લારી ઊભી રાખું સું ને ત્યા મોટા સાહેબની ઓફિસમા કામદાર છ.ઓફિસના લોકોનું સીંગનું પડીકું ઇ જ લેવા આવેસે. તે ભાઇબંધી થઈ છ અને નીલકંઠ તો તીયાં લીફટ ચલાવ છ. તી ઇને પણ કયું સે…’ સહેજ ઉભડક થઇને માધાએ કહ્યું.

‘તે હેં ! ઇવડા મોટી ઓફિસવાળા આપણે ત્યોં આવશી ?’ રતલીની આંખો પહોળી થઇ ગઈ…..
‘ના સું આવે ? ઇવડા ઇ નેય ખબર સ કે આજ દહ વરહથી આ સહેરમા મહેનત કરી તીયારે આજે આપડું પોતાનું સાપરું થયું સ…’ માધાની છાતી બે ગજ ફુલતી દેખાઇ.
રતલી હસી : ‘આજથી આપડુ સાપરું નઇં ..કાલથી’
‘હવે આસથી જ કહેવાય ગોંડી, આખી જીવતરની કમાણી. રુ. સાડા નવ હજ્જાર આપ્યાસે પુનમભાઇને. હવે કોઇ તો કહે …ઝૂંપડુ મારુ નથ.. ઇ તો મારું જ હવે.. મારું ને તારુ ઘર…’ માધા એ ઘર શબ્દ પર ભાર મૂક્યો.
‘કાલ ત્યોં ઝાડુ મારતી’તી તીયારે સમુડોશી કહેતા કે તારો ઘરવાળો ગાંડો થયો સે ? ઝૂંપડાના તી કઈ વાસ્તુ થતા હસે ?’ રતલી એ મ્હોં બગાડીને નવા પાડોશીની ફરિયાદ કરી.
‘હવે જીને જે કહેવું હોય તે કે. ઇ ડોશી માટે ઝુંપડુ હસે. પણ મારા માટે તો મારો મહેલ સે. આ વરહોથી તને આ ભુંગરામાં સુવારું છું ને મારુ મન એક જ વાત કહેતુ કે ફટ સે મારી જંદગી પર કે બૈરાને સાપરું ય નથ આપી હકતો…’
‘સાપરું ન હતું તો સુ પણ તારા પ્રેમનુ પાથરણું તો હતુને. મન તો તુ બાથમા લેસે ને તી મારી તો આખી દુનિયા ઇમાં જ આવી જાય….’

રતલી માધા માં લપાઇને નિંરાતે ઊંઘવા લાગી. દૂર કોઇ પાર્ક કરેલ ટેક્ષી માંથી રમેશ પારેખની રચના સાંવરિયો સંભળાઈ રહી હતી. માધાને આજે ઉંધ આવતી ન હતી. વર્ષોથી શહેરમાં આવીને એક જ રત લાગી હતી કે મારું ય કોઇ ઘર હોય. આમતો આવડા મોટા શહેરમાં ખાલી સિંગચણા વેચીને પોતાનુ ઘર બનાવવું એ લગભગ અશક્ય હતું પણ માધાને એક ચાનક લાગી હતી, પોતાના ઘરની. માધો સ્વભાવે જ મહેનતુ અને સ્વપ્નાં જોવાની એને નાનપણથી ટેવ. હજી તો હમણાં બેઠી લારી કરી બાકી ફેરી કરતો ત્યારે આખા શહેરમાં ફરે. નવાં નવાં ઘરો જ્યાં બનતા હોય ત્યાં ખાલી ખાલી પણ ફરે. જયારે કોઇ બંગલાની વાસ્તુ પૂજા ચાલતી હોય તો બહાર એ અચુક ઊભો રહે અને પોતાની જાતને વચન આપે કે જે દહાડે મારું પોતાનું છાપરું બનાવીશ તે દહાડે મારા ઝૂંપડાનું ય વાસ્તુ કરીશ. પૂજા રાખીશ. મનજી, હકી, પ્રેમજી , મુકાકાકા…. બધ્ધાને બોલાવીશ. રાબને રોટલાનું જમણ રાખીશ.

રતલીનેય માધાના સપનાની ખબર. આ રતલી જેવી સમજુ સ્ત્રી એ માધાને માટે ઇશ્વરનો આશીર્વાદ હતો. બન્ને જણ રેલવે ટ્રેકની પાછળ પડી રહેલા એક મોટા અને એક બાજુથી તૂટી ગયેલા ભૂંગળામાં રહે. બેવ બાજુએ કોથળાના પડદા કરીને આટલા નાના ભૂંગળાનેય રતલી એકદમ ચોખ્ખું ચણાક રાખે. ઘર બનાવાના સ્વપ્નને પૂરું કરવા બેવે પોતાનો સંસાર પણ હાલમાં નહીં વધારવાનો નિર્ણય કરી સમજ બતાવી હતી. જે દહાડે ઝૂંપડું લેવાનું નક્કી કર્યું ત્યારથી બન્ને ને જાણે જગ જીત્યું હોય તેવો સંતોષ થતો. માધાના મનમા ઝૂંપડાનું વાસ્તું કરવાનું નક્કી જ હતું. પ્રતાપભાઇ પાસે હજી ગઇકાલે જ ૧૦ ચિઠ્ઠીઓ લખાઇ કે : ‘મા ખોડિયારની દયાથી મુ ને રતલી અમાર નવા ઝુંપડામા રેવા જઇ સે. તી નવા ઝુંપડાનુ વાસ્તુ રાખ્યુ સ… વેલા આવજો.’ પ્રતાપભાઇના ઓફિસના નકામા કાગળ પર લખાયેલ આ ચિઠ્ઠીઓ માધાના ઝુંપડાના વાસ્તુપુજાની આમંત્રણ પત્રિકા હતી.

સીંગના એક પડીકા પર લાલ દોરો બાંધીને, એ પડીકું ને આંમત્રણ પત્રિકાની ચિઠ્ઠી ગઈકાલ સવારે પહેલી ખોડિયાર મંદિર, ભાથીજીના દેરે અને મહાદેવના મંદિરે મુકવા એ અને રતલી નીકળી પડ્યાં હતાં અને બાકીની સાત માધાએ જાતે વહેંચી હતી. સાત સાત મહેમાનોને વાસ્તામાં બોલાવા એ માધા માટે સાતસોને બોલાવા બરોબર હતાં.
વહેલી સવારે બન્ને પતિ પત્ની ઊઠ્યાં. રેલવે ટ્રેક પર ડબ્બા ધોવાના થાંભલામાંથી ધોધમાર વહેતા પાણીના ફુવારામાં શાહી સ્નાન કર્યુ. હૃદયમાં ઉત્સાહ સમાતો ન હતો. દલપત મહારાજ, આમ તો મંદિરની બહાર બેસીને આવતા જતા લોકોને ચાંલ્લો કરીને પૈસા માંગવાનુ કામ કરે પણ માધાને તો પૂજા માટે એ જ પોસાય તેમ હતો. બેવ જણા હાથ જોડીને વેદ વ્યાસ સામે બેઠા હોય તેમ પૂજામાં મહારાજ સામે બેઠા. રતલીની નજર આવેલા મહેમાનોને પાણી અને ગોળધાણા મળ્યા કે નહીં તેમાં જ હતી પણ માધો બે આંખો બંધ કરીને ભગવાનને મનોમન જીવનના આ સૌથી મોટા સ્વપ્નાને પૂરા કરવા બદલ આભાર માનતો હતો.

આસોપાલવના તોરણોથી શોભતું ઝૂંપડુ આજે રતલી અને માધાની આવનારી જિંદગીની મઝ્ઝાની ક્ષણોને સત્કારવા થનગનતું હોય તેમ લાગતું હતું. આવેલા સાતેય મહેમાનો અને તેના કુંટુબીઓને રાબને રોટલાનું જમણ કરાવતાં બન્ને જણને ન્યાત જમાડવા જેટલો ઉત્સાહ થયો. આવેલા દરેકને અંદર સુધી ખેંચીને પોતે ચોખ્ખું કરેલ ઝૂંપડું રતલીએ અંદરથી બતાવ્યું. આજનો આખો દિવસ બેવ જણાએ ઘરની અંદર જ કાઢયો. આજે કદાચ દસ વર્ષ પછી પહેલી વાર હાથ પગનું ટૂંટિયું વાળ્યા વગર માધો મોકળાશથી સુતો. રતલી થોડી થોડી વારે ઊઠીને લીપેલી દિવાલોને અડકી ને પાછી સૂઇ જતી એને બીક પેસી ગઇ કે કયાંક આ સપનુંતો નથીને ? આમેય છેલ્લા કેટલાય વર્ષોથી ભુંગળામાં સુતી હતી એટલે ઝૂંપડું તો મોટું મોટું લાગતું હતું.

સવારે રોજ કરતા મોડા ઊઠાયું અને કેમ નહીં ? કાલ તો જીવનનું સ્વપનું પુરું થયું હતું. લારી પર માલ ગોઠવતાં ગોઠવતાં અચાનક જ માધાની નજર ઝૂંપડાની બહાર લાગેલા એક મોટા કાગળ પર પડી. આ ગઇકાલે વાસ્તા વખતે તો આવો કોઇ કાગળ ન હતો. માધાએ ધ્યાનથી જોવા માંડ્યુ. કંઇ ખબર ન પડી પણ સિંહના ત્રણ મોઢાવાળા નિશાન જોઈને એટલી ખબર પડી કે છે આ સરકારી કાગળ. ત્યાં તો બાજુવાળા સમુડોશીના દીકરાએ પોક મૂકી. માધાએ સમુડોશીના ઝુંપડે જોયું તો ત્યાં પણ આવો જ કાગળ હતો. આજુબાજુના દરેક ઝૂંપડા પર આવો કાગળ હતો. થોડીવાર માં ખબર પડીકે સરકાર આ જમીન પરથી કોઈ મોટો રસ્તો બનાવા જઇ રહી છે અને એટલે ત્રણ દિવસમાં ઝૂંપડાં ખાલી કરવાનો એ કોર્ટનો હુકમ છે. ત્રણ દિવસ પછી અહીં સરકાર બુલડોઝર ફેરવીને જમીન ખાલી કરશે.
બે ક્ષણ માટે માધાને તમ્મર આવી ગઈ. પાછળ ઊભેલ રતલી ઝૂંપડાના દરવાજાને મજબુત રીતે પકડીને ડૂસકું ભરતી ત્યાં જ બેસી પડી પણ બીજી જ ક્ષણે એ સમજુ સ્ત્રી એ પોતાની જાતને સંભાળી. માધો જાણે આજે નાનું બાળક હોય તેમ ઝૂંપડાના દરવાજાની વચ્ચે, ગઈકાલના આસોપાલવના તોરણ નીચે બેઠેલી રતલીના ખોળામાં મોં રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.

‘કંઇ વાધો નથ આપડી ઇ હમજવાનુ કે આપણું હપનુ એક વાર પુરું તો થયુ . આ દુનિયા મા ઇવા પણ લોકો છી જીના કોઇ હપના પૂરાં થતાં જ નથ અને કેટલા તો ઇવા હોય છી જે હપનાં જોવાની ય હિમ્મંત રાખતા નથ.. કોઈ વાધો નહીં ભગવાને એમ ધાર્યું હશી કે આ હાળા વાસ્તુપુજા હારી કરે છે તે ઇમને ઝૂંપડુ નહીં હાચું મોટું ઘર જ આપીશ… હવે બેય મહેનત કરશું અને મોટું ઘર જ લઇશું.. અને વાસ્તુ પણ કરીશું….’ બોલતાં બોલતાં છેલ્લા શબ્દોમાં આવેલ ડુમાને રતલીએ ઉધરસ ખાઇને સીફતથી સંતાડયો.

માધો કાંઈ પણ બોલ્યા વગર એ સમજણની મુર્તિને જોતો રહ્યો….
અચાનક એને કંઇ યાદ આવ્યું અને મુઠીઓ વાળીને એણે રેલવેની પાછળ આવેલા એના ભૂંગળા તરફ દોટ મૂકી..
એના મનમાં હવે બીક હતી કે ‘કદાચ…………..’

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

હજાર ચોયાઁસીની મા

‘હજાર ચૂરાશીર મા’ શ્રમતી મહાશ્વેતા દેવીની એક પ્રસિધ્ધ નવલકથા છે. ૧૯૭૦થી લગભગ ૧૯૮૦ સુધીના દાયકામાં પશ્ચિમ બંગાળમાં ચાલેલા નકસલવાદી આંદોલનની, ‘મુકિતદશક’ની પશ્ચાદ ભૂમિકા માં આ નવલકથા લખાઇ છે. સાતમા દશક ના પૂવાઁધમાં બુઝુવાઁ નીતિ-રીતિ સામે જે વિદ્રોહ પ્રગટ્યો ભદ્રવગઁની દાંભિકતા અને પાખંડી નેતાઓની પોકળતા સામે જે રોષ પ્રગટ્યો તે આ નવલકથા નું વસ્તુ છે. લેખિકાએ અહીં રાજ્યરંગ અને સંવેદન રંગનો અજબનો સુમેળ સાધી કથાને માતાના ચિત્તમાં થતી પુત્ર ની પૂનઃપ્રાપ્તિની અને સાથે સ્વપ્રાપ્તિની કથા બનાવી દીધી છે.               પરિવારકથાને ગૌણ બનાવી દેતી આ રચનામાં એક તરફ સુજાતા અને વ્રતીના મનોમંથનો અને સંવેદનો નિરૂપાયા છે તો બીજી તરફ ખોખલા સમાજ સામેનો વિદ્રોહ અને એક ઘરરખ્ખુ નારીની પલટાતી જતી છબી છે. એટલે આ નવલકથા એ માત્ર નકસલવાદી આંદોલનનું દસ્તાવેજી ચિત્રણ ન બની રહેતા એક હ્રદયવિદારક માનવીની વેદનાની કથા બને છે. મહાશ્વેતા દેવીને નકસલવાદી આંદોલનના સ્થૂળ પાસામાં રસ નથી. એમને તો નિમઁમ પણે એક સામાજિક વાસ્તવ રજૂ સ્રી આવુ કોઇ પણ આંદોલન સમાજના વિવિધ સ...

ફોંતામારા

લેખક: ઈગ્નાઝિયો સિલોની ‘ફોંતામારા’ એ સિલોનીની એક અમર નવલકથા છે. જેમાં ગરીબ અને કંગાળ જીવન જીવતા ખેડૂતો અને મજૂરોની જિંદગીને નજીકથી જોવાનો અને એને ઊંચે ઉઠાવવાનો પ્રયત્ન દેખાય છે. આ કારણે જ સમગ્ર વિશ્વમાં એને લોકપ્રિયતા મળી છે. ફોંતામારા એ ઈટાલીના એક ગામડાનું નામ છે. જ્યાં અત્યંત હિન દશામાં ખેડૂતો અને મજૂરો જીવી રહ્યા છે. ગરીબી, બિમારી, ભુખમરો અને કંગાલિયત આ ગામડાની વરતી વાસ્તવિકતા છે. ફાટેલા કપડાવાળા, ધૂળભયાઁ અને નિસ્તેજ આંખોવાળા કરૂણા ઉપજે એવા કિસાનો આ કૃતિના કેન્દ્રમાં છે. આ ગામડાની જમીન ઉપજાવ જમીન છે પરંતુ શોષણખોરોએ માત્ર પ્રજાને જ નહિ પણ જમીનને પણ શોષી લીધી છે. ભયાનક અત્યાચાર અને શોષણનો ભોગ આ ગામની પ્રજા બની ચૂકી છે જમીનદારો દ્રારા ખેડૂતોને કચડી નાંખવામાં આવ્યા છે. સ્ત્રીઓ પરના અત્યાચારો અહીં સામાન્ય છે. પ્રકાશના કિરણો આ ગામડાથી હજારો ગાંવ દૂર છે. માત્ર દુઃખ ભયુઁ જીવન અને યાતના સિવાય આ પ્રજાએ કશું જોયુ નથી. અહીંની પ્રજા સખત મહેનત કરવા છતા ભુખ્યા પેટે જીવે છે. વષોઁ સુધી અહીં કશું બદલાતુ નથી. પરંતુ અંતે એક દિવસ માનવતાનું એક કિરણ આ ગામ સાથે પૂનઃજીવન ધબકતુ થાય છે. – એવો માનવતાનો સૂર...

કવિ કાલીદાસ રચિત 'અભિજ્ઞાનશાકુન્તલ'માં પ્રતીકોથી વ્યંજિત થતું નાટ્યકાર્ય

લેખક: વસન્તકુમાર મ. ભટ્ટ ભૂમિકાઃ- મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેમનું આ નાટક “અપૂર્વ” અને “નવીન” છે . (कालिदासः, 2006) આથી સ્વાભાવિક રીતે જ જિજ્ઞાસા ઊભી થાય છે કે તેમાં શું અપૂર્વ છે અને શું નવીન છે ? તેમનાં માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીય જેવાં પહેલાં બે નાટકોમાં નાયકોની બે પૂર્વ-પરણેતરો – ધારિણી, ઇરાવતી અને કાશીરાજપુત્રી ઔશીનરી – તરફથી પ્રેમકાર્ય (નાટ્યકાર્ય) માં અન્તરાય ઊભા કરવામાં આવે છે. જ્યારે અભિજ્ઞાનશાકુન્તલમાં તો મહાકવિએ દુષ્યન્તની અગાઉ પરણેલી બે રાણીઓ– જેવીકે, વસુમતી અને હંસપદિકાના માત્ર નામોલ્લેખો જ કર્યા છે, પણ તે બેમાંથી એકને પણ રંગભૂમિ ઉપર આવવા દીધી નથી. અને છતાંય દુષ્યન્ત અને શકુન્તલાની પ્રેમકથામાં પણ અન્તરાય તો ઊભો થયો જ છે. અહીં પૂર્વપરણેતર રાણીઓ તરફથી રાજાની નવી પ્રણયલીલામાં અન્તરાય ઊભો કરવામાં આવતો હોય એવા કોઈ પરમ્પરાગત રીતના પ્રસંગોનું આલેખન નથી. અહીં પ્રણયકથામાં જે અન્તરાય ઊભો થયો છે, તે દુર્વાસાના શાપ થકી ઊભો થયેલો છે. આમ, કોઈ પણ નાટકમાં જે અન્તરાય કે સંઘર્ષનું તત્ત્વ હોવું અનિવાર્ય ગણાયું છે, તે અન્તરાયને માટે કાલિદાસે...